News Continuous Bureau | Mumbai
India Sugar Export Ban। ભારત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા ખાંડની નિકાસ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લાદી દીધો છે. આ પ્રતિબંધ ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૬ અથવા આગામી આદેશ સુધી અમલી રહેશે. સરકારનું આ પગલું સ્થાનિક બજારમાં ખાંડનો પૂરતો જથ્થો જાળવી રાખવા અને સતત વધી રહેલા ભાવ પર અંકુશ મેળવવા માટે લેવામાં આવ્યું છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળના ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) એ આ અંગે સત્તાવાર જાહેરનામું બહાર પાડ્યું છે.
કયા પ્રકારની ખાંડ પર લાગ્યો પ્રતિબંધ?
સરકારની નવી નીતિ અનુસાર, કાચી (Raw), સફેદ (White) અને રિફાઈન્ડ ખાંડની નિકાસને હવે ‘નિષિદ્ધ’ શ્રેણીમાં મૂકવામાં આવી છે. જોકે, સરકારે સ્પષ્ટતા કરી છે કે આ પ્રતિબંધ યુરોપિયન યુનિયન અને અમેરિકાને હાલના ટેરિફ-રેટ ક્વોટા હેઠળ કરવામાં આવતી નિકાસ પર લાગુ થશે નહીં. ભારત વિશ્વમાં બ્રાઝિલ પછી ખાંડનો બીજો સૌથી મોટો નિકાસકાર દેશ છે, તેથી આ નિર્ણયની વૈશ્વિક બજાર પર પણ મોટી અસર જોવા મળી શકે છે.
પ્રતિબંધ પાછળના મુખ્ય કારણો
ભારતમાં ગ શેરડીના મુખ્ય ઉત્પાદક વિસ્તારોમાં નબળા ઉત્પાદનને કારણે આ વર્ષે ખાંડનું ઉત્પાદન વપરાશ કરતા ઓછું રહેવાની શક્યતા છે. આ ઉપરાંત, ‘અલ નીનો’ની અસરોને કારણે ચોમાસામાં વિક્ષેપ પડવાની ભીતિ છે, જે આગામી સીઝનના ઉત્પાદનને વધુ ઘટાડી શકે છે. અગાઉ સરકારે મિલોને ૧.૫૯ મિલિયન ટન નિકાસની મંજૂરી આપી હતી, પરંતુ દેશની ખાદ્ય સુરક્ષાને ધ્યાનમાં રાખીને હવે તેના પર રોક લગાવી દેવામાં આવી છે.
બજાર અને નિકાસકારો પર અસર
આ નિર્ણયની જાહેરાત બાદ ન્યૂયોર્ક અને લંડનના ખાંડ વાયદા બજારમાં ૨ થી ૩ ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. જે શિપમેન્ટની લોડિંગ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અથવા જે જહાજો ભારતીય બંદરો પર પહોંચી ગયા છે, તેમને ચોક્કસ શરતો સાથે નિકાસની મંજૂરી આપવામાં આવશે. બજારના નિષ્ણાતો માને છે કે ભારતના આ નિર્ણયથી બ્રાઝિલ અને થાઈલેન્ડ જેવા હરીફ દેશોને એશિયાઈ અને આફ્રિકન ખરીદદારોને વધુ ખાંડ વેચવાની તક મળશે.
