Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૧૬૪

પરમ પૂજ્ય ભાગવત પરમહંસ શ્રી રામચંદ્ર ડોંગરેજી મહારાજનું શ્રીમદ્ ભાગવતપ્રકાશ

by Akash Rajbhar
The purpose of Bhagavata and its mahatmya. – Part – 164

પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.

રાજન્! કીડીમકોડા મારા પગ નીચે ન કચડાય એટલે હું એવી રીતે ચાલું છું. મને ચાલતાં પાપ લાગે, એટલા માટે કૂદકો

મારું છું. મારા શ્રીકૃષ્ણ સર્વ ઠેકાણે બિરાજેલા છે. આ કીડીઓમાં પણ પરમાત્મા છે. હું કીડીઓનો અને બીજા જીવજંતુઓનો
ખ્યાલ રાખી ચાલું છું, કે જેથી કોઈ કચડાઈ ન જાય. કીડીમાં પણ ઇશ્વર છે, એમ માની હું મારા શ્રીકૃષ્ણનું ચિંતન કરતાં કરતાં
ચાલું છું. જેથી મારી ચાલ એવી જ રહેશે.
જડભરતનાં આવાં વિદ્વત્તાભર્યાં વચનો સાંભળી રાજાને થયું:-ના, ના. આ પાગલ નથી પરમહંસ છે. આ કોઈ જ્ઞાની
મહાત્મા લાગે છે. આ કોઈ અવધૂત સંત છે. આ વેદાંતના ગૂઢન સિદ્ધાંત બોલે છે. આની બ્રહ્મનિષ્ઠા અલૌકિક છે. મેં તેનું અપમાન
કરી તે ભૂલ કરી છે. ચાલતી પાલખીમાંથી રાજા કૂદી પડયો છે. મારવા તૈયાર થયેલો રાજા, હવે વંદન કરે છે.
ભરતજીની નિર્વિકાર અવસ્થા છે. રહૂગણે અપમાન કર્યું ત્યારે, અને રાજાએ માન આપ્યું ત્યારે પણ ભરતજીની એક જ
સમસ્થિતિ. નહીં ક્રોધ, નહીં દુઃખ, નહીં સુખ. સંતોની પરીક્ષા મનોવૃત્તિથી થાય છે, કપડાંથી નહિ. માન મળ્યું તો પણ એ જ
સમતા. માન-અપમાનમાં વૃત્તિ સમ છે. વેશથી સંત થવું કઠણ નથી. હ્રદયથી સંત થવું કઠણ છે. રહુગણે ક્ષમા માંગી છે.
મને ઈન્દ્રના વજ્રનો કે શંકરના ત્રિશુળનો તથા યમરાજાના દંડનો કે અગ્નિ, સૂર્ય, ચંદ્ર કે કુબેરના શસ્ત્રનો ભય નથી, પણ
બ્રાહ્મણના અપમાનનો ભય છે. માટે તમારું અપમાન કરનારનું કલ્યાણ થાય નહીં.
તે પછી રહૂગણ રાજા પૂછે છે:-આ વહેવાર સત્ય છે, તેને મિથ્યા કેમ કહી શકાય? જો વસ્તુ અસત્ય હોય તો તેથી કોઈ
ક્રિયા થઈ શકે નહિ. જેમ મિથ્યા ઘડાથી જળ લાવી શકાતું નથી તેમ.
રાજા પૂછે છે:-આપે કહ્યું કે શરીરને જે દુઃખ થાય તે આત્માને થતું નથી. પરંતુ હું તો માનું છું કે શરીરને કષ્ટ થાય તે
આત્માને પણ થાય છે. કારણ આ શરીરનો સંબંધ ઈન્દ્રિયો સાથે, ઈન્દ્રિયોનો સંબંધ મન સાથે, મનનો સંબંધ બદ્ધિ સાથે,
બુદ્ધિનો સંબંધ આત્મા સાથે છે. એટલે શરીરને જે દુઃખ થાય તે આત્માને થવું જ જોઈએ. ચૂલા ઉપર તપેલી હોય, તપેલીમાં દૂધ
હોય, દુધમાં ચોખા હોય તો ચૂલામાંના અગ્નિથી એકબીજાનાં સંબંધના કારણે દૂધમાંથી ચોખા પાકી જાય છે. એટલે શરીરને જે દુઃખ
થાય તે આત્માને થવું જોઇએ.

Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૧૬૩

અગ્નિ ઉપરના દૂધમાંના ચોખા પાક્યા પણ દુધમાં પથ્થર રાખ્યા હોય તો તે પથ્થર કાંઈ પાકતા નથી. કારણ તે નિર્લેપ
રહે છે. ત્યારે આત્મા તો સર્વથી શ્રેષ્ઠ અને નિર્લે૫ છે.
સંસાર એ કેવળ મનની કલ્પના માત્ર છે. રાજન! મન બગડે એટલે જીવન બગડે છે. મન સુધરે તો આત્માને મુક્તિ મળે
છે.
મારું મન અગાઉ હરણબાળમાં ફસાયું, તેથી હરણનો જન્મ લેવો પડેલો. હવે સાવધ થઇને ફરું છું.
રાજન! આ બધો વ્યવહાર મનનો છે. પોતાના છોકરાનું વજન માને લાગતું નથી, કારણ કે માની મમતા છે. પોતાનો
બાબો ફૂલ જેવો હલકો અને બીજાનો બાબો ભારે લાગે છે. માને પોતાનો બાબો વજનદાર હોય તો પણ ફૂલ જેવો હલકો લાગે છે.
ત્યારે બીજાના છોકરાનું વજન વધારે લાગે છે. કારણ? મન કહે છે, એ પારકો છે. બીજાનો બાબો હલકો હોય તો પણ અઢી મણનો
લાગે.
રાજન્! આ બધા મનનાં ધર્મો છે. આ બધા મનના ખેલ છે. મનના ખેલને કારણે મારે અગાઉના જન્મમાં હરણ થવું
પડેલું. મન સુધરે તો જગત સુધરે છે. મારું મન હરણબાળમાં ફસાયેલું તેથી હું પશુ બનેલો.
રાજન્! તમે કચ્છપ દેશના રાજા છો. હું તો ભરત ખંડનો રાજા હતો છતાં મારી આ દશા થઇ.
ગુણાનુરક્તં વ્યસનાય જન્તો: ક્ષેમાય નૈર્ગુણ્યમથો મન: સ્યાત્ । ભા.સ્કં.પ.અ.૧૧.શ્ર્લો.૮.
વિષયાસક્તિ, મન જીવને સંસાર સંકટમાં નાખે છે અને તેજ મન જો વિષયરહિત થાય, તો જીવને શાંતિમય મોક્ષ પદની
પ્રાપ્તિ કરાવે છે.
મન જ જીવના સંસારબંધનના કારણરૂપ છે અને તે જ મન મોક્ષના કારણરૂપ છે.
મનુષ્યનું મન જો વિષયોમાં આસકત થાય, તો તે સંસારિક દુઃખ આપનાર થાય છે. અને તે જ મન જો વિષયોમાં
આસક્ત ન થાય, અને ઈશ્વરના ભજનમાં લીન થાય, તો મોક્ષ આપનાર છે.

વિષયોનું ચિંતન કરતાં મન તેમાં ફસાય છે અને તેથી તેનું બંધન આત્મા પોતા ના ઉપર કલ્પે છે. આ બધી મનની
લુચ્ચાઈ છે. માટે મનને પરમાત્મામાં સ્થિર કરો.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More