Anganwadi Praveshotsav-2025 : ભુલકાઓના ઉજ્જવળ ભવિષ્યનું પ્રથમ સોપાન, છેલ્લા ત્રણ વર્ષમાં ૫ લાખથી વધુ બાળકોએ આંગણવાડી પ્રવેશોત્સવ અંતર્ગત પ્રવેશ મેળવ્યો

Anganwadi Praveshotsav-2025 : છેલ્લા ત્રણ વર્ષમાં ૫ લાખથી વધુ બાળકોએ આંગણવાડીમાં પ્રવેશ મેળવ્યો છે જેમાં ૨.૬૮ લાખ કુમાર અને ૨.૫૩ લાખથી વધુ કન્યાઓનો સમાવેશ થાય છે. આંગણવાડી પ્રવેશમાં ગુજરાતની નામાંકન ટકાવારી સમગ્ર દેશ કરતા વધુ છે.

by kalpana Verat
Anganwadi Praveshotsav-2025 More than 5 lakh children enrolled in Anganwadi in Gujarat in the last 3 years

News Continuous Bureau | Mumbai

Anganwadi Praveshotsav-2025 : 

 અંદાજે ૭૭,૫૭૦ કુમાર તથા ૭૩,૩૭૯ કન્યાઓ એમ મળીને રાજ્યની ૫૩ હજારથી વધુ આંગણવાડીઓમાં ૧.૫૦ લાખથી વધુ બાળકોને ચાલુ વર્ષે પ્રવેશ અપાશે
 આંગણવાડી પ્રવેશમાં ગુજરાતનું નામાંકન ૮૭.૬ ટકા નોંધાયું
 બાળકોની અઠવાડિક પ્રવૃત્તિઓના આયોજનની માહિતી આપતું ડિજિટલ કેલેન્ડર
 આધુનિક ટેક્નોલોજી દ્વારા બાળકોને માર્ગદર્શન અને શિક્ષણ માટે યુટ્યુબ ઉપર “ઉંબરે આંગણવાડી” કાર્યક્રમ કાર્યરત
*
રાજ્યના બાળકોના સર્વાંગી વિકાસ અને સુવર્ણ ભવિષ્ય માટે તેમને યોગ્ય પૂર્વ પ્રાથમિક શિક્ષણ મળી રહે તેવા ઉમદા હેતુથી ૩ થી ૬ વર્ષના ભૂલકાઓને આંગણવાડીમાં દાખલ કરવા માટે દર વર્ષે આંગણવાડી પ્રવેશોત્સવ યોજવામાં આવે છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં તેમજ મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાના નેતૃત્વમાં આ વર્ષે રાજ્યની ૫૩ હજારથી વધુ આંગણવાડીઓમાં અંદાજે ૧.૫૦ લાખથી વધુ ભૂલકાઓને પ્રવેશ આપવામાં આવશે. જેમાં ૭૭,૫૭૦ કુમાર તથા ૭૩,૩૭૯ કન્યાઓનો સમાવેશ થાય છે.

રાજ્ય સરકારના સૌને શિક્ષણ આપવાના અવિરત પ્રયાસો થકી બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બની રહ્યું છે. આંગણવાડી પ્રવેશોત્સવ અંતર્ગત છેલ્લા ત્રણ વર્ષમાં ૫ લાખથી વધુ બાળકોએ આંગણવાડીમાં પ્રવેશ મેળવ્યો છે જેમાં ૨.૬૮ લાખ કુમાર અને ૨.૫૩ લાખથી વધુ કન્યાઓનો સમાવેશ થાય છે. આંગણવાડી પ્રવેશમાં ગુજરાતની નામાંકન ટકાવારી સમગ્ર દેશ કરતા વધુ છે. દેશમાં વર્ષ ૨૦૨૪માં આંગણવાડીમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટે નામાંકન ૬૬.૮ ટકા છે જેની સામે ગુજરાતની આંગણવાડીઓમાં ત્રણ વર્ષના બાળકોનું નામાંકન ૮૭.૬ ટકા નોંધાયું છે.

આંગણવાડીમાં ૩ થી ૬ વર્ષના બાળકોને રમતો અને પ્રવૃત્તિઓના આધારે અનૌપચારિક શિક્ષણ આપવામાં આવે છે. બાળકોનો શારીરિક, ભાષાકીય, બૌદ્ધિક, સામાજિક અને ભાવનાત્મક વિકાસ થાય તેવું હુંફાળું વાતાવરણ પુરુ પાડવામાં આવે છે. વ્યક્તિગત રીતે નાના અને મોટા જૂથમાં બાળક સ્વયં ઉપર નિયંત્રણ રાખી બીજા બાળકો સાથે હળે મળે અને આંતરિક શિસ્ત કેળવાય તે પ્રકારની પ્રવૃત્તિઓ માટે વિવિધ સાધન સામગ્રી આંગણવાડીમાં ઉપલબ્ધ કરાવામાં આવે છે.

આ સમાચાર પણ વાંચો : Rail Fares Hike : યાત્રીઓને મોટો ઝટકો.. રેલવે આ તારીખથી ભાડું વધારવાની તૈયારીમાં, એસી-નોન એસી ટ્રેનની મુસાફરી મોંઘી થશે..

આંગણવાડીમાં અનૌપચારિક પૂર્વ પ્રાથમિક શિક્ષણના અભ્યાસક્રમ આધારિત વિવિધ પ્રવૃત્તિઓ જેમ કે, સર્કલ ટાઈમ, થીમ આધારિત ચર્ચા ગીત, સંગીત, વાર્તા, ઉખાણા, જોડકણા દ્વારા બાળકોને ગમ્મત સાથે જ્ઞાન આપવામાં આવે છે. વાલીઓ માટે ડિજિટલ કેલેન્ડર તૈયાર કરવામાં આવે છે. જેમાં બાળકોના અભ્યાસક્રમ મુજબ જે અઠવાડિક પ્રવૃત્તિઓનું આયોજન કરાય છે તેની માહિતી, બાળકો માટેની દૈનિક બે પ્રવૃત્તિઓ, માસમાં બાળક શું શીખશે અને માસના અંતે બાળકે શું શીખ્યું તે વિશે માર્ગદર્શન આપવામાં આવે છે.

આ ઉપરાંત ‘મારી વિકાસયાત્રા’ બુક દ્વારા બાળકોના સર્વાંગી વિકાસની દેખરેખ રાખવામાં આવે છે. બાળકોને વિશેષ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેમાં બાળ દિવસની ઉજવણી, વિવિધ તહેવારોની ઉજવણી, રમતોત્સવ તથા પ્રાયોગિક અનુભવો થાય તે હેતુથી બાળ મેળાઓ પણ યોજવામાં આવે છે. વૈજ્ઞાનિક રીતે બાળકના સર્વાંગી વિકાસ માટે વિવિધ શૈક્ષણિક કીટનો ઉપયોગ કરી ચિટકકામ, માટીકામ, છાપકામ, ગડીકામ, રંગકામ જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.

આધુનિક ટેક્નોલોજી દ્વારા બાળકોને માર્ગદર્શન અને શિક્ષણ આપવા માટે “ઉંબરે આંગણવાડી” યુટ્યુબ દ્વારા અભ્યાસક્રમ આધારિત કાર્યક્રમો જેવા કે, બાળઆનંદ, સર્જનાત્મક, રચનાત્મક પ્રવૃત્તિઓ ઉપરાંત માતા-પિતા અને વાલીઓ માટે પોઝિટિવ પેરેન્ટિંગના કાર્યક્રમો પણ યોજાય છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More