News Continuous Bureau | Mumbai
LPG Rule Change: અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના વધતા તણાવને કારણે વૈશ્વિક ઉર્જા ક્ષેત્રે સંકટ ઉભું થયું છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવા દેશોમાં હાહાકાર મચ્યા બાદ હવે ભારત સરકાર પણ એલપીજી (LPG) સપ્લાયને લઈને સતર્ક થઈ ગઈ છે. 7 માર્ચે રાંધણ ગેસના ભાવમાં ઝીંકાયેલા તોતિંગ વધારા બાદ લોકોમાં ગભરાટનો માહોલ છે, જેના કારણે ગેસ એજન્સીઓ પર સિલિન્ડર બુક કરાવવા માટે લોકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. આ સ્થિતિને કાબૂમાં લેવા અને સંગ્રહખોરી રોકવા સરકારે ગેસ બુકિંગના નિયમોમાં મહત્વનો ફેરફાર કર્યો છે.ભારત સરકાર પાસે પૂરતો ગેસ રિઝર્વ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, પરંતુ યુપી, કોલકાતા અને હૈદરાબાદ જેવા મોટા શહેરોમાં લોકો ગભરાટમાં આવીને એડવાન્સ બુકિંગ કરી રહ્યા છે. નિષ્ણાતોનું કહેવું છે કે દેશમાં ગેસની અછત નથી, પરંતુ એકસાથે બુકિંગ વધવાને કારણે વિતરણ વ્યવસ્થા પર દબાણ આવ્યું છે. આ અફવાઓ અને સંગ્રહખોરીને રોકવા માટે પેટ્રોલિયમ મંત્રાલયે તાત્કાલિક અસરથી નવા આદેશો જારી કર્યા છે.
બુકિંગના નિયમોમાં શું બદલાવ આવ્યો?
એલપીજી સંકટને પહોંચી વળવા માટે સરકારે સિલિન્ડર બુકિંગ માટેની ન્યૂનતમ સમય મર્યાદા બદલી નાખી છે. અગાઉ ગ્રાહકો 21 દિવસના અંતરે નવો સિલિન્ડર બુક કરી શકતા હતા, જે મર્યાદા હવે વધારીને 25 દિવસ કરવામાં આવી છે. આનો અર્થ એ છે કે હવે ગ્રાહકો એક સિલિન્ડર લીધાના 25 દિવસ બાદ જ બીજો સિલિન્ડર બુક કરાવી શકશે. આ નિર્ણય ખાસ કરીને એવા લોકો માટે લેવાયો છે જેઓ ડરના માર્યા બિનજરૂરી સ્ટોક કરી રહ્યા છે.
ગેસના ભાવમાં થયેલો વધારો અને તેની અસર
નોંધનીય છે કે 7 માર્ચે IOCL એ ગેસના ભાવમાં મોટો વધારો કર્યો હતો. 14 કિલોના ઘરેલું LPG સિલિન્ડરના ભાવમાં ₹60 અને કોમર્શિયલ સિલિન્ડરમાં ₹115 નો વધારો કરવામાં આવ્યો છે. આ વધારા બાદ હોટલ અને રેસ્ટોરન્ટ માલિકોની મુશ્કેલીઓ પણ વધી છે. મુંબઈ અને બેંગલુરુ જેવા શહેરોમાં રેસ્ટોરન્ટ્સ પાસે માત્ર બે દિવસનો ગેસ બચ્યો હોવાના અહેવાલો મળ્યા છે, જેને પગલે સરકાર હવે હરકતમાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : Anupamaa Spoiler: પ્રેરણાના રોલમાં ભાવના અજવાનીની જગ્યાએ આ એક્ટ્રેસની એન્ટ્રી, સિરિયલની સૌથી ખતરનાક વિલન બનવા તૈયાર; વાંચો લેટેસ્ટ અપડેટ
રિફાઇનરીઓને વધુ ઉત્પાદન કરવા આદેશ
મધ્ય પૂર્વના યુદ્ધને કારણે સપ્લાય ચેઈનમાં અવરોધ ન આવે તે માટે પેટ્રોલિયમ મંત્રાલયે ઓઈલ રિફાઇનરીઓને એલપીજીનું ઉત્પાદન વધારવા સૂચના આપી છે. આ વધારાના ઉત્પાદનનો ઉપયોગ પ્રાથમિકતાના ધોરણે ઘરેલું ગેસ માટે કરવા માટે કહેવામાં આવ્યું છે. સરકારે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ અફવાઓ પર ધ્યાન ન આપે અને માત્ર જરૂરિયાત મુજબ જ બુકિંગ કરે, જેથી વિતરણ વ્યવસ્થા જળવાઈ રહે.
