News Continuous Bureau | Mumbai
P P Savani બે દિવસમાં કુલ ૧૩૩ દીકરીઓને લાગણીસભર વિદાય અપાઈ
પરિવારજનના અંગદાનની સંમતિ આપનાર બહેનોના હસ્તે દીપ પ્રાગટ્ય
૧૩૩ દીકરીઓને પિતા મહેશભાઈ સાથે નવો પરિવાર મળ્યો
એક ખ્રિસ્તી સહીત ૫૬ દીકરીને સવાણી પરિવારે વિદાય આપી
વિદાયવેળાએ સર્જાયા લાગણીશીલ દ્રશ્યો: દરેક દીકરીના માથે હાથ મૂકીને મહેશ સવાણીએ વિદાય આપી
મહાનુભાવોના હસ્તે સર્વ ધર્મ, સર્વ જ્ઞાતિની દીકરીઓનું કન્યાદાન એક મંડપમાં થયું
સવાણી પરિવાર દ્વારા ‘કોયલડી’ નામે સતત ૧૮મા વર્ષે લાગણીભીનો લગ્નોત્સવ: મહેશભાઈ સવાણી હવે ૫૫૩૯ દીકરીઓના પાલક પિતા બન્યા
સુરત:રવિવાર- તા.૨૧ : પી.પી.સવાણી પરિવારના આંગણે દર વર્ષે યોજાતા પિતાની છત્રછાયા ગુમાવેલી દીકરીના ભવ્ય લગ્ન સમારોહમાં આજે બીજા દિવસે સમાજના અનેક મહાનુભાવો અને અધિકારીઓની હાજરીમાં કન્યા વિદાયના લાગણીશીલ દ્રશ્યો સર્જાયા હતા. દરેક દીકરીના માથે હાથ મુકીને મહેશ સવાણી પિતા તરીકેની હુંફ આપીને દરેક દીકરીને લગ્ન પછીની તમામ જવાબદારી ઉઠાવવાની ખાતરી પણ આપતા હતા. આ અનોખા લગ્ન સમરોહ યોજાય છે સમુહમાં પણ એમાં દરેક દીકરીને પોતીકો પ્રસંગ લાગે એવી રીતે ઉજવાય છે.

‘કોયલડી’ લગ્નોત્સવમાં બે દિવસ દરમિયાન મહાનુભાવોના હસ્તે સર્વ ધર્મ, સર્વ જ્ઞાતિની ૧૩૩ દીકરીઓનું કન્યાદાન એક મંડપમાં થયું હતું. વર અને કન્યા પક્ષના હજારો મહેમાનો આ લાગણીસભર ક્ષણોના સાક્ષી બન્યા હતા. મહેશભાઈ સવાણી હવે ૫૫૩૯ દીકરીઓના પાલક પિતા બન્યા છે.
સ્વાગત કરતા પી.પી.સવાણી પરિવારના શ્રી મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે, કોયલડી લગ્ન સમારોહમાં પરણતી ૧૩૩ કન્યા પૈકી ૯૦ ટકા કન્યા એવી છે જેમના પરિવારમાં પિતા કે ભાઈ કોઈ નથી. અનેક જ્ઞાતિ, સમાજ અને પ્રદેશની દીકરીઓ એક જ માંડવે પરણીને સાસરે જઈ રહી છે. માતા-પિતા વિહોણી દીકરીઓને પરિવારની હૂંફ આપી તેમના લગ્ન અને લગ્ન બાદ પણ સામાજિક જવાબદારી નિભાવવાનું કાર્ય આત્મસંતોષ આપે છે.
મહેશભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, બે દીકરીઓથી શરૂ કરેલો લગ્નોત્સવ આજે ૧૨મો લગ્ન સમારોહ યોજાઈ રહ્યો છે.અમે માત્ર કન્યાદાન કે કરિયાવર આપતા નથી, પણ પિતાની તમામ જવાબદારી નિભાવીએ છીએ. દીકરીઓને અમૂલ્ય શીખ આપતા તેમણે કહ્યું કે, સૌને સાથે રાખીને પરિવારને એક તાંતણે બાંધી રાખજે. સાસરે દૂધમાં સાકરની ભળી જઈ એક અને નેક બની પરિવારની તમામ જવાબદારીઓ નિભાવી દામ્પત્યજીવનને ઉજાળજે.
આજના લગ્ન સમારોહમાં ૫૬ દીકરીઓએ પ્રભુતામાં પગલા માંડ્યા છે. આ કાર્યક્રમની શરૂઆતમાં દીપ પ્રાગટ્ય એવી ૧૬ બહેનોના હસ્તે થયું હતું કે જેમને પોતાના પરિવારજનના અંગદાનની સંમતિ આપી હતી. સુરતમાં પ્રવૃત એવી જીવનદીપ ઓર્ગન ડોનેશન સંસ્થા દ્વારા અંગદાન માટે સતત જાગૃતિની પ્રવૃત્તિ થતી રહે છે એમણે લગ્ન સમારોહમાં પણ અંગદાન જાગૃતિની પ્રવૃત્તિ કરી હતી.
રવિવારની મોડી સાંજે લગ્ન અને ઉત્સવના ગીત ગુંજતા હતા એ ધીમે-ધીમે વિદાયના સુરમાં પરિવર્તિત થઇ ગયા અને શાંતિને ભેદીને મંડપમાં ડૂસકાંઓની નાની નાની લહેરો ઉઠવા લાગી. ખુશીના રંગો વિદાયની વેદનામાં રૂપાંતરિત થયા. દીકરીઓ એક પછી એક પોતાની માતાને, બહેનોને, સ્નેહીજનોને ભેટીને રડી રહી હતી, પરંતુ જ્યારે દીકરીઓ પાલક પિતા એવા મહેશભાઈને મળવા આગળ વધી, ત્યારે લાગણીઓના બંધ તૂટી પડ્યા. દીકરી અને મહેશભાઈ બંનેની આંખોમાંથી આંસુઓનો ધોધ વહેવા લાગ્યો. એ માત્ર આંસુ નહોતા એમાં પિતૃત્વનો સાગર અને નિષ્કામ પ્રેમનો પ્રકાશ હતો. મહેશભાઈ દરેક માંડવામાં પહોંચીને, દરેક દીકરીના માથે હાથ મૂકી, આશીર્વાદ વરસાવી રહ્યા હતા.
આ સમાચાર પણ વાંચો :Trump Mass Deportation 2026: અમેરિકામાં રહેતા પરપ્રાંતીયો સાવધાન! ૨૦૨૬માં ટ્રમ્પ સરકાર શરૂ કરશે સૌથી મોટું સર્ચ ઓપરેશન, ઓફિસો અને ફેક્ટરીઓમાં પડશે દરોડા.
*તુલસી અર્પીને સાસુએ વહુને સ્વીકારી*
માહ્યરામાં લગ્નવિધિ પહેલા સાસુએ વહુને તુલસી છોડ અર્પણ કરીને સ્વાગત કરીને સ્વીકારી હતી, આ સ્વીકાર માત્ર વહુ તરીકે નહિ પણ એ વહુની તમામ જવાબદારી સાથે એનો સ્વીકાર પ્રતીકાત્મક રીતે મહેશભાઈ સવાણી એ કરાવ્યો હતો. જેને “તુલસીનો ક્યારો” કહેવાય છે, એવી દીકરીઓને સાસુઓએ હાથ પકડી લગ્નમંડપ સુધી દોરી. કોઈ લગ્ન પ્રસંગમાં સાસુઓને આટલું સન્માન અપાયું હોય એવો કદાચ આ પહેલો અવસર હશે.
*પિતા, પુત્ર અને દીકરીઓના પુસ્તકનું વિમોચન*
જાણીતા લેખક-વક્તા શૈલેષભાઈ સગપરિયાએ લિખિત શ્રી વલ્લભભાઈ સવાણીના જીવનચરિત્ર પુસ્તક ‘આરોહણ’ અને મહેશભાઈ સવાણીના જીવનચરિત્ર પર ડો.જિતેન્દ્ર અઢિયાએ લખેલા પુસ્તક ‘પ્રેરણામૂર્તિ’ અને પિતાવિહોણી દીકરીઓના લાગણીસભર પત્રોના પુસ્તક ‘કોયલડી’ નું વિમોચન મહાનુભાવોના હસ્તે થયું હતું. પિતા, પુત્ર અને દીકરીઓના સંકલિત પત્રોના વિશેષ પુસ્તકનું એક જ મંચ ઉપર એક જ સાથે વિમોચન થયું હોય એવું વિરલ ઘટના બની હતી.