ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
10 ઓક્ટોબર 2020
અમદાવાદ આવતા લોકો માટેનું એક સેન્ટર પોઈન્ટ કહેવાતું 157 વર્ષ જૂનું કાલુપુર રેલવે સ્ટેશન. ભરચક વિસ્તારમાં આવેલું આ સ્ટેશન આગામી દિવસોમાં દેશનું એક એવું ટ્રાન્સપોર્ટેશન હબ બની જશે, જ્યાં ત્રણ પ્રકારનાં સ્ટેશન બનાવવામાં આવશે. જેમાં નોર્મલ રેલવે-રેગ્યુલર પ્લેટફોર્મ પર, બુલેટ ટ્રેન-જમીનથી 20 મીટર ઊંચે અને મેટ્રો ટ્રેન- જે જમીનથી 20 મીટર નીચે બનશે. આ રીતે કાલુપુર એકમાત્ર સ્ટેશન હશે, જ્યાં સામાન્ય રેલવે, મેટ્રો અને બુલેટ ટ્રેન સ્ટેશન હશે.
નેશનલ હાઈ-સ્પીડ રેલવે કોર્પોરેશન લિમિટેડ અનુસાર, બુલેટ ટ્રેન માટે કોઈ અલગથી સ્ટેશન બનાવવામાં નહીં આવે. આ ટ્રેન કાલુપુર તેમજ સાબરમતી સ્ટેશન પરથી દોડતી જોવા મળશે. આ નિર્ણયથી મુસાફરોને અવરજવરમાં સરળતા થશે. મુસાફરો બીઆરટીએસ, એસટી સ્ટેન્ડ તેમજ એરપોર્ટથી કનેક્ટ રહી શકે એ માટે આ પ્લાનિંગ કરવામાં આવ્યું છે.
નેશનલ હાઈ-સ્પીડ રેલવે કોર્પોરેશન લિમિટેડ દ્વારા સ્ટેશનની ડિઝાઈન તેમજ કંસ્ટ્રક્શનની કામગીરીની સોંપણી માટે બીડ્સ મગાવાયાં છે. NHSRCLએ ગત મહિને જણાવ્યું હતું કે અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનનાં કુલ 12 સ્ટેશન બનશે, જેમાંથી સુરત, વાપી, બીલીમોરા, ભરૂચ અને નડિયાદ એમ 5 સ્ટેશન માટેનાં ટેક્નિકલ બીડ્સ ખોલવામાં આવ્યાં છે, જ્યારે અમદાવાદમાં કાલુપુરમાં બુલેટ ટ્રેનનું રેલવે સ્ટેશન સરસપુર તરફ તૈયાર કરવામાં આવશે.