Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૫૨

Bhagavat : પરમ પૂજ્ય ભાગવત પરમહંસ શ્રી રામચંદ્ર ડોંગરેજી મહારાજનું શ્રીમદ્ ભાગવતપ્રકાશ

by Hiral Meria
Bhagavat Purpose of Bhagavat and its Mahatma. – Part – 352

પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે

Bhagavat:   શાંડિલ્યઋષિ અને તેમનાં પત્ની તપસ્વી હતાં. 

પતિ ભોજન ન કરે એટલે પતિવ્રતા સ્ત્રીનો ધર્મ છે કે ભોજન ન કરવું એટલે પૂર્ણમાસી ફળાહારથી ચલાવી લે. ઘરમાં
એક છોકરો હતો, તે નંદબાબાને ઘરે જમવા જાય એટલે ઘરમાં રસોઈ કરતાં નથી.

પતિમાં ઈશ્વરની ભાવના નહિ રાખો તો મૂર્તિમાં ઈશ્વરનો ભાવ થશે નહિ. મારા પતિ ઉપવાસી છે, ફળાહારી છે એટલે
પૂર્ણમાસી પણ ઘરમાં રસોઈ બનાવતાં નથી.

જીવનમાં જરૂરિયાત જેમ ઓછી કરશો તેમ પાપ ઘટશે. ભોગ વધશે તો પાપ વધશે, ભોગ ઘટશે તો પાપ ઘટશે. આદત
અને હાજતને વધારશો નહિ તો સુખી થશો. આ  જોઈએ  નો અંત આવતો નથી. નકકી કરો મારે બીજુ કાંઈ જોઈતું નથી, મારે મારા ભગવાન જોઈએ છે.

પૂર્ણમાસી મધુમંગલને કહે છે. બેટા ઘરમાં કાંઈ નથી, કનૈયો માગે છે. અને આ ગરીબ બ્રાહ્મણીના ઘરમાં કાંઈ નથી, કનૈયા માટે હું શું આપું? તપસ્વી હતા, સંગ્રહ કરતા ન હતા. પવિત્ર બ્રાહ્મણ ( Brahmin ) કોઈ વસ્તુનો સંગ્રહ ન કરે. ઘરમાં કાંઈ નથી. મધુમંગલ કહે છે, મા, મને કાંઈક આપ. પૂર્ણમાસી ઘરમાં કાંઇક હોય તો તે શોધવા લાગ્યાં. ઘરમાંથી થોડી છાસ મળી. કનૈયો પ્રેમનો ભૂખ્યો છે. છાસ ખાટી હશે તો લાલાને ત્રાસ થશે. છાસમાં ખાંડ નાખી તે છાસ મટકીમાં ભરીને આપી. લાલાને કહેજે, મારી માએ આ છાસ આપી છે.

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૫૧

તારા ઘરની છાસ ખાટી, તારી મા ખાટી એટલે મધુમંગલ તે છાસ પોતે જ પી જવા લાગ્યો. શ્રીકૃષ્ણની ( Shri Krishna ) નજર મધુમંગલ પર પડી. એ મધુમંગલ, તારી માએ છાસ મારા માટે આપી છે તું એકલો એકલો છાસ પી જાય છે. છાસ મને આપ. પૂર્ણમાસીએ છાસ પ્રેમથી
આપેલી હતી, પણ મધુમંગલ સાંભળતો નથી. છાસ આપતો નથી. હું નહીં આપું. મધુમંગલ ઉતાવળથી છાસ પીવા લાગ્યો.
કનૈયો દોડતો આવ્યો, મધુમંગલે હાંડલી ખાલી કરી, પણ મોઢામાંથી છાસનો રેલો નીકળ્યો, કનૈયો તેનું મોંઢુ ચાટવા લાગ્યો.
ભગવાન શ્રીકૃષ્ણ મઘુમંગલનું મોઢું ચાટતા હતા તે જ વખતે બ્રહ્માજી ( Brahmaji )  આકાશમાં જોઇ રહયા હતા.

કનૈયો તો મધુમંગલને કહે છે, તારી એંઠી છાસ મળે તો મારી બુદ્ધિ સુધરે. તારા પિતા બ્રાહ્મણ છે, તપસ્વી છે.

શ્રીકૃષ્ણ બાળક સાથે બાળક છે, યોગી સાથે યોગી, જ્ઞાની સાથે જ્ઞાની અને ભોગી સાથે ભોગી છે. બાળક આગળ
બ્રહ્મજ્ઞાનની વાતો કરે કે બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે તો તેઓ કાંઈ સમજે નહીં. બાળકોને આવી વાત ગમે નહિ. એટલે
માખણના નિમિત્તથી ભગવાન ગોપબાળકોનું મન હરે છે, તેમના મિત્ર બને છે. અને અનાયાસે તેઓને બ્રહ્માનુભવ કરાવે છે.
કનૈયા ને મધુમંગલના મોઢા પરની છાસ ચાટતા જોઇ, બ્રહ્માજીને આશ્ચર્ય થયું. આ ભગવાન છે કે કોણ છે? લોકો
માને છે કે કનૈયો ઇશ્વર છે. પણ આ તો ગોપબાળકોના મોંઢાં ચાટે છે. આ કાંઈ ઈશ્વર હોઈ શકે? બ્રહ્માને શંકા થાય છે. આ જ
બ્રહ્મા ક્ષીરસાગરમાં ભગવાનને અવતાર લેવાનું કહેવા ગયા હતા. પ્રભુ દેવકીજીના ગર્ભમાં આવ્યા ત્યારે આ જ બ્રહ્માજી ગર્ભસ્તુતિ
કરવા ગયા હતા. આવા બ્રહ્માજી પણ શ્રીકૃષ્ણની સગુણ લીલા જોઇ મોહમાં પડયા છે.

સગુણ બ્રહ્મની અટપટી લીલા જોતાં, બ્રહ્માને મોહ થાય તો આજના વિષયી લોકોને મોહ થાય તો તેમાં શું આશ્ર્ચર્ય?
બ્રહ્માને શંકા થાય એ સ્વભાવિક છે. નિર્ગુણ બ્રહ્માનો પાર પામવો શકય છે પણ સગુણ બ્રહ્મની લીલાનો પાર પામવો એ
મુશ્કેલ છે.

તુલસીદાસજીએ ( Tulsidas ) પણ લખ્યું છે, કે નિર્ગુણ બ્રહ્મને જાણવા સહેલા છે. પણ સગુણ બ્રહ્મને જાણવા મુશ્કેલ છે. 

નિરગુણ રુપ સુલભ અતિ સોઈ સગુન ન જાને કોઈ ।

બ્રહ્માજી જેવા પણ આ લીલામાં ભુલા પડે છે, તો સામાન્ય જીવની શું સ્થિતિ? સામાન્ય જીવોને શું કહેવું?
બ્રહ્માજીએ વિચાર્યું કે કનૈયો ઇશ્વર છે કે સાધારણ દેવ, તેની આજે પરીક્ષા કરું. મારા જેવી સૃષ્ટિ બનાવતાં આવડશે
તો માનીશ કે આ કનૈયો ઇશ્વર છે.

મારી પરીક્ષામાં કનૈયો પાસ થશે તો માનીશ કનૈયો ઈશ્વર છે.

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More