ન્યુઝ કન્ટિન્યુઝ.
મુંબઈ, 30 ઑક્ટોબર, 2021
શનિવાર
શિવસેના છોડીને ભાજપમાં પ્રવેશ કરનારા માથેરાન નગરપરિષદના 10 નગરસેવકોને રાયગઢ જિલ્લા અધિકારીએ પક્ષાંતરબંધી કાયદા હેઠળ અપાત્ર જાહેર કર્યા છે.
માથેરાનમાં શિવસેનામાંથી ચૂંટાયેલા નવ અને એક સ્વીકૃત એમ 10 નગરસેવકોએ ૨૭ મે, ૨૦૨૧ના ભાજપમાં પ્રવેશ કર્યો હતો. આ દરમિયાન રાયગઢ જિલ્લાઅધિકારી તરીકે પદ સ્વીકારવાના દોઢ મહિનાની અંદર જ માથેરાનના ૧૦ નગરસેવકોને બાદ કરવાનો હિંમતભર્યો નિર્ણય લીધો હતો. એને પગલે શિવસેના કૅમ્પમાં ખુશીનો માહોલ સર્જાયો હતો.
૨૦૧૬માં માથેરાન હિલ સ્ટેશન નગરપરિષદની ચૂંટણીમાં શિવસેનામાંથી ચૂંટાયેલા દસ નગરસેવકો ૨૭ મેના કોલ્હાપુરમાં પ્રદેશાધ્યક્ષ ચંદ્રકાત પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. એથી શિવસેના સેક્રેટરી અને સાંસદ અનિલ દેસાઈ અને માથેરાન નગરપાલિકાના શિવસેનાના ગ્રૂપ લીડર પ્રસાદ સાવંતે રાયગઢના ત્યારના જિલ્લાઅધિકારી સમક્ષ વાંધો લીધો હતો. તેેથી ૨૧ જૂનના તમામ 10 નગરસેવકોને નોટિસ ફટકારવામાં આવી હતી. ત્યાર બાદ એના પર સુનાવણી થઈ હતી. દરમિયાન જિલ્લાઅધિકારીની બદલી થઈ ગઈ હતી. નવા જિલ્લાઅધિકારી સામે ૨૬ ઑક્ટોબરે અંતિમ સુનાવણી થઈ હતી. છેવટે પૂરી તપાસ બાદ પક્ષપલટા કાયદા હેઠળ તમામ 10 નગરસેવકોને અપાત્ર જાહેર કરવામાં આવ્યા હતા. માથેરાન પાલિકાના સભ્યોની મુદત જાન્યુઆરી ૨૦૨૨માં પૂરી થઈ છે. એથી આગામી ચૂંટણી જાહેર થાય ત્યાં સુધી આ સભ્યો ગેરલાયક રહેશે.
