News Continuous Bureau | Mumbai
Himachal Forest Fire। ઉત્તરાખંડની સાથેસાથે હવે પડોશી રાજ્ય હિમાચલ પ્રદેશમાં પણ તીવ્ર ગરમી અને હીટવેવની વચ્ચે જંગલોની આગે વિકરાળ અને ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધું છે. હિમાચલના પ્રખ્યાત પ્રવાસી મથક સોલન જિલ્લાના કંડાગાટ અંતર્ગત આવતા ક્યારીઘાટ ગામના પહાડી જંગલોમાં લાગેલી આગ ઝડપથી ફેલાઈ રહી છે, જેમાં સેંકડો કિંમતી વૃક્ષો બળીને ખાખ થઈ ગયા છે. પહાડો પરથી સેંકડો ફૂટ ઊંચે સુધી ઉડતા કાળા ધુમાડાના ગોટેગોટા અને આગની ભયાનક લપેટો દૂરદૂરથી જોઈ શકાય છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતાં વહીવટીતંત્રે આસપાસના રહેણાંક વિસ્તારોને ખાલી કરાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુક્ખુએ આપ્યા કડક આદેશ
સોલન જિલ્લાના પહાડી વિસ્તારોમાં લાગેલી આ આગ કંડાગાટથી આગળ વધીને ક્યારીઘાટના રહેણાંક વિસ્તારો તરફ વધી રહી હોવાથી સ્થાનિક લોકોમાં ભારે ગભરાટ ફેલાયો છે. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુક્ખુએ ઘટનાની ગંભીરતાની નોંધ લઈને અગ્નિશામક દળ (Fire Brigade) અને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી તેજ કરવાના આદેશ આપ્યા છે. વન વિભાગના કર્મચારીઓ અને સ્થાનિક ગ્રામીણો જીવના જોખમે આગ પર કાબૂ મેળવવા માટે રાત-દિવસ પ્રયાસો કરી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં જો વરસાદી માહોલ સર્જાશે તો જ આ આગ સંપૂર્ણપણે શાંત થઈ શકશે.
ઉત્તરાખંડના જંગલોમાં પણ આફત
માત્ર હિમાચલ જ નહીં, ઉત્તરાખંડના જંગલો પણ અત્યારે ભીષણ આગમાં ધધકી રહ્યા છે. ઉત્તરાખંડની ભાજપ સરકારે જંગલની આગ ઓલવવામાં મદદ કરનારા અને માહિતી આપનારા નાગરિકો માટે ૧ લાખ રૂપિયા સુધીના રોકડ ઇનામની જાહેરાત કરી છે. ઉત્તરાખંડના ચમોલી, રુદ્રપ્રયાગ, પૌડી, ટિહરી, ઉત્તરકાશી, પિથોરાગઢ અને નૈનીતાલ જેવા પહાડી જિલ્લાઓમાં અત્યાર સુધીમાં આગની અંદાજે ૪૦૦ જેટલી નાની-મોટી ઘટનાઓ સામે આવી ચૂકી છે, જેમાં આશરે ૩૩૦ હેક્ટર જેટલો વિશાળ જંગલ વિસ્તાર બળીને રાખ થઈ ગયો છે. વનાગ્નિ પર કાબૂ મેળવવા માટે વન વિભાગના ૧૧,૦૦૦ થી વધુ કર્મચારીઓને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
હિમાલયના ગ્લેશિયરો પર તોળાતું જોખમ
પર્યાવરણવિદોના મતે, ઉત્તરાખંડ અને હિમાચલના જંગલોમાં ૬,૦૦0 ફૂટની ઊંચાઈ સુધી પહોંચેલી આ આગ હિમાલયના પવિત્ર ગ્લેશિયરો (હિમનદીઓ) માટે બહુ મોટો ખતરો સાબિત થઈ શકે છે. પહાડો પર ભેજ જાળવી રાખતા અને ‘પાણીની બેંક’ તરીકે ઓળખાતા ઓક એટલે કે ‘બાંઝ’ ના લીલાછમ જંગલો પણ હવે આ આગની ચપેટમાં આવી ગયા છે. આ જંગલો જમીનનું ધોવાણ રોકે છે અને ભૂગર્ભ જળ તેમજ કુદરતી ઝરણાઓને રિચાર્જ કરવાનું કામ કરે છે. ગઢવાલ ક્ષેત્રના રુદ્રપ્રયાગ અને પિથોરાગઢમાં આગ સૌથી વધુ વિકરાળ છે, જ્યાં કમનસીબે એક વ્યક્તિનું મોત પણ નીપજ્યું છે. વન્યજીવો અને વનસ્પતિને થઈ રહેલું આ નુકસાન ચિંતાજનક છે.
👉 આ સમાચાર વાચો:
Ebola Virus। ભારતમાં ઘાતક ‘ઇબોલા’ વાયરસની એન્ટ્રી? બેંગલુરુમાં શંકાસ્પદ દર્દી મળતા આરોગ્ય વિભાગ એલર્ટ, પુણે લેબમાં તપાસ શરૂ
