ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 18 સપ્ટેમ્બર, 2021
શનિવાર
બિહાર અને ગુજરાતમાં કૉન્ગ્રેસ પાર્ટીના પુનર્ગઠનમાં સતત વિલંબ થઈ રહ્યો છે. આ વિલંબ બિહારના ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીના નેતા કનૈયાકુમાર અને ગુજરાતના અપક્ષ જિજ્ઞેશ મેવાણીને કારણે થઈ રહ્યો હોવાનું માનવામાં આવે છે. આ બંને નેતાઓ કૉન્ગ્રેસમાં જોડાવા હોવાની ચર્ચા છે. જોકે હજી સુધી તેમની સાથેની વાતચીતથી કોઈ અંતિમ નિર્ણય આવ્યો ન હોવાનું માનવામાં આવે છે. બંને નેતાઓએ હાલમાં જ કૉન્ગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથે દિલ્હી ખાતે મુલાકાત કરી હતી, પરંતુ વાત કેટલે આગળ પહોંચી એના પર પક્ષ તરફથી કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. એથી આ બંને નેતાઓને કારણે ગુજરાતમાં અને બિહારમાં કૉન્ગેસનાં કામ અટવાયાં હોવાની નારાજગી અનેક સ્થાનિક નેતાઓ વ્યક્ત કરી ચૂક્યા છે. એટલું જ નહીં, પણ આ બંને યુવા નેતાઓના કૉન્ગ્રેસમાં જોડાવવાથી કૉન્ગ્રેસને ફાયદો થશે એવું માનવા સામે પણ અનેક સ્થાનિક નેતાઓએ નારાજગી વ્યક્ત કરી છે.
પીએમ મોદીના જન્મદિવસ પર ભારતે રચ્યો ઈતિહાસ, એક દિવસમાં રેકોર્ડ 2.5 કરોડથી વધુ વેક્સીનેશન
બંને રાજ્યમાં સ્થાનિક નેતાઓ શું માને છે એની ફિકર કરતા હાલ આ બંને નેતાઓને વિધાનસભાની ચૂંટણી પહેલાં પક્ષમાં સમાવી લેવાની કૉન્ગ્રેસની યોજના હોવાનું માનવામાં આવે છે. ખાસ કરીને ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં ભીડને એકત્રિત કરવાની જિજ્ઞેશ મેવાણીની ક્ષમતાને જોતાં કૉન્ગ્રેસ તેમને પક્ષમાં ખેંચી લેવા ભારે પ્રયાસ કરી રહી છે. અહીં ઉલ્લેખનીય છે કે જિજ્ઞેશ મેવાણી અપક્ષ વિધાનસભ્ય છે અને તેમને ગઈ ચૂંટણીમાં કૉન્ગ્રેસે સમર્થન આપ્યું હતું. અલ્પેશ ઠાકોર, જિજ્ઞેશ મેવાણી અને હાર્દિક પટેલની ત્રિપુટી 2017ની ચૂંટણીમાં કૉન્ગ્રેસની સાથે હતી. કૉન્ગ્રેસે આ ચૂંટણીમાં સારું એવું કાઠું કાઢ્યું હતું. જોકે ચૂંટણી જીતી શકી નહોતી, પરંતુ ભાજપની વર્ષો બાદ સીટોમાં ઘટાડો થયો હતો. ગુજરાતમાં ભાજપને ઍન્ટી-ઇન્કમબન્સીનો સામનો કરવો પડી શકે છે. એવામાં કૉન્ગ્રેસ કોઈ તક છોડવા માગતી નથી. એથી ચૂંટણી પહેલાં જિજ્ઞેશ મેવાણીને સાથે લેવા માગે છે, તો અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાઈ ગયા છે.
મહારાષ્ટ્ર-ગુજરાતના ટૂરિસ્ટોને ફરી એક વખત કાશ્મીર ભણી લઈ જવા, ટૂરિસ્ટ વિભાગના અધિકારીઓ મુંબઈ શહેરે
તો બિહારમાં જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી સ્ટુડન્ટ યુનિયન (JNU)ના ભૂતપૂર્વ અધ્યક્ષ કનૈયાકુમાર કૉન્ગ્રેસમાં કદાચિત જોડાઈ જાય એવું ચર્ચાઈ રહ્યું છે. કમ્યુનિસ્ટ પાર્ટીના નેતાઓ જોકે એનું ખંડન કરી રહ્યા છે અને તેમની કૉન્ગ્રેસમાં જોડાવાની વાતને અફવા ગણાવી રહ્યા છે. એની સામે કૉન્ગ્રેસના નેતાઓના કહેવા મુજબ કનૈયાકુમાર પહેલાં પણ રાહુલ ગાંધીને મળી ચૂક્યા છે. પાર્ટીમાં જોડાવાનો પ્રસ્તાવ ગઈ લોકસભાની ચૂંટણીથી જ પેન્ડિંગ રહ્યો છે.