News Continuous Bureau | Mumbai
- રાજ્યભરમાંથી આચાર્ય ડૉ.રીટાબેન સહિત અન્ય એક શિક્ષકને ‘શિક્ષક દિન’ના અવસરે રાષ્ટ્રપતિના હસ્તે પુરસ્કાર મળશે
- ‘સાચા પરિશ્રમનું ફળ ઈશ્વર હંમેશા આપે જ છે અને એનું સાક્ષાત દ્રષ્ટાંત હું પોતે જ છું’: આચાર્ય ડૉ. રીટાબેન
Teachers Day : મહાન લક્ષ્ય, જ્ઞાનની પ્રાપ્તિ, કઠોર પરિશ્રમ અને દ્રઢ નિશ્ચય..જો આ ચાર શબ્દોને અનુસરવામાં આવે તો જીવનમાં સફળતા હાંસલ કરતા કોઈ તાકાત તમને રોકી નહીં શકે.” મહાન વૈજ્ઞાનિક, ભારતના મિસાઈલ મેન, પૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. એ.પી.જે.અબ્દુલ કલામના આ ધ્યેય વાક્યને આત્મસાત કરી શિક્ષણક્ષેત્રે ૩૩ વર્ષની સુદીર્ઘ મંજલ કાપી અનેક વિદ્યાર્થીઓનું જીવન ઘડતર કરનારા સુરત શહેરની પી.એમ.બચકાનીવાલા શાળાના આચાર્ય ડૉ.રીટાબેન ફૂલવાળાની વર્તમાન વર્ષે રાષ્ટ્રીય કક્ષાના ‘શ્રેષ્ઠ શિક્ષક’ તરીકે પસંદગી કરવામાં આવી છે.
સુરતના ખટોદરા, ખરવરનગરમાં આવેલી શેઠ પી.એચ.બચકાનીવાલા વિદ્યામંદિરમાં વર્ષ ૧૯૯૧માં ઇન્ચાર્જ આચાર્ય અને વર્ષ ૧૯૯૫થી આચાર્ય તરીકે તેઓ ફરજ બજાવે છે. નોંધનીય છે કે,દર વર્ષે શિક્ષક દિનના અવસરે આખા દેશના ૫૦ શિક્ષકોને દિલ્લી ખાતે રાષ્ટ્રપતિના હસ્તે રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવે છે. જેમાં આ વર્ષે ગુજરાતનાં બે શ્રેષ્ઠ શિક્ષકો પૈકી આચાર્ય રીટાબેનની પસંદગી સાથે સુરતનું ગૌરવ પણ વધ્યું છે.
‘સંઘર્ષ વિના સફળતા નહીં’ એમ જણાવી તેમણે પોતાની સંઘર્ષમય શિક્ષણ સફર વર્ણવતા કહ્યું કે, B.sc ગોલ્ડ મેડલિસ્ટ થયા બાદ લગ્ન નક્કી થતા મને આગળ કારકિર્દી બનાવવા કે નોકરી કરવા માટે ના પાડવામાં આવી હતી. પરંતુ મારી આત્મનિર્ભર બનવાની પ્રબળ ઇચ્છાને લાઈફ પાર્ટનરનો સહયોગ મળતા જ મેં તક ઝડપી આગળનું ભણતર શરૂ કર્યું.
દરરોજના આ નિત્યક્રમ સાથે B.Ed અને પછી M.Edમાં ડિસ્ટિકશન સાથે ઉત્તીર્ણ થઈ. શૈક્ષણિક જ્ઞાન અને અભિરૂચી સાથે P.hd પૂર્ણ કર્યું અને પછી ‘ધેર ઈઝ નો લુક બેક’ એમ કહી હળવા સ્મિત સાથે તેમણે વાતને આગળ ધપાવી. એક વર્ષ શિક્ષક તરીકે અને વર્ષ ૧૯૯૧થી મેં ઇન્ચાર્જ આચાર્ય તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. જે પાછલા ૩૩ વર્ષોથી અવિરત પણે ચાલુ છે. પોતાના સંઘર્ષને એક વાક્યમાં તારવતા તેમણે કહ્યું કે, સાચા પરિશ્રમનું ફળ ઈશ્વર હંમેશા આપે જ છે. જેનું સાક્ષાત દ્રષ્ટાંત હું પોતે જ છું.
આચાર્ય રીટાબેનને વર્ષ ૨૦૧૩માં રાજ્યના શ્રેષ્ઠ આચાર્યનો એવોર્ડ, ‘શિક્ષા રત્ન એવોર્ડ’, અવંતિકા એવોર્ડ અને શાળાને જિલ્લાની શ્રેષ્ઠ શાળાનો ઍવોર્ડ અપાવી રોકડ રકમ પુરસ્કાર અને સન્માન પ્રાપ્ત થયું હતું.
વર્ષોના શૈક્ષણિક અને વહિવટી અનુભવોને આધારે ડૉ. રીટાબેને પોતાની શાળાની સાથોસાથ નૈતિક જવાબદારીના ભાગરૂપે શિક્ષણ જગતને પણ અનેરૂ યોગદાન આપ્યું છે. અવારનવાર શાળા કે અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં સાંસ્કૃતિક કાર્યક્રમ સેમિનાર અને તાલીમ વર્ગોમાં માર્ગદર્શક, નિર્ણાયક, મોટીવેટર તથા ઉદઘોષક તરીકેની ભૂમિકાઓ ભજવી છે. તેઓ ૨૫ વર્ષથી મહિલા ઉત્કર્ષ માટે ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ સાથે પણ સંકળાયેલા છે. સમાજમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.
‘sky is the limit’ વિધાન સાથે હરહંમેશ શિક્ષિત અને આત્મનિર્ભર બનવા માંગતી અનેક મહિલાઓને તેમને મળતી વિશાળ તક ઝડપી આગળ વધવા પ્રોત્સાહન આપતા આચાર્યશ્રીએ તેમની સફળ જીવનકથાથી સાબિત કર્યું છે કે, ‘મક્કમ મનોબળ, આત્મવિશ્વાસ અને અથાગ પરિશ્રમથી ઇચ્છિત પરિણામ શક્ય છે.’
આ સમાચાર પણ વાંચો : G20 Summit: G-20 આપણા બધા માટે મોટી તક… જાણો G20થી ભારતને શું થશે ફાયદો! સંપુર્ણ વિગતો વિગતવાર વાંચો અહીં…