News Continuous Bureau | Mumbai
વારંવારની નોટિસ બાદ પણ પ્રોપર્ટી ટેક્સ નહીં ભરનારા ડિફોલ્ટરોની મિલકત પાલિકાએ જપ્ત કરી છે. જપ્ત કરેલી મિલકત માલિકને 15 દિવસનો ફરી સમય આપતી નોટિસ આપવામાં આવી છે. આ સમયગાળામાં ટેક્સ નહીં ભર્યો તો તેમની માલમત્તાની લિલામી કરી નાખવામાં આવશે એવી પાલિકાએ ચોખ્ખા શબ્દોમાં ચેતવણી આપી છે.
પાલિકાએ જપ્ત કરેલી માલમત્તાની લિલામી કરવાની છે. જપ્ત કરેલી માલમત્તાનું મૂલ્ય નક્કી કરવા માટે ટેન્ડર મગાવીને બહુ જલદી સંસ્થાની નિમણૂક કરવામાં આવવાની હોવાનું પાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સુનીલ ધામણેએ કહ્યું હતું.
ડિફોલ્ટરો પાસેથી પ્રોપર્ટી ટેક્સ વસૂલ કરવા માટે એક એક્શન પ્લાન બનાવવામાં આવ્યો હતો. તે પ્લાન મુજબ આ વર્ષે પ્રોપર્ટી ટેક્સના માધ્યમથી છ હજાર કરોડ રૂપિયાની વસૂલીનો ટાર્ગેટ રાખવામાં આવ્યો હતો. આ ટાર્ગેટ મુજબ પાલિકા 5030 કરોડ રૂપિયાનો પ્રોપર્ટી ટેક્સ વસૂલ કરી ચૂકી છે. એટલે કે લગભગ 84 ટકા ટેક્સ વસૂલ થઈ ગયો છે
આ સમાચાર પણ વાંચો : સારા સમાચાર.. મુંબઈ 100 ટકા કોરોના મુક્તિની દિશામાં.. સક્રિય દર્દીઓમાં આટલા ટકા દર્દીઓ લક્ષણો વગરના; જાણો વિગતે
બાકી રહેલો ટેક્સ વસૂલ કરવા માટે કરવામાં આવેલી કાર્યવાહી માં અત્યાર સુધી લગભગ 5,821 પ્રોપર્ટી જપ્ત કરવામાં આવી છે. જેમાં બિલ્ડિંગ, પ્લોટ, ઓફિસ, હેલિકોપ્ટર, વાહનો, કમ્પ્યુટર, એસી વગેરેનો સમાવેશ થાય છે. તેમાં 3,978 કરોડ રૂપિયા વસૂલવાના બાકી છે. તો જપ્તીની કાર્યવાહીમાથી અત્યાર સુધી બાકી રહેલા 728 કરોડ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા છે.