ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૫ મે ૨૦૨૧
મંગળવાર
દિલ્હી પોલીસ ટૂલકિટ કેસ સંદર્ભે પોતાની તપાસ આગળ વધારી રહી છે. આ જ ક્રમમાં સોમવારે ટ્વિટર ઑફિસમાં ગયા બાદ ભાજપના નેતા સંબિત પાત્રા વિરુદ્ધ મંગળવારે કેસ દાખલ કરનારા બે કૉન્ગ્રેસ નેતાઓને તપાસમાં જોડાવા માટે દિલ્હી પોલીસ દ્વારા નોટિસ મોકલવામાં આવી છે. મીડિયા અહેવાલ અનુસાર કૉન્ગ્રેસના બે નેતાઓ રોહન ગુપ્તા અને રાજીવ ગૌડાને મંગળવારે દિલ્હી પોલીસ દ્વારા આ નોટિસ પાઠવવામાં આવી છે.
બંને નેતાઓએ ભાજપના પ્રવક્તા સંબિત પાત્રા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને આરોપ લગાવ્યો હતો કે સંબિતે બનાવટી ટૂલકિટ શૅર કરી છે. કૉન્ગ્રેસના નેતા રાજીવ ગૌડાએ મંગળવારે દિલ્હી પોલીસની આ નોટિસ પર પ્રતિક્રિયા આપતાં મીડિયાને કહ્યું હતું કે “અમે દિલ્હી પોલીસને કહ્યું છે કે છત્તીસગઢમાં અમારી ફરિયાદની તપાસ ચાલી રહી છે. આવી સ્થિતિમાં અમે ફક્ત આ બાબતને છત્તીસગઢમાં જ જોઈશું.” બીજી તરફ દિલ્હી પોલીસના વિશેષ સેલે પણ ટ્વિટરને કથિત કોવિડ–૧૯ 'ટૂલકિટ' સાથે જોડાયેલી ફરિયાદની તપાસ અંગે નોટિસ મોકલી છે અને ભાજપ નેતા સંબિત પાત્રાના ટ્વીટને 'મેનિપ્યુલેટિવ' તરીકે માર્ક શું કામ કર્યું કે અંગે સ્પષ્ટતા કરવા જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે ભાજપનો આરોપ છે કે કૉન્ગ્રેસે ટૂલકિટ બનાવીને કોરોના વાયરસના નવા સ્વરૂપને 'ભારતીય સ્વરૂપ' અથવા 'મોદી ફોર્મ' ગણાવ્યું હતું અને દેશની અને વડા પ્રધાનની છબીને દૂષિત કરવાનો પ્રયાસ કર્યો હતો. કૉન્ગ્રેસે આ વાતને નકારી કાઢી હતી અને કૉન્ગ્રેસને બદનામ કરવા ટૂલકિટનો સહારો લેવાયો છે એમ કહ્યું હતું.
જોકેસરકારે અગાઉ ટ્વિટરને 'મેનિપ્યુલેટિવ મીડિયા'નું ટૅગ દૂર કરવા કહ્યું હતું, કારણ કે આ મામલો એજન્સી પાસે છે. એ જ સમયે સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે જ્યારે મુદ્દાની તપાસ ચાલી રહી હોય ત્યારે સોશિયલ મીડિયા નિર્ણય આપી શકે નહીં.
