News Continuous Bureau | Mumbai
NEET Paper Leak Case। NEETUG પરીક્ષાના પેપર લીક કૌભાંડમાં મહારાષ્ટ્ર કનેક્શનને લઈને મોટા ખુલાસા થયા છે. આ આખા કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ધનંજય લોખંડે હોવાનું સામે આવ્યું છે, જે પુણેના વાઘોલી વિસ્તારમાં રહીને અલગઅલગ શહેરોના એજન્ટો દ્વારા પેપર વેચતો હતો. ખાસ વાત એ છે કે, આ રેકેટમાં એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ અને નાના વેપારીઓનો એજન્ટ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો. રાજસ્થાન SOG બાદ હવે CBI આ મામલાની વધુ તપાસ કરી રહી છે.
સાયબર સિક્યુરિટીનો વિદ્યાર્થી જ નીકળ્યો એજન્ટ
પુણેના ફુરસુંગી વિસ્તારમાંથી પોલીસે શેષરાવ સોલંકી નામના વિદ્યાર્થીની અટકાયત કરી છે. શેષરાવ પુણેની પ્રતિષ્ઠિત કોલેજમાં ‘સાયબર સિક્યુરિટી’ એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યો હતો. જેણે સાયબર ગુના રોકવાના હતા, તે જ ધનંજય લોખંડેના કહેવા પર પેપર ખરીદનારા વિદ્યાર્થીઓ શોધવા અને તેમની પાસેથી પૈસા ઉઘરાવવાનું કામ કરતો હતો. પરીક્ષાના ચાર દિવસ પહેલા જ તેણે અનેક વિદ્યાર્થીઓનો સંપર્ક કર્યો હોવાના પુરાવા તેના મોબાઈલમાંથી મળ્યા છે.
બ્યુટી પાર્લર અને કરિયર કાઉન્સેલિંગની આડમાં રેકેટ
આ કૌભાંડના તાર પુણેના બિબવેવાડી અને નાસિક સુધી પહોંચ્યા છે. બિબવેવાડીમાં બ્યુટી પાર્લર ચલાવતી મનીષા વાઘમારે છેલ્લા ત્રણ વર્ષથી લોખંડેના સંપર્કમાં હતી અને એજન્ટ તરીકે કામ કરતી હતી. બીજી તરફ, નાસિકના ઈન્દિરા નગરથી શુભમ ખૈરનારની ધરપકડ કરવામાં આવી છે. શુભમ BAMS નો વિદ્યાર્થી છે અને કરિયર કાઉન્સેલર તરીકે કામ કરતો હતો. તેના પર હરિયાણાના ગુરુગ્રામમાં કુરિયર દ્વારા પેપર સેટ મોકલવાનો આરોપ છે.
ઓળખ છુપાવવા મુંડન કરાવ્યું પણ પોલીસથી બચી ન શક્યો
પોલીસને ચકમો આપવા માટે નાસિકના એજન્ટ શુભમ ખૈરનારે પોતાનું મુંડન (ટકલુ) કરાવી લીધું હતું અને તે દેવદર્શનના બહાને નાસી જવાની તૈયારીમાં હતો. જોકે, નાસિક પોલીસે માત્ર દોઢ કલાકમાં જ તેની ધરપકડ કરી લીધી હતી. ધનંજય લોખંડે આખું નેટવર્ક વાઘોલીથી ઓપરેટ કરતો હતો અને અત્યાર સુધીમાં આ કેસમાં 16 લોકોના નામ સામે આવ્યા છે.
