News Continuous Bureau | Mumbai
Ramayana Movie| નિતેશ તિવારીના નિર્દેશનમાં બની રહેલી અને આશરે ૪૦૦૦ કરોડના તોતિંગ બજેટમાં તૈયાર થઈ રહેલી ફિલ્મ ‘રામાયણ’ બોલિવૂડની સૌથી મોંઘી અને અપેક્ષિત ફિલ્મોમાંની એક છે. અત્યાર સુધી રામાયણ પર અનેક ફિલ્મો અને ટીવી શો બન્યા છે, પરંતુ રણબીર કપૂર સ્ટારર આ ફિલ્મમાં કંઈક અલગ અને ખાસ જો જોવા મળશે. હવે આ ફિલ્મનો પ્લોટ રિવીલ થયો છે, જેમાં એક એવા યુદ્ધની વાત છે જે ભાગ્યે જ કોઈ ફિલ્મમાં અત્યાર સુધી દર્શાવવામાં આવ્યું છે.
રાવણ અને કુબેર વચ્ચે મહાયુદ્ધ
ફિલ્મના નિર્માતાઓની યોજના મુજબ, ફિલ્મની શરૂઆત (ઓપનિંગ સીન) એક મોટા યુદ્ધથી થશે, જે રામ અને રાવણ વચ્ચેનું નહીં પણ રાવણ અને તેના સાવકા ભાઈ ‘કુબેર’ વચ્ચેનું હશે. પૌરાણિક કથા અનુસાર, સોનાની લંકા પર પહેલા કુબેરનું શાસન હતું, પરંતુ રાવણે બળજબરીથી તેમની ગાદી અને તેમનું પ્રખ્યાત ‘પુષ્પક વિમાન’ છીનવી લીધું હતું અને તેમને લંકામાંથી હાંકી કાઢ્યા હતા. આ ઘટનાને ફિલ્મના શરૂઆતના દ્રશ્યોમાં ખૂબ જ ભવ્ય રીતે દર્શાવવામાં આવશે.
ટીઝરમાં મળી હતી ઝલક
જો તમે આ ફિલ્મનું ટીઝર જોયું હશે, તો તેમાં રાવણની સાથે પુષ્પક વિમાનની ઝલક જોવા મળી હતી. આ એ જ મહાયુદ્ધની પ્રથમ છબી હતી જે ફિલ્મની વાર્તાનો પાયો બનશે. રાવણના શક્તિશાળી પાત્રના ઉદયની આ ગાથા સામાન્ય રીતે ઓછી ચર્ચામાં હોય છે, જેના કારણે પ્રેક્ષકોમાં આ દ્રશ્ય માટે ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.
ક્યારે રિલીઝ થશે ‘રામાયણ’?
નમિત મલ્હોત્રા દ્વારા નિર્મિત આ મહાકાવ્યમાં ભગવાન રામની ભૂમિકામાં રણબીર કપૂર છે, જ્યારે રાવણના પાત્રમાં સાઉથના સુપરસ્ટાર યશ જોવા મળશે. આ ફિલ્મ બે ભાગમાં બનાવવામાં આવી રહી છે. ફિલ્મનો પહેલો ભાગ આ વર્ષે દિવાળી પર સિનેમાઘરોમાં રિલીઝ થશે, જ્યારે બીજો ભાગ આવતા વર્ષે દિવાળી પર પ્રેક્ષકો સમક્ષ રજૂ કરવામાં આવશે.
👉 આ સમાચાર વાચો:
Lawrence of Punjab| ‘લૉરેન્સ ઓફ પંજાબ’ પર મોટું સંકટ હવે ZEE5 પર નહીં રિલીઝ થાય લૉરેન્સ બિશ્નોઈ પર આધારિત સીરીઝ, સરકારનો મોટો નિર્ણય