News Continuous Bureau | Mumbai
દરેક વ્યક્તિ મુંબઈમાં પોતાના સપનાનું ઘર ખરીદવા માગે છે. મ્હાડા આવા ઈચ્છુકો માટે સસ્તામાં ઘર ઉપલબ્ધ કરતી હોય છે. પરંતુ ઓછા લોકો નસીબદાર હોય છે, જેને મ્હાડાની લોટરીમાં ઘર લાગે છે. વિજેતાઓની યાદીમાં નામ આવ્યા બાદ પણ હાથમાં ઘરનો કબજો મળે ત્યાં સુધીની પ્રક્રિયા પણ સરળ નથી. જોકે મ્હાડાએ તમામ પ્રક્રિયાઓને સરળ બનાવવા અને મ્હાડાને દલાલ મુક્ત બનાવવા નવી સિસ્ટમ અમલમાં લાવી રહી છે.
લોટરીમાં ઘર લાગ્યા બાદ સંબંધિત વ્યક્તિના દસ્તાવેજોના વેરિફિકેશન દરમિયાન વારંવાર ટેકનિકલ સમસ્યા ઊભી કરીને ફાઈલ બ્લોક કરવામાં આવતી હોવાની અનેક વખત ફરિયાદ થાય છે. તેથી લોટરી જીતનારા લોકોની મ્હાડાની હાઉસિંગ બિલ્ડિંગમાં ફરિયાદ નોંધાવનારાઓની ભીડ દિવસેને દિવસે વધી રહી છે. આને ધ્યાનમાં રાખીને મ્હાડાએ લોટરી પ્રક્રિયામાં માનવીય દખલગીરી રોકવા માટે એક ખાસ સિસ્ટમ શરૂ કરી છે. આનાથી મ્હાડાની આસપાસના દલાલોની અરાજકતામાંથી પણ છુટકારો મેળવવામાં મદદ મળશે એવું માનવામાં આવે છે.
આ સમાચાર પણ વાંચો : શિંદે ગ્રુપનું મિશન BMC- ગુજરાતીઓ મતદારોને આકર્ષવા આ ધારાસભ્યએ નવરાત્રીમાં ગરબા રમવાની મંજૂરીને લઈને કરી આ માંગણી
મ્હાડા મુંબઈ સહિત રાજ્યભરમાં હાઉસિંગ પ્રોજેક્ટ હાથમાં ધરે છે. ઉપલબ્ધ મકાનોની સરખામણીએ તેમાં ઈચ્છુકોની સંખ્યા વધુ છે. તેથી, મકાનો વેચવા માટે લોટરી પદ્ધતિ અપનાવવામાં આવી છે. અગાઉ લોટરી ચિઠ્ઠીઓ મારફત થતી હતી. છેલ્લા કેટલાક વર્ષોથી ઓનલાઈન પદ્ધતિ અપનાવવામાં આવી રહી છે. જો કે, લોટરીની પ્રક્રિયા ઓનલાઈન થયા પછી પણ ભ્રષ્ટાચાર ચાલુ રહે છે અને લોટરી પછીની પ્રક્રિયા ઘણા વર્ષો સુધી સમાપ્ત થતી નથી. વર્ષોથી ચાલી રહેલું વેઇટિંગ લિસ્ટ ખતમ જ થતું નથી. પઝેશન મેળવવામાં પણ 15 થી 20 વર્ષનો સમય લાગે છે.
આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને મ્હાડાએ લોટરીની સમગ્ર પ્રક્રિયામાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. ઓથોરિટીએ દરખાસ્ત સ્વીકારી લીધી છે અને હવે રાજ્ય સરકારની મંજૂરીની રાહ જોવાઈ રહી છે. આ માટે નવી કોમ્પ્યુટરાઈઝ સિસ્ટમ તૈયાર કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં તેનું પરીક્ષણ પૂર્ણ થશે અને તેને કાર્યરત કરવામાં આવશે.
મ્હાડા લોટરીમાં ઘર દીઠ એક અથવા અમુક લોટરીમાં બે કે ત્રણ અરજદારોને વેઇટિંગ લિસ્ટ દ્વારા પસંદ કરવામાં આવે છે. અસલ વિજેતાને ગેરલાયક ઠેરવ્યા પછી વેઈટીંગ લિસ્ટના વિજેતાઓને તેમની જગ્યાએ લેવાની તક આપવામાં આવે છે. જો યાદીમાં પ્રથમ વિજેતા ગેરલાયક ઠરે છે, તો યાદી પરના બીજા નંબરના વિજેતાને તક આપવામાં આવે છે. યાદી આ રીતે આગળ વધે છે.
આ સમાચાર પણ વાંચો : હેરાનગતિ માટે તૈયાર થઈ જાઓ- આ તારીખથી ટેક્સી-રિક્ષાવાળાઓ બેમુદત હડતાળ પર – જાણો શું છે કારણ
જો કે, 15 થી 20 વર્ષ સુધી વેઇટિંગ લિસ્ટનો અંત આવતો નથી અને અધિકારીઓ અને દલાલો વિજેતાઓને વંચિત રાખીને મકાનોના વિતરણમાં ભ્રષ્ટાચાર કરી રહ્યા હોવાનું ધ્યાને આવ્યું છે. તેથી વેઇટિંગ લિસ્ટ બંધ કરવાની દરખાસ્ત ઓથોરિટી સમક્ષ મૂકવામાં આવી છે.
જો વેઇટિંગ લિસ્ટ બંધ થશે, તો અયોગ્યતાને કારણે વેચવામાં ન આવેલા મકાનો માટે સંયુક્ત ડ્રો કરવામાં આવશે, એમ મુંબઈ બોર્ડના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. મ્હાડાએ પહેલેથી જ સમગ્ર પ્રી-ડ્રો અને પોસ્ટ-ડ્રો પ્રક્રિયા ઓનલાઈન કરી દીધી છે. જોકે, હવે વેઇટિંગ લિસ્ટ જેવી સિસ્ટમ પણ રહેશે નહીં.
અત્યાર સુધી અમુક ચોક્કસ દસ્તાવેજો (PAN કાર્ડ, આધાર કાર્ડ) ડ્રો માટે જરૂરી હતા અને ડ્રો પછી આવકનો દાખલો, રહેઠાણનો પુરાવો, અનામત જાતિ પ્રમાણપત્ર અને અન્ય દસ્તાવેજો સબમિટ કરીને પાત્રતા નક્કી કરવામાં આવતી હતી. પરંતુ હવે અરજી ભરતી વખતે તમામ દસ્તાવેજો સબમિટ કરવાના રહેશે. ડ્રો પહેલા પાત્રતા નિર્ધારણ પૂર્ણ કરવામાં આવશે. તેથી, પરિણામ પછી સીધું લેટર આપીને ઘરની રકમ વિજેતાઓ પાસેથી લઈને તેમને ઘર આપવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયા ઓનલાઇન હશે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ભ્રષ્ટાચાર પર અંકુશ આવશે અને દલાલોને કોઈ અવકાશ નહીં રહે.
આ સમાચાર પણ વાંચો : શાબ્બાશ મેરે શેર-શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ શિવસૈનિકોની થાબડી પીઠ- જાણો શું છે સમગ્ર મામલો
