News Continuous Bureau | Mumbai
Sharad Pawar મહારાષ્ટ્રમાં બંને NCP ના વિલયની અટકળો વચ્ચે શરદ પવારે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને આડે હાથ લીધા છે. પવારે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, જ્યારે વિલય અંગેની વાતચીત ચાલી રહી હતી ત્યારે ફડણવીસ ત્યાં હાજર નહોતા, તેથી તેમને આ વિષય પર બોલવાનો કોઈ અધિકાર નથી. તેમણે વધુમાં ઉમેર્યું કે આ ચર્ચા જયંત પાટિલ અને અજિત પવાર વચ્ચે થઈ રહી હતી.બારામતીમાં આયોજિત પત્રકાર પરિષદમાં શરદ પવારે અનેક મહત્વના મુદ્દાઓ પર વાત કરી હતી. તેમણે અજિત પવારના નિધન બાદ ખાલી પડેલી બેઠક પર સુનેત્રા પવારના ડેપ્યુટી સીએમ તરીકેના શપથ ગ્રહણ પર પણ ખુશી વ્યક્ત કરી હતી. પવારે કહ્યું કે, “અમને આનંદ છે કે સુનેત્રા પવારને આ તક મળી.” આ નિવેદનને રાજકીય વર્તુળોમાં પવાર પરિવારની એકતાના સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે.
58 વર્ષની કારકિર્દી અને બજેટ પર નિવેદન
શરદ પવારે પોતાની સંસદીય કારકિર્દીનો ઉલ્લેખ કરતા કહ્યું કે, મહારાષ્ટ્ર વિધાનસભા, લોકસભા અને રાજ્યસભામાં તેમને 58 વર્ષ પૂર્ણ થયા છે. આ સમયગાળા દરમિયાન તેઓ ક્યારેય ગૃહમાં ગેરહાજર રહ્યા નથી. જોકે, અજિત પવારના અવસાનની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાને કારણે તેઓ આ વખતે બજેટ સાંભળવા માટે હાજર રહી શક્યા નહોતા. તેમણે કેન્દ્રીય બજેટમાં લેવાયેલા કેટલાક નિર્ણયોને સંતોષકારક ગણાવ્યા હતા.
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ અને ખેતી પર અસર
અમેરિકા દ્વારા ભારતીય ઉત્પાદનો પર ટેરિફમાં રવામાં આવેલા ઘટાડા અંગે પવારે સાવચેતીભર્યું વલણ અપનાવ્યું હતું. તેમણે કહ્યું કે, “અમેરિકા એક શક્તિશાળી દેશ છે. જો તેઓ મોટા પાયે નિકાસ શરૂ કરશે તો તેની સીધી અસર આપણી ખેતી પર પડી શકે છે. આગામી બે દિવસમાં ભારત-અમેરિકાના સંબંધોનું ચિત્ર વધુ સ્પષ્ટ થશે.” પવારે કૃષિ ઉત્પાદનોની નિકાસ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
આ સમાચાર પણ વાંચો : World Cancer Day 2026: સાવધાન! ભારતમાં આ 5 કેન્સર બની રહ્યા છે ‘સાયલન્ટ કિલર’, સામાન્ય દેખાતા આ લક્ષણોને ક્યારેય ન કરો નજરઅંદાજ
રાહુલ ગાંધી અને અજિત પવાર સ્મારક મુદ્દે સ્પષ્ટતા
વિપક્ષી નેતા રાહુલ ગાંધી અંગે વાત કરતા પવારે કહ્યું કે, જો સેના પ્રમુખ નરવણેના મુદ્દે વિપક્ષ ચર્ચા કરવા માંગતો હોય તો રાહુલ ગાંધીને લોકસભામાં બોલવા દેવા જોઈતા હતા. આ ઉપરાંત, બારામતીમાં અજિત પવારના સ્મારક અંગે તેમણે કહ્યું કે તેમને આ વિશે અત્યારે વધુ માહિતી નથી અને સંસ્થાની જમીન અંગે હજુ કોઈ સત્તાવાર નિર્ણય લેવાયો નથી.
