News Continuous Bureau | Mumbai
Geeta Rabari : દર વર્ષે કચ્છની કોયલ એટલે કે ગીતા રબારીના નવરાત્રીના(navratri) કાર્યક્રમને લઈને લોકોમાં ભારે ઉત્સાહ રહેતો હોય છે. ત્યારે આ વર્ષે ગીતા રબારીની નવરાત્રી ક્યાં થશે તે વાત પરથી સસ્પેન્સ નો પડદો ઉઠી ગયો છે. મુંબઈમાં(mumbai) અંધેરીના(andheri) આંગણે થનાર ‘છોગાળા રે નવરાત્રી ઉત્સવ'(Chogada Re) આ વર્ષે અભૂતપૂર્વ અને અનોખો હશે. લોકગાયિકા ગીતા રબારી પ્રથમ વખત મુંબઈ શહેરમાં નવરાત્રી દરમિયાન પર્ફોર્મન્સ આપશે. આ ધમાકેદાર નવરાત્રીનું આયોજન ભારતીય જનતા પાર્ટીના નેતા શ્રી મુરજીભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે.
ગુજરાતીઓ માટે નવલી નવરાત્રી એટલે કે માતાજીનું પર્વ અને તેની સાથે જ ગરબા ની રમઝટ. ત્યારે કચ્છી કોયલના સુરનો નશો આ વર્ષે મુંબઈ વાસીઓને માણવા મળશે. આ નવરાત્રીના આયોજન સંદર્ભે વધુ જણાવતા ભાજપના નેતા શ્રી મૂરજીભાઇ પટેલે જણાવ્યું કે ‘મુંબઈ શહેરમાં નવરાત્રિ આયોજનો તો ઘણા થાય છે પરંતુ અમે નક્કી કર્યું હતું કે મુંબઈ વાસીઓ અને ખાસ કરીને અંધેરીમાં રહેતા લોકોને અસલી ગુજરાતની નવરાત્રી નો પરિચય કરાવીએ, જેમાં છટા, સુર-તાલ અને સંગીત માં ગુજરાતનો રણકો હોય. આ માટે સંસ્કૃતિ અને સુર ના સુભગ મિલન સાથે અમે અંધેરીના હોલી ફેમિલી હાઇસ્કુલ ના મેદાન ખાતે છોગાળા રે નવરાત્રીનું આયોજન કર્યું છે. અમારા પ્રેરણા સ્ત્રોત એવા ઉપમુખ્યમંત્રી શ્રી દેવેન્દ્રભાઈ ફડણવીસજી ની શુભકામનાઓ તેમજ જન ભાગીદારીથી આ કાર્યક્રમ સફળ થશે’. આ પ્રસંગે તેમણે ભારતીય જનતા પાર્ટીના મુંબઈ અધ્યક્ષ શ્રી આશિષભાઈ શેલાજી, માનનીય મંત્રી શ્રી મંગલ પ્રભાત લોઢાજી તેમજ ઈશાન્ય મુંબઈના સાંસદ સભ્ય શ્રી મનોજ કોટકજી નો તેમના સહયોગ બદલ વિશેષ આભાર માન્યો હતો.
આ સમાચાર પણ વાંચો : Today’s Horoscope : આજે 4 સપ્ટેમ્બર 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.
ઉલ્લેખનીય છે કે અંધેરી ખાતે પ્રથમ વખત આટલા મોટા પાયે નવરાત્રીનું આયોજન થઈ રહ્યું છે. હોલી ફેમિલી હાઇસ્કુલ મેદાનમાં નવરાત્રી થવા જઈ રહી છે ત્યારે અહીં દૈનિક હજારોની સંખ્યામાં લોકો હાજરી આપશે. નેતાઓ, અભિનેતાઓ, રંગમંચના સીતારાઓ અને માન્યવરોની હાજરીને કારણે આ કાર્યક્રમ દીપી ઉઠશે. લોકોની સુખ સુવિધા માટે કાર્યક્રમ સ્થળ પર તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. ખાણી પીણી, કાર પાર્કિંગ, ગરબે ઘુમવા માટે વિશાળ જગ્યા, કડક સુરક્ષા વ્યવસ્થા સહિત તમામ સુવિધાઓ નું ઉત્કૃષ્ટ દરજ્જા નું આયોજન અહીં કરવામાં આવ્યું છે.
નવરાત્રી ઉત્સવ સંદર્ભે ની પ્રેસ કોન્ફરન્સમાં મીડિયા સાથે વાતચીત કરતા કચ્છની કોયલ ગીતા રબારીએ કહ્યું હતું કે,’મેં મારા કરિયરમાં દેશ વિદેશમાં અનેક નવરાત્રીઓ કરી છે પરંતુ મુંબઈના ઘર આંગણે નવરાત્રી દરમિયાન પર્ફોર્મન્સ નો આ પહેલો મોકો છે. મુંબઈના ગુજરાતી એટલે સવાયા ગુજરાતીઓ, મને પૂરો વિશ્વાસ છે કે રસિકો નવરાત્રીને ખૂબ માણશે, આ પ્રસંગે હું ભારતીય જનતા પાર્ટી અને શ્રી મુરજીભાઈ પટેલ ની આભારી છું કે તેમણે મુંબઈ શહેરનું સૌથી મોટું નવરાત્રી આયોજન કર્યું છે’.
ઉલ્લેખનીય છે કે જ્યારે તહેવારોની સિઝનની વાત આવે છે ત્યારે ગીતા રબારી હંમેશા ટોપ-લિસ્ટેડ ગાયકોમાંની એક રહી છે. ‘રોણા શેર રે’ ફેમ એવી આ કચ્છી કોયલ સામાન્ય રીતે કચ્છી ભાતીગળ પોશાક માં જોવા મળે છે. અવાજની સાથે સાથે તેની ફેશનની સેન્સ પણ અદભુત છે. instagram પર તેના ફોટોગ્રાફ ધૂમ મચાવે છે. ત્યારે આ વર્ષે અંધેરી વાસીઓ ગીતા રબારી ના તાલે ઝૂમી ઉઠશે.
છોગાળા રે… નવરાત્રી ઉત્સવ ની વિગત.
પ્રેરણા સ્થાન : ઉપમુખ્યમંત્રી શ્રી દેવેન્દ્રભાઈ ફડણવીસજી.
આયોજક : શ્રી મૂરજીભાઇ પટેલ.
ગાયિકા: ગીતા રબારી
નવરાત્રી ઉત્સવની તારીખ : 15 ઓક્ટોબર થી 24 ઓક્ટોબર
સમય : સાંજે 7:00 થી 10:00.
સ્થળ: હોલી ફેમિલી હાઇસ્કુલ મેદાન, મહાકાળી ગુફા માર્ગ, અંધેરી પૂર્વ, મુંબઈ.