News Continuous Bureau | Mumbai
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) ના વડા શરદ પવારે મંગળવારે એક મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે તેઓ પાર્ટી અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી રહ્યા છે. આ પછી રાજકીય વર્તુળોમાં ભૂકંપ સર્જાયો છે. જો કે, તેમણે રાજકારણમાંથી નિવૃત્તિ વિશે કોઈ જાહેરાત કરી નથી, ન તો પાર્ટીએ તેમનું રાજીનામું સ્વીકાર્યું છે. પવાર, 1999 માં તેની શરૂઆતથી જ તેમની પાર્ટીનું નેતૃત્વ કરતા હતા. તેમણે પોતાના સંબોધનમાં કહ્યું, ‘રાજ્યસભાના સભ્ય તરીકે સંસદમાં મારી પાસે ત્રણ વર્ષ બાકી છે, જે દરમિયાન હું મહારાષ્ટ્ર અને ભારત સાથે જોડાયેલા મુદ્દાઓ પર ધ્યાન આપીશ.’ ચાલો જાણીએ આ સમાચારમાં શરદ પવારની રાજકીય સફર વિશે.
શરદ પવારની રાજકીય કારકિર્દી પાંચ દાયકાથી વધુ લાંબી છે. વિદ્યાર્થી રાજકારણથી શરૂઆત કરીને તેઓ ચાર વખત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા અને બે વખત કેન્દ્ર સરકારમાં મંત્રી પદ સંભાળ્યું. આ દરમિયાન શરદ પવારની રાજકીય યુક્તિઓ અને વ્યૂહરચના હંમેશા લોકોનું ધ્યાન આકર્ષિત કરતી રહી. પવાર 82 વર્ષના છે અને હાલમાં રાજ્યસભાના સાંસદ છે.
તે વર્ષ 1956 હતું, જ્યારે શરદ પવારે મહારાષ્ટ્રના પ્રવરનગરમાં ગોવાની આઝાદી માટે વિરોધ કૂચ બોલાવી હતી. આ સાથે તેમણે નાની ઉંમરમાં જ રાજકીય સક્રિયતાની શરૂઆત કરી હતી. 1958માં પવાર યુથ કોંગ્રેસમાં જોડાયા.
આ સમાચાર પણ વાંચો: મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો ભૂકંપ! શરદ પવારે NCPના અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાની કરી જાહેરાત
યુથ કોંગ્રેસમાં જોડાયાના ચાર વર્ષ પછી, પવાર 1962માં પુણે જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ બન્યા. પછીના વર્ષોમાં, પવારે મહારાષ્ટ્ર યુથ કોંગ્રેસમાં મુખ્ય હોદ્દા સંભાળ્યા અને ધીમે ધીમે કોંગ્રેસ પક્ષમાં તેમના મૂળિયા સ્થાપિત કરવાનું શરૂ કર્યું. 1967 માં, જ્યારે પવાર 27 વર્ષના હતા, ત્યારે તેમને મહારાષ્ટ્રના બારામતી મતવિસ્તારમાંથી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવાર તરીકે નામાંકિત કરવામાં આવ્યા હતા.
પવાર ચૂંટણી જીત્યા અને તત્કાલીન અવિભાજિત કોંગ્રેસ પાર્ટીમાંથી વિધાનસભામાં પહોંચ્યા. આ પછી પવાર દાયકાઓ સુધી બારામતી મતવિસ્તારથી જીતતા રહ્યા. ધારાસભ્ય તરીકે, પવાર ગ્રામીણ રાજકારણમાં સક્રિય હતા, મહારાષ્ટ્રમાં દુષ્કાળ સંબંધિત મુદ્દાઓ ઉઠાવતા હતા. આ સાથે તેઓ સહકારી ખાંડ મિલ અને અન્ય સહકારી મંડળીઓની રાજકીય પ્રવૃત્તિઓમાં પણ સક્રિય હતા.
1969 માં કોંગ્રેસ પક્ષના વિભાજન પછી, પવાર યશવંતરાવ ચવ્હાણ સાથે ઈન્દિરા ગાંધીના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના જૂથનો ભાગ બન્યા. શંકરરાવ ચવ્હાણની 1975-77ની સરકાર દરમિયાન, શરદ પવારે ગૃહ પ્રધાન તરીકે સેવા આપી હતી. પછીના વર્ષોમાં, જ્યારે કોંગ્રેસ પક્ષ ફરીથી કોંગ્રેસ (I) અને કોંગ્રેસ (U)માં વિભાજિત થયો, ત્યારે પવારે કોંગ્રેસ (U)નો પક્ષ લીધો.
આ સમાચાર પણ વાંચો: શરદ પવારે NCPના રાષ્ટ્રીય અધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, હવે કોણ લેશે તેમનું સ્થાન?.. આ નામો છે ચર્ચામાં..
38 વર્ષની ઉંમરે, પવારે જનતા પાર્ટી સાથે સરકાર બનાવવા માટે કોંગ્રેસ (યુ) છોડી દીધી અને 1978માં મહારાષ્ટ્રના સૌથી યુવા મુખ્યમંત્રી બન્યા. 1983 માં, પવાર કોંગ્રેસ (I) ના અધ્યક્ષ બન્યા અને 1984 માં, તેઓ બારામતી સંસદીય ક્ષેત્રમાંથી લોકસભા માટે ચૂંટાયા. 1991 માં, પવાર વડા પ્રધાન નરસિમ્હા રાવની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારમાં સંરક્ષણ પ્રધાન બન્યા. તેમણે 1993 સુધી આ પદ સાંભળ્યું હતું.
માર્ચ 1993 માં, પવાર ચોથી વખત મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બન્યા કારણ કે બોમ્બે રમખાણોના રાજકીય પતનને પગલે તત્કાલીન મુખ્ય પ્રધાન સુધાકર રાવ નાઈકને રાજીનામું આપવું પડ્યું હતું. 1999માં શરદ પવારને પીએ સંગમા અને તારિક અનવર સાથે કોંગ્રેસમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. તેમણે સોનિયા ગાંધીની અધ્યક્ષ તરીકેની ચૂંટણીનો વિરોધ કર્યો હતો.
મહારાષ્ટ્રના સૌથી યુવા મુખ્યમંત્રી બનવાનો રેકોર્ડ તેમના નામે છે. 1993માં તેમણે ચોથી વખત સીએમ તરીકે શપથ લીધા હતા. તેમની રાજકીય કારકિર્દીમાં તેઓ યુપીએ સરકારમાં કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છે. આ સિવાય તેઓ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના પ્રમુખ પણ રહી ચૂક્યા છે.
પવાર 2005 થી 2008 સુધી BCCI ના અધ્યક્ષ હતા અને 2010 માં ICC ના અધ્યક્ષ બન્યા હતા. પવાર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ છે. પોતાનો રાજકીય વારસો પુત્રી સુપ્રિયા સુલેને સોંપી દીધો છે. NCPના ટોચના નેતાઓમાંના એક હોવા ઉપરાંત, સુપ્રિયા 2009 અને 2014માં તેમના પિતાની બેઠક બારામતીથી બે વખત સાંસદ રહી ચૂક્યા છે.
આ સમાચાર પણ વાંચો: એપ્રિલ મહિનામાં શેરબજારમાં 11 હજાર કરોડનું રોકાણ