ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,3 જાન્યુઆરી 2022
સોમવાર
પાટણ શહેરમાં આવેલા ભવ્ય અને ઐતિહાસિક યુનેસ્કોની યાદીમાં સમાવિષ્ટ રાણીની વાવ દેશ અને વિદેશી પ્રવાસીઓ માટે હંમેશા આકર્ષણનું કેન્દ્ર બની છે. ત્યારે આ ભવ્ય ઐતિહાસિક વારસાને નિહાળવા માટે હજારો પ્રવાસીઓ રાણીની વાવની મુલાકાતે આવે છે. જેથી પુરાત્વ વિભાગોની તિજાેરીને કરોડો રૂપિયાની આવક થાય છે. ૨૦૨૧માં પણ એક વર્ષમાં રૂ.૧.૦૧ કરોડની આવક થઈ હતી. ગત ૧ જાન્યુઆરી થી ૩૧મી ડિસે.૨૦૨૧ સુધીમાં ૨ લાખ ૫૧ હજાર ૮૩૧ ભારતીય પ્રવાસીઓએ રાણીની વાવની મુલાકાત લેતા એક પ્રવાસીદીઠ રૂ.૪૦ના ટિકિટના દર મુજબ વર્ષે રૂ.૧ કરોડ ૭૩ હજાર ૨૪૦ની આવક થઈ હતી. જ્યારે વિદેશી નાગરિક માટે ટિકીટનો દરનો રૂ.૬૦૦ રાખવામાં આવ્યો છે. ત્યારે વર્ષે ૧૪૪ પ્રવાસીઓએ રાણીની વાવની મુલાકાત લેતા કુલ રૂ.૮૬ હજાર ૪૦૦ની આવક થઈ હતી. આમ છેલ્લા એક વર્ષમાં કુલ ૨ લાખ ૫૧ હજાર ૯૭૫ પ્રવાસીઓએ રાણીની વાવની મુલાકાત લેતા કુલ રૂ.૧ કરોડ ૧ લાખ ૫૯ હજાર ૬૪૦ની આવક થઈ હતી તેમ રાણીની વાવના સિનિયર કન્ઝરવેટીવ અધિકારી આઈ.એ.મનસુરીએ જણાવ્યું હતું.
ગત વર્ષે ૨૦૧૯માં વૈશ્વિક કોરોનાની મહામારીની પ્રથમ લહેરમાં આપવામાં આવેલા લોકડાઉન અને બીજી લહેર લોકો માટે ભયાનક બની રહેતા આ ઐતિહાસિક ધરોહરને નિહાળવા માટે આવનાર પ્રવાસીઓની સંખ્યામાં ભારે ઘટાડો નોંધાયો હતો, પરંતુ બીજી લહેર બાદ પ્રવાસીઓની આવક વધી હતી.ઉનાળા અને દિવાળીની રજાઓમાં વધારે સંખ્યામાં પ્રવાસીઓ આવે છે ભારતીય પ્રવાસી દીઠ રૂ.૪૦ના ટિકિટના દર મુજબ ટિકિટ લેવાય છે વિદેશી નાગરિક માટે ટિકીટનો દરનો રૂ.૬૦૦ રાખવામાં આવ્યો છે.
પાટણની વિશ્વ વિરાસત રાણીની વાવ આજે વિશ્વનાં નકશા પર ચમકી રહી છે. આ ઉપરાંત વડાપ્રધાને ભારતીય ચલણી નોટની રૂ.૧૦૦ના દરની નોટ પર આ બેનમૂન સ્થાપત્યને સ્થાન આપીને દેશ અને વિશ્વભરમાં તેનાં મહત્વને ઉજાગર કર્યુ છે. આ વિશ્વ પ્રસિદ્ધ આરક્ષિત સ્થાપત્યનાં દર્શન, અભ્યાસ અને મુલાકાતે પાટણ શહેરમાં અસંખ્ય ભારતીય અને વિદેશી પર્યટકો આવી રહ્યા છે. જેનાં કારણે આ રાણીની વાવ સંકુલ સતત ભર્યુ ભાદર્યું અને ચહલ પહલથી સતત ગાજતું બન્યુ છે. ૨૦૨૧માં રાણીની વાવની મુલાકાતે ૨ લાખ ૫૧ હજાર ૯૭૫ પ્રવાસીઓ આવ્યા હતા. જેમાં ભારતીય અને વિદેશી પ્રવાસીઓ મળી કુલ રૂ.૧.૦૧ કરોડની આવક પણ થઈ હતી.