News Continuous Bureau | Mumbai
Surat Civil Hospital Resident Doctor Suicide Case Investigation સુરત નવી સિવિલ હોસ્પિટલમાં (Surat New Civil Hospital) પ્રથમ વર્ષના રેસિડેન્ટ ડોક્ટરની આત્મહત્યાની દુઃખદ ઘટના સામે આવ્યા બાદ રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ અત્યંત ગંભીરતા દાખવી છે. મંત્રીની કડક સૂચના બાદ રચાયેલી વિશેષ તપાસ કમિટીએ માત્ર ૨૪ કલાકમાં જ તપાસ પૂર્ણ કરી રિપોર્ટ સોંપ્યો છે. રેગિંગ (Ragging) અને માનસિક ત્રાસની પુષ્ટિ થતાં જ ૪ સીનિયર ડોક્ટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
Surat Doctor Suicide Case – ૮૦ થી વધુ જુનિયર ડોક્ટરોના નિવેદન અને એન્ટી રેગિંગ કમિટીની કાર્યવાહી
ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને રચાયેલી તપાસ કમિટીએ રાત-દિવસ એક કરીને પ્રથમ વર્ષના ૮૦થી વધુ જુનિયર ડોક્ટરોના નિવેદનો નોંધ્યા હતા. જોકે મૃતક ડોક્ટર પાસેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી, પરંતુ સહઅધ્યાયીઓના નિવેદનો પરથી સ્પષ્ટ થયું છે કે સીનિયર ડોક્ટરો દ્વારા અવારનવાર માનસિક ટોર્ચરિંગ કરવામાં આવતું હતું. એન્ટી રેગિંગ કમિટીના (Anti-Ragging Committee) પ્રાથમિક અહેવાલના આધારે ૪ સીનિયર ડોક્ટરોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને હોસ્પિટલના HOD ને ‘શો-કોઝ’ નોટિસ (Show-Cause Notice) પાઠવવામાં આવી છે.
Surat Doctor Suicide Case – આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની ભાવુક અપીલ અને ચેતવણી
આરોગ્ય મંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે જુનિયર ડોક્ટરોને માનસિક ત્રાસ આપવો એ સંસ્કારિતા નથી અને રેગિંગનું આ કલંક દોષિતોનું કરિયર બરબાદ કરી દેશે. તેમણે રાજ્યના તમામ જુનિયર ડોક્ટરોને અપીલ કરી હતી કે જો કોઈ સીનિયર હેરાનગતિ કરે કે રેગિંગ કરે, તો ડર્યા વગર તાત્કાલિક ડીન, કોલેજ નિયામક અથવા સીધો તેમનો કે રાજ્ય સરકારનો સંપર્ક કરવો. કોઈપણ વિદ્યાર્થીએ આત્મહત્યા (Suicide) જેવા ગંભીર પગલાં તરફ જવાની બિલકુલ જરૂર નથી.
Surat Doctor Suicide Case – મૃતકના પરિવારજનોને સાંત્વના અને કડક કાર્યવાહીની ખાતરી
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ મૃતક ડોક્ટરના પિતા સાથે ટેલિફોનિક વાતચીત કરીને શોક વ્યક્ત કર્યો હતો અને પરિવારને સાંત્વના પાઠવી હતી. તેમણે ખાતરી આપી હતી કે રાજ્ય સરકાર પીડિત પરિવારની સાથે ઊભી છે. આ ઘટનામાં સંડોવાયેલા તમામ જવાબદારો સામે કડકમાં કડક પગલાં ભરીને મૃતક ડોક્ટર અને તેમના પરિવારને સંપૂર્ણ ન્યાય અપાવવામાં આવશે.
