New Parliament Session : પ્રધાનમંત્રીએ વિશેષ સત્ર દરમિયાન સંસદના સેન્ટ્રલ હૉલમાં સાંસદોને સંબોધન કર્યું

New Parliament Session : સંસદ ભવન અને સેન્ટ્રલ હૉલ વિશે બોલતા પ્રધાનમંત્રીએ તેના પ્રેરણાદાયી ઇતિહાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તેમણે યાદ અપાવ્યું કે શરૂઆતનાં વર્ષોમાં ઇમારતના આ ભાગનો ઉપયોગ એક પ્રકારની લાઇબ્રેરી તરીકે કરવામાં આવતો હતો.

by Akash Rajbhar
The Prime Minister addressed the MPs in the Central Hall of the Parliament during the special session

News Continuous Bureau | Mumbai 

New Parliament Session : 

  • “આપણે ભારતને વિકસિત રાષ્ટ્રમાં પરિવર્તિત કરવાના સંકલ્પ અને દ્રઢ નિશ્ચય સાથે નવાં સંસદ ભવન તરફ આગળ વધી રહ્યા છીએ”

  •  “સંસદનો કેન્દ્રીય ખંડ આપણને આપણી ફરજો નિભાવવા માટે પ્રેરિત કરે છે”

  • “ભારત નવી ઊર્જાથી ભરેલું છે. આપણે ઝડપથી વિકાસ કરી રહ્યા છીએ”

  • “નવી આકાંક્ષાઓ વચ્ચે, નવા કાયદાઓ ઘડવા અને જૂના કાયદાઓથી છૂટકારો મેળવવો એ સાંસદોની સર્વોચ્ચ જવાબદારી છે”

  • “આપણે અમૃતકાળમાં આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવાનું છે”

  • “આપણે દરેક ભારતીયની આકાંક્ષાઓને ધ્યાનમાં રાખીને સુધારા કરવા પડશે”

  • “ભારતે મોટાં કૅનવાસ પર કામ કરવું પડશે. નાની નાની બાબતોમાં ફસાઈ જવાનો સમય વીતી ગયો છે”

  • “G20 દરમિયાન આપણે વૈશ્વિક દક્ષિણનો અવાજ બની ગયા છીએ, એક ‘વિશ્વ મિત્ર’ ”

  • “આપણે આત્મનિર્ભર ભારતનો સંકલ્પ પૂર્ણ કરવાનો છે”

  • “સંવિધાન સદન આપણને માર્ગદર્શન આપવાનું ચાલુ રાખશે અને બંધારણ સભાનો હિસ્સો રહેલી મહાન વિભૂતિઓની યાદ અપાવતું રહેશે”

New Parliament Session : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ(PM Modi) આજે વિશેષ સત્ર દરમિયાન સેન્ટ્રલ હૉલમાં સાંસદોને સંબોધન કર્યું હતું.પ્રધાનમંત્રીએ ગણેશ ચતુર્થીના અવસર પર શુભેચ્છાઓ પાઠવીને ગૃહમાં સંબોધનની શરૂઆત કરી હતી. તેમણે આજના પ્રસંગની નોંધ લીધી જ્યારે સંસદની નવી ઈમારતમાં ગૃહની કાર્યવાહી થશે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “આપણે ભારતને વિકસિત રાષ્ટ્રમાં પરિવર્તિત કરવાના સંકલ્પ અને દ્રઢ નિશ્ચય સાથે સંસદનાં નવા ભવન તરફ જઈ રહ્યા છીએ”.

સંસદ ભવન અને સેન્ટ્રલ હૉલ(central hall) વિશે બોલતા પ્રધાનમંત્રીએ તેના પ્રેરણાદાયી ઇતિહાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તેમણે યાદ અપાવ્યું કે શરૂઆતનાં વર્ષોમાં ઇમારતના આ ભાગનો ઉપયોગ એક પ્રકારની લાઇબ્રેરી તરીકે કરવામાં આવતો હતો. તેમણે યાદ કર્યું કે આ એ જ જગ્યા છે જ્યાં બંધારણે આકાર લીધો હતો અને સ્વતંત્રતા સમયે સત્તાનું હસ્તાંતરણ થયું હતું. તેમણે યાદ કર્યું કે આ સેન્ટ્રલ હૉલમાં ભારતનો રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીત અપનાવવામાં આવ્યું હતું. તેમણે માહિતી આપી હતી કે, વર્ષ 1952 પછી સમગ્ર વિશ્વમાંથી આશરે 41 દેશો અને સરકારોના વડાઓએ સેન્ટ્રલ હૉલમાં ભારતની સંસદને સંબોધન કર્યું છે. તેમણે માહિતી આપી હતી કે, ભારતના વિવિધ રાષ્ટ્રપતિઓએ 86 વખત સેન્ટ્રલ હૉલમાં સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, લોકસભા અને રાજ્યસભાએ છેલ્લા સાત દાયકામાં આશરે ચાર હજાર ધારાઓ પસાર કર્યા છે. તેમણે સંયુક્ત સત્રની કાર્યપ્રણાલી દ્વારા પસાર કરવામાં આવેલા કાયદાઓ વિશે પણ વાત કરી હતી અને આ સંબંધમાં દહેજ પ્રતિબંધ અધિનિયમ, બૅન્કિંગ સેવા આયોગ બિલ અને આતંકવાદ સામે લડવાન કાયદાઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ટ્રિપલ તલાક પર પ્રતિબંધ મૂકતા કાયદાનો પણ ઉલ્લેખ કર્યો હતો. શ્રી મોદીએ ટ્રાન્સજેન્ડર્સ અને દિવ્યાંગો માટેના કાયદાઓ વિશે વાત કરી હતી.

કલમ 370 નાબૂદ કરવામાં જનપ્રતિનિધિઓનાં યોગદાનનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ અત્યંત ગર્વ સાથે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આપણા પૂર્વજોએ આપણને પ્રદાન કરેલું બંધારણ હવે જમ્મુ-કાશ્મીરમાં લાગુ થઈ રહ્યું છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, “અત્યારે જમ્મુ અને કાશ્મીર શાંતિ અને વિકાસના માર્ગે અગ્રેસર છે તથા તેનાં લોકો હવે તકોને તેમનાં હાથમાંથી સરકી જવા દેવા ઇચ્છતાં નથી.”

સ્વતંત્રતા દિવસ 2023 દરમિયાન લાલ કિલ્લા પરથી પોતાનાં સંબોધનને યાદ કરીને પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, યોગ્ય સમય અત્યારે છે અને તે નવી ચેતના સાથે ભારતના ઉદયને પ્રદર્શિત કરે છે. “ભારત ઊર્જાથી ભરેલું છે” એવું ભારપૂર્વક જણાવતા શ્રી મોદીએ નોંધ્યું હતું કે, આ નવીન ચેતના દરેક નાગરિકને સમર્પણ અને પરિશ્રમ સાથે તેમનાં સ્વપ્નો સાકાર કરવા સક્ષમ બનાવશે. પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ભારતને પસંદ કરેલા માર્ગ પર પરિણામ મળવાની ખાતરી છે. તેમણે ઉમેર્યું હતું કે, “ઝડપી પ્રગતિ દર સાથે ઝડપી પરિણામો હાંસલ કરી શકાય છે.” ટોચનાં પાંચ અર્થતંત્રોમાં ભારતનાં આરોહણનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, વિશ્વ અને ભારત ટોચનાં ત્રણ અર્થતંત્રોમાં પ્રવેશવા માટે આત્મવિશ્વાસ ધરાવે છે. તેમણે ભારતનાં બૅન્કિંગ ક્ષેત્રની મજબૂતાઈ પર ભાર મૂક્યો હતો. તેમણે ભારતનાં ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, યુપીઆઈ અને ડિજિટલ સ્ટેક્સ માટે વિશ્વનો ઉત્સાહ નોંધ્યો હતો. તેમણે કહ્યું હતું કે, આ સફળતા વિશ્વ માટે વિસ્મય, આકર્ષણ અને સ્વીકૃતિનો વિષય છે.

આ સમાચાર પણ વાંચો  : Parliament Session : નવી સંસદ બિલ્ડીંગમાં લોકસભાને સંબોધિત કરતી વખતે પીએમના સંબોધન ને વાંચો અહીં..

પ્રધાનમંત્રીએ વર્તમાન સમયનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો, જ્યારે ભારતની આકાંક્ષાઓ છેલ્લાં એક હજાર વર્ષમાં અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટીએ છે. તેમણે કહ્યું હતું કે, ભારત, જેની આકાંક્ષાઓ હજારો વર્ષોથી સાંકળી રહી છે, તે હવે રાહ જોવા તૈયાર નથી, તે આકાંક્ષાઓ સાથે આગળ વધવા અને નવાં લક્ષ્યોનું નિર્માણ કરવા ઇચ્છે છે. તેમણે કહ્યું હતું કે, નવી આકાંક્ષાઓ વચ્ચે નવા કાયદાઓનું નિર્માણ કરવું અને જૂના થઈ ગયેલા કાયદાઓમાંથી છૂટકારો મેળવવો એ સાંસદોની સર્વોચ્ચ જવાબદારી છે.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, દરેક નાગરિકની અપેક્ષા અને દરેક સંસદસભ્યની માન્યતા છે કે, સંસદમાંથી પસાર થયેલા તમામ કાયદાઓ, ચર્ચાઓ અને સંદેશાઓએ ભારતની આકાંક્ષાઓને પ્રોત્સાહન આપવું જોઈએ. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “સંસદમાં રજૂ કરવામાં આવેલા દરેક સુધારા માટે ભારતીય આકાંક્ષાઓનાં મૂળને સર્વોચ્ચ પ્રાથમિકતા મળવી જોઈએ.”

પ્રધાનમંત્રીએ પૂછ્યું હતું કે, શું નાનાં કૅનવાસ પર મોટું ચિત્ર દોરી શકાય છે? તેમણે કહ્યું હતું કે, આપણી વિચારસરણીનાં કૅનવાસને વિસ્તૃત કર્યા વિના આપણે આપણાં સ્વપ્નોનાં ભવ્ય ભારતનું નિર્માણ ન કરી શકીએ. ભારતના ભવ્ય વારસાનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, જો આપણી વિચારસરણી આ ભવ્ય વારસા સાથે જોડાઈ જાય, તો આપણે તે ભવ્ય ભારતનું ચિત્ર દોરી શકીશું. “ભારતે મોટાં કૅનવાસ પર કામ કરવું પડશે. નાની નાની બાબતોમાં ફસાઈ જવાનો સમય વીતી ગયો છે,” એમ શ્રી મોદીએ કહ્યું.

તેમણે ‘આત્મનિર્ભર ભારત’નું નિર્માણ કરવાની પ્રાથમિકતા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે, પ્રારંભિક આશંકાને અવગણીને દુનિયા ભારતનાં આત્મનિર્ભર મૉડલ વિશે વાત કરી રહી છે. તેમણે કહ્યું હતું કે સંરક્ષણ, ઉત્પાદન, ઊર્જા અને ખાદ્યતેલમાં આત્મનિર્ભર બનવાની ઇચ્છા કોણ નહીં કરે અને આ ખોજમાં પક્ષીય રાજકારણ અવરોધરૂપ ન બનવું જોઈએ.

ભારતે ઉત્પાદન ક્ષેત્રમાં નવી ઊંચાઈઓ સર કરવાની જરૂરિયાત છે તેના પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ ‘ઝીરો ડિફેક્ટ, ઝીરો ઇફેક્ટ’નાં મૉડલ પર પ્રકાશ પાડ્યો હતો, જેમાં ભારતીય ઉત્પાદનો કોઈપણ પ્રકારની ખામીમાંથી મુક્ત હોવાં જોઈએ અને ઉત્પાદનની પ્રક્રિયાની પર્યાવરણ પર શૂન્ય અસર થવી જોઈએ. તેમણે કૃષિ, ડિઝાઇનર, સોફ્ટવેર, હસ્તકળા વગેરે જેવાં ઉત્પાદનો માટે ભારતનાં ઉત્પાદન ક્ષેત્રમાં નવા વૈશ્વિક માપદંડો ઊભા કરવાના ઉદ્દેશ સાથે આગળ વધવા પર ભાર મૂક્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, “કોઈને પણ એવો વિશ્વાસ હોવો જ જોઈએ કે આપણું ઉત્પાદન માત્ર આપણાં ગામડાં, નગરો, જિલ્લાઓ અને રાજ્યોમાં જ શ્રેષ્ઠ નહીં, પણ વિશ્વમાં પણ શ્રેષ્ઠ હશે.”

પ્રધાનમંત્રીએ નવી શૈક્ષણિક નીતિના ખુલ્લાપણાનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે, તેનો સાર્વત્રિક સ્વીકાર કરવામાં આવ્યો છે. જી-20 સમિટ દરમિયાન પ્રદર્શિત કરવામાં આવેલી પ્રાચીન નાલંદા યુનિવર્સિટીની તસવીરનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ સંસ્થા 1500 વર્ષ અગાઉ ભારતમાં કાર્યરત હતી એ બાબત વિદેશી મહાનુભાવો માટે આશ્ચર્યની વાત હતી. શ્રી મોદીએ ઉમેર્યું હતું કે, “આપણે આમાંથી પ્રેરણા મેળવવી પડશે અને વર્તમાનમાં આપણા લક્ષ્યાંકો હાંસલ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.” 

દેશના યુવાનોની વધતી જતી રમતગમતની સફળતાનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ ટાયર 2 અને ટાયર 3 શહેરોમાં રમતગમતની સંસ્કૃતિના ઉદયની નોંધ લીધી હતી. શ્રી મોદીએ કહ્યું હતું કે, “તે રાષ્ટ્રની પ્રતિજ્ઞા હોવી જોઈએ કે દરેક રમતના મંચ પર આપણો ત્રિરંગો હોવો જોઈએ.” તેમણે સામાન્ય નાગરિકોનાં જીવનની ગુણવત્તાની આકાંક્ષાઓ પૂર્ણ કરવા ગુણવત્તા પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવા પણ જણાવ્યું હતું.

પ્રધાનમંત્રીએ યુવા જનસંખ્યા ધરાવતા દેશ તરીકેનાં મહત્ત્વની પણ નોંધ લીધી હતી. આપણે એક એવું દૃશ્ય ઊભું કરવા માગીએ છીએ જ્યાં ભારતના યુવાનો હંમેશા આગળ રહે. તેમણે કહ્યું હતું કે, ભારત વૈશ્વિક સ્તરે કૌશલ્ય જરૂરિયાતોનું મૅપિંગ કર્યા પછી યુવાનોમાં કૌશલ્ય વિકાસ કરી રહ્યું છે. તેમણે તાજેતરમાં 150 નર્સિંગ કૉલેજો ખોલવાની પહેલનો ઉલ્લેખ કર્યો હતો, જે સ્વાસ્થ્ય વ્યાવસાયિકોની વૈશ્વિક જરૂરિયાતો પૂર્ણ કરવા માટે ભારતના યુવાનોને તૈયાર કરશે.

યોગ્ય સમયે યોગ્ય નિર્ણયો લેવાની જરૂરિયાત પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “નિર્ણય લેવાની પ્રક્રિયામાં વિલંબ ન થઈ શકે.” તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે, જનપ્રતિનિધિઓ રાજકીય લાભ કે નુકસાનથી બંધાયેલા ન હોઈ શકે. દેશનાં સૌર ઊર્જા ક્ષેત્ર વિશે બોલતાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે, હવે તે દેશની ઊર્જા કટોકટીમાંથી ગૅરન્ટી આપી રહ્યું છે. તેમણે મિશન હાઇડ્રોજન, સેમીકન્ડક્ટર મિશન અને જલ જીવન મિશન વિશે પણ વાત કરી હતી અને કહ્યું હતું કે, તેનાથી વધુ ઉજ્જવળ ભવિષ્યનો માર્ગ મોકળો થઈ રહ્યો છે. ભારતીય ઉત્પાદનોને વૈશ્વિક બજારમાં પહોંચવાની અને સ્પર્ધાત્મક રહેવાની જરૂરિયાત પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ ખર્ચ ઘટાડવા અને દરેક નાગરિકને સુલભ બનાવવા માટે દેશનાં લોજિસ્ટિક ક્ષેત્રને વિકસાવવા વિશે વાત કરી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “સામાજિક ન્યાય એ આપણી પ્રાથમિક શરત છે.” અને કહ્યું હતું કે, સામાજિક ન્યાય પર ચર્ચા ખૂબ જ મર્યાદિત બની ગઈ છે અને વિસ્તૃત દેખાવની જરૂર છે. તેમણે કહ્યું હતું કે, સામાજિક ન્યાયમાં વંચિત વર્ગોને કનેક્ટિવિટી, સ્વચ્છ પાણી, વીજળી, તબીબી સારવાર અને અન્ય મૂળભૂત સુવિધાઓ સાથે સશક્ત બનાવવાનો સમાવેશ થાય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, વિકાસમાં અસંતુલન સામાજિક ન્યાયની વિરુદ્ધ પણ છે અને તેમણે દેશના પૂર્વીય ભાગનાં પછાતપણાનો ઉલ્લેખ કર્યો હતો. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, “આપણા પૂર્વીય ભાગને મજબૂત કરીને આપણે ત્યાં સામાજિક ન્યાયની શક્તિ પ્રદાન કરવી પડશે.” તેમણે આકાંક્ષી જિલ્લા યોજનાનો ઉલ્લેખ કર્યો હતો, જેણે સંતુલિત વિકાસને વેગ આપ્યો છે. આ યોજનાને 500 બ્લોક્સ સુધી વિસ્તૃત કરવામાં આવી છે.

“સમગ્ર વિશ્વ ભારત તરફ જોઈ રહ્યું છે”, એમ પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે શીત યુદ્ધના યુગ દરમિયાન ભારતને તટસ્થ દેશ માનવામાં આવતો હતો પરંતુ આજે ભારત ‘વિશ્વ મિત્ર’ તરીકે ઓળખાય છે જ્યાં ભારત અન્ય દેશો સુધી મૈત્રીપૂર્ણ સંબંધો માટે પહોંચી રહ્યું છે જ્યારે તેઓ ભારતને મિત્ર તરીકે જોઇ રહ્યા છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, ભારત આ પ્રકારની વિદેશ નીતિનો લાભ લઈ રહ્યું છે, કારણ કે દેશ દુનિયા માટે સ્થિર પુરવઠા શ્રુંખલા તરીકે ઊભરી આવ્યો છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, જી-20 શિખર સંમેલન દક્ષિણની વૈશ્વિક જરૂરિયાતો પૂર્ણ કરવા માટેનું માધ્યમ છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ભવિષ્યની પેઢીઓ આ મહત્ત્વપૂર્ણ સિદ્ધિ માટે ગર્વની લાગણી અનુભવશે. શ્રી મોદીએ ઉમેર્યું હતું કે, “જી-20 સમિટ દ્વારા રોપવામાં આવેલાં બીજ વિશ્વ માટે વિશ્વાસનાં વિશાળ વટવૃક્ષમાં ફેરવાઈ જશે.” પ્રધાનમંત્રીએ જૈવઇંધણ ગઠબંધનનો ઉલ્લેખ કર્યો હતો, જેને જી20 સમિટમાં ઔપચારિક સ્વરૂપ આપવામાં આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ભારતનાં નેતૃત્વમાં વૈશ્વિક સ્તરે જૈવઇંધણનું મોટું અભિયાન ચાલી રહ્યું છે.

પ્રધાનમંત્રીએ ઉપરાષ્ટ્રપતિ અને સ્પીકરને વિનંતી કરી હતી કે, વર્તમાન ભવનની ભવ્યતા અને ગરિમાનું કોઈપણ કિંમતે રક્ષણ થવું જોઈએ અને તેને સંસદનાં જૂનાં ભવનનો દરજ્જો આપવો ન જોઈએ. તેમણે કહ્યું કે આ ઇમારતનું નામ ‘સંવિધાન સદન’ હશે. પ્રધાનમંત્રીએ અંતમાં જણાવ્યું હતું કે, “સંવિધાન સદન તરીકે, જૂની ઇમારત આપણને માર્ગદર્શન આપવાનું ચાલુ રાખશે અને બંધારણ સભાનો ભાગ રહેલી મહાન વિભૂતિઓ વિશે આપણને યાદ અપાવતું રહેશે.”

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More