News Continuous Bureau | Mumbai
PSDS Method ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી દ્વારા વિકસાવવામાં આવેલી પીએસડીએસ (PSDS) પદ્ધતિ દ્વારા ખેડૂતો ઓછા ખર્ચે મિશ્ર બીજના ઉપયોગથી જમીનનું પુનર્જીવન કરી શકે છે અને નીંદણનું કુદરતી નિયંત્રણ કરી શકે છે.
PSDS Method – PSDS પદ્ધતિ એટલે શું અને તેનું સંચાલન કેવી રીતે થાય છે?
પ્રાકૃતિક ખેતીનો આધાર માત્ર રાસાયણિક ખાતરો અને જંતુનાશકોથી મુક્ત ખેતી સુધી મર્યાદિત નથી, પરંતુ જમીનને જીવંત, સક્રિય અને જૈવિક રીતે સમૃદ્ધ બનાવવામાં રહેલો છે. પરંપરાગત રીતે ખેડૂતો શણ અથવા ઢેંચા જેવા એક જ લીલા પડવાશ (Green Manure) પાકનું વાવેતર કરતા હતા, પરંતુ જમીનની જૈવિક વિવિધતા વધારવા માટે PSDS પદ્ધતિ એક ઉત્તમ વિકલ્પ છે. આ પદ્ધતિ હેઠળ મુખ્ય પાકની રોપણી પહેલાં ખેતરમાં વિવિધ પાકોના મિશ્ર બીજનું બ્રોડકાસ્ટિંગ (Broadcasting) કરવામાં આવે છે. આ મિશ્રણમાં આશરે ૩૦ ટકા મિલેટ્સ અને ધાન્ય વર્ગના પાકો, ૩૦ ટકા કઠોળ પાકો, ૧૦ ટકા તેલીબિયાં પાકો, ૨૦ ટકા લીલા પડવાશના પાકો તથા ૧૦ ટકા આવરણ (Cover) પાકોનો સમાવેશ થાય છે. આ પદ્ધતિની સૌથી મોટી વિશેષતા એ છે કે ખેડૂતોને બહારથી ખાસ બીજ ખરીદવાની જરૂર પડતી નથી અને પોતાના ખેતરમાં ઉપલબ્ધ સ્થાનિક પાકોના બીજનું મિશ્રણ તૈયાર કરી શકાય છે.
PSDS Method – જમીનની ફળદ્રુપતા અને સૂક્ષ્મજીવોની સક્રિયતામાં વધારો
બીજનું બ્રોડકાસ્ટિંગ કર્યા બાદ હળવું પિયત (Irrigation) આપવામાં આવે છે, જેનાથી ભેજ મળતાં જ વિવિધ પાકોની સાથે જમીનમાં રહેલા નીંદણના બીજ પણ અંકુરિત થાય છે. આ પ્રક્રિયાથી જમીનમાં રહેલા વિવિધ લાભદાયક સૂક્ષ્મજીવો પણ સક્રિય બનવા લાગે છે. આશરે ૧૮ થી ૨૧ દિવસમાં ખેતરમાં નોંધપાત્ર લીલો જૈવિક જથ્થો તૈયાર થઈ જાય છે, જેને જમીનમાં ભેળવી દેવામાં આવે છે. પરિણામે જમીનમાં સજીવ દ્રવ્ય, કાર્બન અને વિવિધ પોષક તત્ત્વોનો વધારો થાય છે. સંશોધનો દર્શાવે છે કે આ પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતા મૂળસ્રાવ (Root Exudates) જમીનમાં રહેલા માઇક્રોબિયલ વૈવિધ્યતા (Microbial Diversity) અને સૂક્ષ્મજીવ પ્રવૃત્તિને વેગ આપે છે, જે પાકના સ્વસ્થ વિકાસ માટે અત્યંત અનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે.
PSDS Method – નીંદણ નિયંત્રણ અને ટકાઉ ખેતીમાં મહત્વપૂર્ણ યોગદાન
પ્રાકૃતિક ખેતીમાં રાસાયણિક નીંદણનાશકોનો ઉપયોગ થતો ન હોવાથી PSDS પદ્ધતિ નીંદણ વ્યવસ્થાપન માટે અત્યંત અસરકારક સાબિત થઈ રહી છે. અંકુરિત થયેલા નીંદણ જમીનમાં લીલો જથ્થો દબાવતી વખતે કુદરતી રીતે જ દબાઈ જાય છે, જેથી સમય જતાં નીંદણના બીજનો ભંડાર ઘટે છે. ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ટીંબડીયાના જણાવ્યા મુજબ યુનિવર્સિટીના સંશોધન ફાર્મ પર થયેલા અભ્યાસોના પરિણામો અત્યંત ઉત્સાહજનક રહ્યા છે. આબોહવા પરિવર્તન (Climate Change) અને વધતા ખેતી ખર્ચ સામે લડવા માટે આ વૈજ્ઞાનિક અને વ્યવહારુ પદ્ધતિ ખેડૂતો માટે ટકાઉ ઉત્પાદન વધારવાનો એક મજબૂત પાયો પૂરો પાડે છે.
👉 આ સમાચાર વાચો:
Trial in Absentia ૨૬/૧૧ મુંબઈ હુમલા કેસમાં ઐતિહાસિક પગલું ભારતમાં પ્રથમવાર ‘ટ્રાયલ ઇન એબ્સેન્સિયા’ હેઠળ ચાલશે કેસ
