News Continuous Bureau | Mumbai
-D.K.
જે સમયે છીનવ્યું છે તે સમય જ પાછું આપશે, આ સનાતન સત્ય હાલમાં હળદરના વેપારમાં જોવા મળે છે. બે મહિના પહેલા જે લોકો ઉંચા વાવેતર અને વધારે પાકના અંદાજ સાથે મંદીમાં હતા તેમને વધતા ભાવે પારાવાર નુકસાન કરવું પડ્યું હતું. જો કે છેલ્લા એક મહિનાથી સમય બદલાયો છે. છઠ્ઠી જાન્યુઆરી-૨૦૨૬ ના રોજ એનસીડેક્સના વાયદામાં હળદરના ક્વિન્ટલ દિઠ ભાવ ૧૯૦૫૦ રૂપિયાની સપાટીએ હતા તે ૧૩ મી ફેબ્રુઆરી-૨૦૨૬ ના રોજ ક્વિન્ટલદિઠ ૧૫૦૦૦ રુપિયાની સપાટી દેખાડતા હતા. નવેમ્બર મહિનામાં વાવાઝોડાના કારણે પાકને નુકસાન થયું ત્યારે હળદરમાં તેજીનો ચમકારો જોવા મળ્યો હતો. પરંતુ હવે ઇરોડ, સાંગલી તથા નિઝામાબાદમાં નવી સિઝનની હળદરની આવકો શરૂ થઇ છે. ત્યારે તેજીવાળા લીલા સંકેલીને અદ્રશ્ય થઇ રહ્યા છે.
વાવેતરના વિસ્તારોમાંથી મળતા અહેવાલો પ્રમાણે હાલમાં નિઝામાબાદમાં સરેરાશ દૈનિક ૧૫૦૦૦ બોરી હળદરની આવકો થઇ રહી છે જે આવતા મહિને હજુ વધવાની ધારણા છે. આજરીતે સાંગલીમાં પણ સેમ્પલો આવવા માંડ્યા છે જ્યાં હોળીના તહેવારો પુરા થતાં જ પુર જોશમાં આવકો શરૂ થશે. ઇરોડમાં પણ માર્ચ મહિનાનાં પ્રથમ સપ્તાહથી હળદરની મોટાપાયે આવક શરૂ થવાની ગણતરી છે. હકિકતમાં કુલતી સિઝને જ ખેડૂતોને ધારણા પ્રમાણેના એટલે કે ૧૮૦૦૦ રૂપિયાથી ઉપરના ભાવ મળતા હતા એટલે આવક એકદમ વધવા માંડી જેના પ્રમાણમાં માંગ ન હોવાથી બજાર તુટી રહ્યું છે.
વેપારી વર્તુળોના અહેવાલ સાચા માનીએ તો વિતેલા ચોમાસામાં સારા વરસાદ સાથે ૩.૦૨ લાખ હેક્ટરમાં હળદરનું વાવેતર થયું હતું જે ગત વર્ષની સરખામણીએ ૪ ટકા વધારે હતું. સાથે જ સ્પાઇસ બોર્ડનાં અહેવાલોમાં ઉત્પાદન ૧૧.૪૧ લાખ ટન થવાની ધારણા મુકાઇ હતી. જેના કારણે સુકી હળદરનો પાક ૯૦ લાખ બોરી આવવાનો અંદાજ મુકાઇ રહ્યો છે. જે ગત વર્ષે ૮૨.૫૦ લાખ બોરીનો હતો. જો કે દર વર્ષની જેમ આ વખતે પણ વ્યવસાયિક સર્વે હળદરનું ઉત્પાદન ૪૬૦૦૦૦ ટન રહેવાની ધારણા મુકાઇ છે. જ્યારે આયાત ૧૦૦૦૦ ટનની રહેશે.પરિણામે કુલ પુરવઠો ૪.૭૮ લાખ ટનનો રહેશે.
આ અગાઉ અમેરિકા તથા યુરોપની મોટાપાયે ખરીદી નીકળી હતી જે હાલમાં લગભગ ઠપ્પ છે. સામાપક્ષે ગુણવત્તાવાળા માલોની ખેંચ રહેશે એ વાત પણ નક્કી છે. ગત સિઝન પુરી થઇ ત્યારે સ્ટોક માંડ ૧૦૦૦૦ ટનનો હોવાનો અંદાજ છે તેથી જો ભાવ ૧૪૦૦૦ થી નીચે જાય તો ખેડૂતોઐ રાહ જોવી જોઇએ અને ૧૭૦૦૦ થી ઉપર જાય તો માલ વેચીને હળવા થઇ જવું હિતાવહ ગણાશે. બ્રોકરોનું અનુમાન છે કે ૧૫૦૦૦ રૂપિયાથી નીચા ભાવે સ્ટોકિસ્ટો અને નિકાસકારોની માગ નીકળે છે. તેથી આ સપાટીને ટર્નિંગ પોઇન્ટ ગણવી જોઇએ.
વૈશ્વિક બજારમાં ઇન્ડોનેશિયામાં પણ પાકની સ્થિતી ખરાબ હોવાના અહેવાલ છે, જો માલ આવશૈ તો પણ ગુણવત્તા નબળી રહેશે. જેનાથી નિકાસની ગુંવત્તાવાળા માલ બહુ ઓછા આવશે. એપ્રિલ-૨૦૨૫ થી નવેમ્બર-૨૦૨૫ સુધીમાં હળદરની નિકાસ ગત વર્ષની નિકાસ કરતા ચાર ટકા જેટલી વધારે થઇ છે.
બજારના નિષ્ણાંતો હજુ માને છે કે સારી ગુણવત્તાવાળી હળદરની ખેંચ રહેશે ત્યારે ફરી હળદરના ભાવ ઉંચકાઇ શકે છે. તેથી ખેડૂતો એ અત્યારે જોખમ ન લેવું હોય તો તેમણે એનસીડેક્સના પુટ ઓપ્શન ખરીદીને તેમનો ન્યુનતમ નફો બુક કરી લેવો જોઇએ. આમેય તે ઓપ્શનના સોદા વાયદાના ભાવથી સેટલ થાય છે. હાલમાં વાયદામાં સરેરાશ દૈનિક ૧૨૫ કરોડ રૂપિયાના વોલ્યુમ થાય છે જ્યારે ૨૦૦૦૦ ટનનું ઓપન ઇન્ટરેસ્ટ છે. તેથી વાયદો એકદમ સુરક્ષિત છે.
વાયદાનો ગ્રાફ એવું સુચવે છે કે હળદરમાં બે કે ત્રણ મહિનાની સાયકલ બાદ ભાવની દિશા બદલાય છે. વળી હજુ તો નવા માલની આવકો શરૂ થઇ છે. ક્વોલીટીની સાચી માહિતી માર્ચ મહિનામાં જ મેળવી શકાશે.
