News Continuous Bureau | Mumbai
Surendranagar Highway Accident ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં સોમવારે વહેલી સવારે એક અત્યંત કરુણ માર્ગ અકસ્માત સર્જાયો છે. લખતર-વિરમગામ હાઈવે પર ભાસ્કરપરા ગામ પાસે એક પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રકે રસ્તાની સાઈડમાં ચાલી રહેલા શ્રદ્ધાળુઓના સંઘને કચડી નાખ્યો હતો. આ ભયાનક દુર્ઘટનામાં સાત લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, જેને પગલે સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માત ત્યારે થયો જ્યારે શ્રદ્ધાળુઓનો એક સંઘ રાજકોટથી પગપાળા બહુચરાજી માતાજીના દર્શન કરવા જઈ રહ્યો હતો. અકસ્માત બાદ ટ્રક ચાલક વાહન મૂકીને ફરાર થઈ ગયો છે.
વહેલી સવારે કાળ ભેટ્યો
લખતર પોલીસ નિરીક્ષક યોગેશ પટેલના જણાવ્યા મુજબ, આ દુર્ઘટના સોમવારે વહેલી સવારે બની હતી. શ્રદ્ધાળુઓ શાંતિપૂર્વક હાઈવે પર ચાલી રહ્યા હતા, ત્યારે પાછળથી આવેલા બેકાબૂ ટ્રકે તેમને પોતાની અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં છ શ્રદ્ધાળુઓ અને રસ્તા કિનારે ઊભેલા એક ડમ્પર ચાલકનું પણ મોત નિપજ્યું છે. મૃતકોમાં ૪ મહિલાઓનો સમાવેશ થાય છે.
મૃતકોની ઓળખ અને રાહત કાર્ય
અકસ્માત એટલો ભયાનક હતો કે છ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા, જ્યારે એક વ્યક્તિએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. સ્થાનિક લોકો અને પોલીસે તાત્કાલિક રાહત કાર્ય શરૂ કરીને ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા છે. ઈજાગ્રસ્તોની ચોક્કસ સંખ્યા હજુ જાણી શકાઈ નથી, પરંતુ તેમની સ્થિતિ ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે.
આ સમાચાર પણ વાંચો : US Blockade on Iranian Ports: ટ્રમ્પનો પ્લાન: ઈરાનના આ 4 વ્યૂહાત્મક સ્થળો પર અમેરિકા કરશે નાકાબંધી, યુદ્ધના જોખમ વચ્ચે મોટું પગલું.
ફરાર ટ્રક ચાલકની શોધખોળ તેજ
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, ટ્રક ચાલક અત્યંત પૂરઝડપે વાહન હંકારી રહ્યો હતો અને અકસ્માત બાદ તે અંધારાનો લાભ લઈને નાસી છૂટ્યો હતો. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને ફરાર ડ્રાઈવરને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને હાઈવે પરના સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે. શ્રદ્ધાળુઓના પરિવારજનોને આ અંગે જાણ કરવામાં આવી છે.
