News Continuous Bureau | Mumbai
Medicine Price Hike India। પશ્ચિમ એશિયામાં (મિડલ ઈસ્ટ) ચાલી રહેલા ભયાનક યુદ્ધ અને કટોકટીની સીધી અસર હવે સામાન્ય ભારતીયોના ખિસ્સા અને સ્વાસ્થ્ય બજેટ પર પડવા જઈ રહી છે. પેટ્રોલ, ડીઝલ અને દૂધના ભાવમાં થયેલા તોતિંગ વધારા બાદ હવે દેશમાં જીવન રક્ષક દવાઓ પણ મોંઘી થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. કેન્દ્ર સરકાર દેશની ૩૮૪ આવશ્યક અને જીવન રક્ષક દવાઓની (Essential Medicines) કિંમતોમાં એક વખત માટે ‘ઇમરજન્સી અને કામચલાઉ વધારો’ કરવા પર ગંભીરતાથી વિચારણા કરી રહી છે. દવા ઉદ્યોગના જણાવ્યા અનુસાર, યુદ્ધના કારણે ફાર્મા સેક્ટરમાં વપરાતા કેમિકલ્સ અને એપીઆઈ (કાચો માલ) ની કિંમતો આંતરરાષ્ટ્રીય બજારમાં ખૂબ વધી ગઈ છે.
કાચા માલ અને ટ્રાન્સપોર્ટેશનના ભાવમાં ૨૦૦ થી ૩૦૦ ટકાનો મોટો ઉછાળો
ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ સાથે જોડાયેલા સંગઠનોનું કહેવું છે કે પશ્ચિમ એશિયાના સંકટ બાદ દવાઓ બનાવવા માટે જરૂરી રસાણયો અને આયાતી કાચા માલના ભાવમાં ૨૦૦ થી ૩૦૦ ટકા સુધીનો આકરો ઉછાળો આવ્યો છે. આ ઉપરાંત, વૈશ્વિક સ્તરે પેકેજિંગ મટીરીયલ અને લોજિસ્ટિક્સ એટલે કે પરિવહન ખર્ચમાં પણ જંગી વધારો નોંધાયો છે. સરકારી સૂત્રો અને દવા ઉદ્યોગના નિષ્ણાતોના જણાવ્યા મુજબ, કિંમતો વધારવાના આ સંવેદનશીલ મુદ્દે હાલમાં રાષ્ટ્રીય ઔષધિ મૂલ્ય નિર્ધારણ પ્રધિકરણ (NPPA), ફાર્માસ્યુટિકલ્સ વિભાગ અને કેન્દ્રીય વાણિજ્ય મંત્રાલય વચ્ચે ઉચ્ચ સ્તરીય બેઠકોનો દોર ચાલી રહ્યો છે.
પેરાસિટામોલ અને એન્ટીબાયોટીક્સ સહિત આ દવાઓની યાદી થશે મોંઘી
મીડિયા અહેવાલો અને આંતરિક સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, સામાન્ય જનતા માટે રાહતની વાત એ છે કે સરકાર આ ભાવ વધારાને કાયમી રાખશે નહીં. આંતરરાષ્ટ્રીય બજારમાં સ્થિતિ સુધરતાની સાથે જ કિંમતો ફરી સામાન્ય કરી દેવાશે. પ્રસ્તાવિત યાદીમાં સામેલ મુખ્ય દવાઓ આ મુજબ છે:
એન્ટીબાયોટીક્સ: એમોક્સિસિલિન (Amoxicillin) અને એઝિથ્રોમાઇસિન (Azithromycin).
હૃદય રોગની દવાઓ: એમ્લોડિપાઇન (Amlodipine) અને એટોરવાસ્ટેટિન (Atorvastatin).
દર્દ નિવારક અને અન્ય: પેરાસિટામોલ (Paracetamol), સ્ટેરોઇડ્સમાં ડેક્સામેથાસોન અને વિટામિન-સી (એસ્કોર્બિક એસિડ).
ઈંધણના ભાવમાં વધારો અને પીએમ મોદીની નાગરિકોને વિશેષ અપીલ
આ આર્થિક દબાણ વચ્ચે, દેશમાં પાછલા એક સપ્તાહમાં બે વાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આશરે ૯૦ પૈસા પ્રતિ લીટરનો વધારો ઝીંકાયો છે, જેના કારણે દિલ્હીમાં પેટ્રોલ ૯૮.૬૪ રૂપિયા અને ડીઝલ ૯૧.૫૮ રૂપિયા પ્રતિ લીટર પર પહોંચ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મિડલ ઈસ્ટ સંકટને પગલે દેશનું વિદેશી હૂંડિયામણ (Foreign Exchange Reserve) બચાવવા માટે નાગરિકોને ઈંધણનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા, સોનાની ખરીદી અને વિદેશ પ્રવાસ ટાળવા જેવી અપીલ કરી છે. પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ સ્પષ્ટ કર્યું છે કે ભારત પાસે ક્રૂડ ઓઈલ અને એલપીજીનો (LPG) પૂરતો સ્ટોક છે, પરંતુ હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) યુદ્ધના કારણે આંશિક બંધ હોવાથી ભારત ઘરેલું ઉત્પાદન વધારીને પુરવઠો જાળવી રાખવા કટિબદ્ધ છે.
👉 આ સમાચાર વાચો:
Modi Cabinet Report Card। શું પીએમ મોદી બદલશે પોતાનું મંત્રીમંડળ? સૌથી ખરાબ કામ કરનારા મંત્રીઓની લિસ્ટ સામે આવતા જ રાજકારણ ગરમાયું
