News Continuous Bureau | Mumbai
Lok sabha election 2024 :
- અમદાવાદ જિલ્લામાં ૩૦,૭૩૦ દિવ્યાંગ મતદારો લોકસભા ચૂંટણીમાં સહભાગી થશે
- દિવ્યાંગ મતદારો સુગમતાથી મતાધિકારનો ઉપયોગ કરી શકે, એ માટે જિલ્લા ચૂંટણી તંત્ર કટિબદ્ધ
- સમગ્ર જિલ્લાના કુલ દિવ્યાંગ મતદારો પૈકી પુરુષ ૧૭,૦૬૪, મહિલાઓ ૧૩,૬૬૨ અને ૪ ટ્રાન્સજેન્ડર મતદારો
- વિરમગામ વિધાનસભા વિસ્તારમાં સૌથી વધુ ૨૫૭૫ અને અસારવામાં સૌથી ઓછા ૫૪૧ દિવ્યાંગ મતદારો
લોકસભાની સામાન્ય ચૂંટણી આગામી સમયમાં યોજાનાર છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સર્વગ્રાહી કામગીરી હાથ ધરાઈ છે. ચૂંટણી પ્રક્રિયામાં સૌથી મહત્ત્વનું પરિબળ એટલે મતદાર ( voter ) અને મતદાન. અમદાવાદ શહેર જિલ્લામાં મતદારોનું વૈવિધ્ય જોઈએ તો કુલ ૬૦,૩૯,૧૪૫ મતદારો પૈકી ૩૧,૩૩,૨૮૪ પુરુષ અને ૨૯,૦૫,૬૨૨ મહિલાઓ મતદારો છે, જ્યારે ૩૦,૭૩૦ દિવ્યાંગ મતદારો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતીય ચૂંટણી પંચ ( election commission ) ની નિર્દેશિકા અનુસાર અમુક પ્રમાણથી વધારે દિવ્યાંગતા ધરાવતા મતદારો માટે ઘરેથી મતદાનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ઉપરાંત મતદાન મથકો પર પણ સ્વયંસેવકો તથા વ્હીલચેર ની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. વધુમાં દિવ્યાંગ મતદારો સક્ષમ (Saksham) એપ્લિકેશન ની મદદથી મતદાન મથકો પર જરૂરી સુવિધાઓ મેળવી શકશે.
અમદાવાદમાં ૨૧ વિધાનસભા બેઠકો છે
અમદાવાદ શહેર અને જિલ્લાની કુલ ૨૧ વિધાનસભા બેઠકો પૈકી અમદાવાદ પૂર્વમાં પાંચ વિધાનસભા બેઠકોનો, અમદાવાદ પશ્ચિમમાં સાત બેઠકોનો, ગાંધીનગર લોકસભા વિસ્તારમાં પાંચ બેઠકોનો, સુરેન્દ્રનગર લોકસભા વિસ્તારમાં બે બેઠકોનો અને ખેડા જિલ્લાની લોકસભા વિસ્તારમાં બે બેઠકોનો સમાવેશ થાય છે. એ દૃષ્ટિએ અમદાવાદ શહેર અને જિલ્લાનો વિસ્તાર પાંચ લોકસભા બેઠકોને સમાવે છે.
અમદાવાદ શહેર અને જિલ્લામાં કુલ ૩૦,૭૩૦ દિવ્યાંગ મતદારો પૈકી ૧૭,૦૬૪ પુરુષ અને ૧૩,૬૬૨ મહિલાઓનો સમાવેશ થાય છે. જ્યારે એલિસબ્રિજ, બાપુનગર,જમાલપુર- ખાડિયા અને મણીનગર વિધાનસભા પૈકી પ્રત્યેકમાં એક એક એમ કુલ ૪ ટ્રાન્સજેન્ડર મતદારો છે.
આ સમાચાર પણ વાંચો : RBI Penalty : RBI ફુલ એક્શનમાં, આ 2 બેંકોને ફટકાર્યો કરોડોનો દંડ; જાણો શું છે કારણ..
વિરમગામ વિધાનસભા વિસ્તારમાં સૌથી વધુ ૨૫૭૫ અને અસારવામાં સૌથી ઓછા ૫૪૧ દિવ્યાંગ મતદારો છે.
વિરમગામ ઉપરાંત સાણંદ વિધાનસભા વિસ્તારમાં બે હજારથી વધુ એટલે કે ૨૪૫૩, વેજલપુર વિધાનસભામાં ૨૪૧૩, વટવામાં ૨૫૦૩ અને દાણીલીમડામાં ૨૦૨૪ દિવ્યાંગ મતદારો છે.
અન્ય વિધાનસભા વિસ્તારની વિગત જોઈએ તો ઘાટલોડિયામાં ૧૪૩૮, એલિસબ્રિજમાં ૬૬૫, નારણપુરામાં ૭૭૦, નિકોલમાં ૧૨૯૨, નરોડામાં ૧૧૩૩, ઠક્કરબાપાનગરમાં ૯૯૬, બાપુનગરમાં ૯૮૯, અમરાઈવાડીમાં ૧૩૨૦, દરિયાપુરમાં ૬૫૨, જમાલપુર-ખાડિયામાં ૧૦૨૩, મણિનગરમાં ૧૪૮૬, સાબરમતીમાં ૧૩૦૧, દસક્રોઈમાં ૧૭૭૫, ધોળકામાં ૧૫૬૧ અને ધંધુકા વિધાનસભા વિસ્તારમાં ૧૮૨૦ દિવ્યાંગ મતદારો મતદાનનો ઉપયોગ કરશે.
અમદાવાદનાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી.કે.એ જણાવ્યું છે કે અમદાવાદ શહેર-જિલ્લાના દિવ્યાંગ મતદારો સુગમતાથી મતદાન કરી શકે તે માટેની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર કટિબદ્ધ છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.