Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૪૩

Bhagavat : પરમ પૂજ્ય ભાગવત પરમહંસ શ્રી રામચંદ્ર ડોંગરેજી મહારાજનું શ્રીમદ્ ભાગવતપ્રકાશ

by Hiral Meria
Bhagavat Purpose of Bhagavat and its Mahatma. – Part – 343

પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે

Bhagavat:  ગોલોકમાં નિત્ય શ્રીકૃષ્ણ લીલા ( Shri Krishna leela ) થાય છે. આ બન્ને સ્નિગ્ધ અને મધુકંઠ થયા છે. સ્નિગ્ધ અને મધુકંઠ ગોલોકમાં રોજ કૃષ્ણકીર્તન કરે છે. ગોલોકધામમાં નિત્ય કૃષ્ણલીલા થાય છે. સ્નિગ્ધ, મધુકંઠ, બોલ્યા અક્રૂર આવ્યા છે, અને શ્રીકૃષ્ણને ( Shri Krishna ) મથુરા લઈ જાય છે આ સાંભળી માતાજી વ્યાકુળ બન્યાં છે. સ્નિગ્ધ અને મધુકંઠ કહે છે, મા, આ તો પૃથ્વી ઉપરની લીલા છે. શ્રીકૃષ્ણ તો તમારી ગોદમાં બિરાજેલા છે. 

અત્યાર સુધી બે વૃક્ષો પડયાં નથી. યોગમાયાએ તે વૃક્ષોને પકડી રાખ્યાં છે. આ નળકૂબર ( Nalakuvara ) અને મણિગ્રીવ ( Manigriva ) ગોલોક ધામમાં ગયા, એટલે બે વૃક્ષ પડી ગયાં. તેનો અવાજ ગોપીઓએ સાંભળ્યો, ગોપીઓ દોડતી ત્યાં આવી. આ મોટાં વૃક્ષો કેવી રીતે
પડયાં? નારાયણની દયા થઈ. અમારો કનૈયો બચી ગયો.

નંદબાબા દોડતા આવ્યા છે. જોયું કે કનૈયો ખાંડણિયા સાથે બંધાયો છે. એને કોણે બાંધ્યો? આને કોઈ છોડતું નથી.
નંદબાબા દોડતા આવ્યા અને લાલાને છોડયો. નંદબાબા કનૈયાને કહે છે, બેટા તારી માએ તને બાંધ્યો હતો? બેટા માએ બાંધ્યો
પણ મેં તો તને છોડાવ્યો છે. બેટા તું કોનો દીકરો? કનૈયો કહે છે, આજ સુધી માનો હતો, પણ આજથી તમારો દીકરો છું.
નંદબાબાએ યશોદાને ( Yashoda ) ઠપકો આપ્યો તને વિવેક નથી. લાલાને કેમ બાંધ્યો? યશોદા વિચારે છે, મને જ બધા ઠપકો
આપે છે. યશોદા જવાબ આપે છે. મારે ક્યાં ઇચ્છા હતી. પણ તેને ચોરી કરવાની આદત પડી છે, તે છોડાવવી છે. મેં બાંધ્યો છે,
તે પ્રેમથી બાંધ્યો છે.

યશોદા લાલાને બોલાવે છે, બેટા અહીં આવ, અહીં આવ. કનૈયો જવાબ આપે છે, હું નહીં આવું. હું તો બાબાનો દીકરો
છું.

યશોદા વિચારે છે. ગોપીઓ રડતી હતી. બાળકો રડતા હતાં. છતાં મેં નિષ્ઠૂર થઈ લાલાને બાંધ્યો. મેં લાલાને બાંધ્યો, તે
યોગ્ય નથી કર્યું. યશોદા લાલાને બોલાવે છે. શ્રીકૃષ્ણ જતા નથી. મારો કનૈયો રિસાયો. લાલો કયારે ગોદમાં આવશે. મા રડે છે
લાલાએ તે જોયું.

ભગવાનને માટે એકાંતમાં જે રડે છે તેને કનૈયો આવીને મળે છે. હસનારને કનૈયો મળતો નથી. યશોદાજી રડવાં લાગ્યાં.
શ્રીકૃષ્ણથી આ સહન થયું નહીં. કનૈયો દોડતો આવી માની ગોદમાં બેઠો, પીતાંબરથી માનાં આંસુ લૂછયા. માએ પ્યાર કર્યો.
છોકરો કેવો ડાહ્યો છે. માતાજી લાલાને કહે છે. બેટા, મેં તને બાંધ્યો, તે મેં ભૂલ કરી છે. બેટા, મેં તને બાંધ્યો તે મનમાં રાખીશ
નહિ. તું ભૂલી જા.

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૪૨

તારો પ્રેમબંધન કનૈયો કદી ભૂલશે નહિ, મા! હું રુક્મિણીનો ( Rukmini ) નહિ. કોઈનો નહિ, પણ તારો બંધાયેલો છું.

આ ગોકુળની મુખ્ય લીલા છે. જ્ઞાની ઈશ્વરનો સાક્ષાત્કાર કરી શકે, પણ પરમાત્માને બાંધવાની શક્તિ જ્ઞાનીમાં નથી.
ભક્તિ જ ભગવાનને બાંધી શકે છે. જ્ઞાની બ્રહ્મનું ચિંતન કરતાં કરતાં બ્રહ્મમય થઈ શકે છે પણ અનન્ય ભક્તિ જ ભગવાનને
બાંધી શકે છે. તપ કરતાં, જ્ઞાન કરતાં, પ્રેમલક્ષણા ભક્તિ જ શ્રેષ્ઠ છે. જ્ઞાન અને તપ ભગવાનને બાંધી શકે નહિ. જ્ઞાનીઓ
બ્રહ્મરૂપ થઇ શકે છે. તપસ્વીઓ બ્રહ્મચિંતન કરી શકે છે. પણ પ્રેમલક્ષણા ભક્તિ જ ભગવાનને બાંધી શકે છે.

જીવમાત્ર ઉપર પરમાત્મા પ્રેમનો વરસાદ વરસાવે છે, પણ આ જીવ એવો દુષ્ટ છે કે તે પ્રભુ સાથે પ્રેમ કરતો નથી.
પ્રભુમાં પ્રેમ જગાડવા માટે પ્રભુના ઉપકારોનું વારંવાર સ્મરણ કરો. હું પરમાત્માનો ઋણી છું. આજથી એવી ભાવના કરો કે
ઠાકોરજીને લીધે હું સુખી છું. પ્રભુની કૃપાથી હું સુખી થયો છું, એવો વારંવાર વિચાર કરશો, તો પ્રભુમાં પ્રેમ જાગશે. પ્રાપ્ત સ્થિતિમાં
સંતોષ માનશો તો પ્રભુમાં પ્રેમ જાગશે, પરમાત્મા બીજું કાંઇ માંગતા નથી. જીવ મને પ્રેમ આપે. પ્રભુ સાથે પ્રેમ કરવો હોય તો, બે
વસ્તુઓ હંમેશ ધ્યાનમાં રાખજો. પ્રભુ પાસે કાંઈ માગશો નહિ. અને પ્રભુએ કરેલા ઉપકાર ભૂલશો નહિ. મનુષ્યનો પ્રેમ વિખરાયેલો
છે. પૈસામાં, ઘરમાં, ધંધામાં, કપડામાં વગેરેમાં મનુષ્યનો પ્રેમ વિખરાયેલો છે. એટલે પરમાત્મા પ્રસન્ન થતા નથી. મારાં દર્શન

કરતાં કપડાની ઈસ્ત્રી ન ચૂંથાય તેનું ધ્યાન રાખે છે. ભગવાન સમજે છે, મારાં કરતાં તને કપડાં વધારે વહાલાં છે. કપડાં બગડે તો,

બજારમાં બીજાં મળે છે. પણ કાળજું બગડે તો બજારમાં બીજું કાળજું મળતું નથી. પ્રેમદોરીથી જ્ઞાની પુરુષો પરમાત્માને બાંધે છે.
બીજા કોઇ બળથી જીવ પ્રભુને બાંધી શકે નહિ. ફકત પ્રેમદોરીથી જ બાંધી શકે.

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More