News Continuous Bureau | Mumbai
- મજૂરી કામ કરીને પેટીયું રળતા પ્રજ્ઞેશ ચૌધરીની દીકરી પ્રિશાના હોઠ અને તાળવાની જન્મજાત ખામી દૂર થઈ
- જન્મ પછી ૮મા માસે હોઠ અને તાળવાનું ઓપરેશન RBSK યોજના હેઠળ સફળતાપૂર્વક થયુઃ
- બે થી ત્રણ લાખના ખર્ચે થતું ઓપરેશન સરકારની યોજના હેઠળ વિનામૂલ્યે થયું
- રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત હજારો બાળકોના ઓપરેશન વિનામૂલ્યે થઈ રહ્યા છે
માહિતી બ્યુરો,સુરતઃમંગળવારઃ
સુરત જિલ્લાના બારડોલી તાલુકાના નાની ભટલાવ ગામના વતની અને હાલ ભેંસુદલા ગામે રહેતા પ્રજ્ઞેશ ચૌધરીની દોઢ વર્ષીય દીકરીનું રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ વિનામુલ્યે સફળ ઓપરેશન થયું છે. મજુરી કામ કરીને પેટીયું રળતા પ્રજ્ઞેશ ચૌધરીની દીકરી પ્રિશાને જન્મથી જ ફાટેલા હોઠ અને તાળવાની (Cleft Lip and Palate) ખામી હતી. જેનું બે થી ત્રણ લાખના ખર્ચે થતું ઓપરેશન સરકારની યોજના હેઠળ વિનામૂલ્યે થતા પરિવારને ખુશીઓની ભેટ મળી છે.
આવા લાખો બાળકોના જીવનમાં ઉમંગ, આશા અને આરોગ્યના રંગ ભરવાની શક્તિ ભારત સરકારના આરોગ્ય મિશન અંતર્ગત ચાલતી ‘રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK)માં છે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ યોજનાને રાજ્યના પ્રત્યેક બાળકને સ્વસ્થ, ચુસ્ત-દુરસ્ત રાખવાની નેમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ધરાવે છે.
મજૂરી કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા પ્રજ્ઞેશ ચૌધરીએ જણાવ્યું હતું કે, તા.૯ એપ્રિલ,૨૦૨૪ના રોજ મારી પત્ની પાયલ સગર્ભા હતી. તેને પ્રસૂતિની પીડા થતા નજીક માંડવી કેવલ કૃપા હોસ્પિટલ ખાતે લઈ ગયા, જયાં નોર્મલ ડિલીવરી થઈ. દીકરીનો જન્મ થયો. જ્યાં ડોક્ટરે અમને કહ્યું કે, દીકરીને જન્મથી જ ફાટેલા હોઠ અને તાળવાની (Cleft Lip and Palate) ખામી છે, જેથી વહેલી તકે ઓપરેશન કરવું પડશે એવું જણાવાવામાં આવ્યું હતું. પણ ઓપરેશનનો ખર્ચ બે થી ત્રણ લાખ કહ્યો. ખર્ચની વાત સાંભળતા જ અમને આંચકો લાગ્યો.
એક તરફ દીકરીના જન્મની ખુશી અને ઓપરેશનનો માતબર ખર્ચ. પરંતુ ત્યારબાદ આરબીએસકે ટીમનો સંપર્ક થયો અને તેમણે અમને સરકારની બાળકોના સ્વાસ્થ્ય માટે યોજના વિશેની વિગતવાર સમજ આપી અને RBSKની ટીમના ડો.રૂનાલી કપ્તાનએ કહ્યું કે, ઓપરેશનનો તમામ ખર્ચ RBSK યોજના હેઠળ ફ્રી માં થશે. તમારે કોઈ ચિંતા કરવાની જરૂરી નથી એમ જણાવતા અમને મોટી રાહત થઇ એમ પ્રગ્નેશભાઇ કહે છે.
આરબીએસકેની ટીમના માર્ગદર્શન હેઠળ પ્રિશાને કામરેજની યુ.એન.એમ ચિલ્ડ્રન હોસ્પિટલમાં તપાસ માટે લાવ્યા. જ્યાં ડોક્ટરે પ્રાથમિક તપાસ કરી ચાર થી પાંચ મહિના પછી બાળકનુ વજન પાંચ કિલો થાય ત્યારે ઓપરેશન કરાવવાની સલાહ આપી. પરંતુ ચાર મહિના બાદ પણ પ્રિશામાં લોહીનું પ્રમાણ ઓછું અને વજન વધ્યું ન હતું, જેથી આરસીબીએસકેની ટીમના મેડિકલ ઓફિસર ડો.રૂનાલી કપ્તાન દ્વારા બાળકીની માતાને સ્તનપાન કરાવવાની ટેકનીક અને યોગ્ય આહાર આરોગવો માટેની સમજણ આપી, જેના થકી પ્રિશાનું વજન વધ્યું, ત્યારબાદ કામરેજની યુ.એન.એમ.ચિલ્ડ્રન હોસ્પિટલના ડો. વિતરાગ શાહના માર્ગદર્શનમાં સફળતાપુર્વક પ્રિશાનું નિશુલ્ક ઓપરેશન કરાયું હતું.
પિતા પ્રજ્ઞેશ ચૌધરી કહે છે કે, આજે મારી દીકરી પ્રિશાની તબિયત ખૂબ સારી છે, સંપૂર્ણ સ્વસ્થ છે. તત્કાલ અમને સહયોગી બનવા બદલ RBSK ટીમ તથા જિલ્લા આરોગ્ય અધિકારી તથા રાજ્યના આરોગ્ય વિભાગના સૌ અધિકારીઓ પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી.
માતા પાયલબેન ચૌધરી ભાવુક થઇને કહ્યું કે, મારી દિકરી પ્રિશાને હોઠ અને તાળવાની જન્મજાત ખામી આવતા એકદમ પડી ભાગી હતી, દિકરીના ફાટેલા હોઠના કારણે સ્તનપાન કેવી રીતે કરાવીશ, દૂધ કેવી રીતે પીવડાવશી એવી સતત ચિંતા મનમાં હતી, પરંતુ આરબીએસકેની ટીમના સહકારથી આજે મારી દિકરીને નોર્મલ બાળકની જેમ સ્તનપાન કરાવી શકું છું, અમે સરકારના હંમેશા આભારી રહીશું.
આ સમાચાર પણ વાંચો : Mehsana Garba Mahotsav 2025: આર.જે. ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ મહેસાણા ખાતે નવરાત્રી મહોત્સવ અંતર્ગત ભવ્યાતિ ભવ્ય ગરબા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું
મેડિકલ ઓફિસર ડો.રૂનાલી કપ્તાને જણાવ્યું કે, આવા દુર્લભ કેસોમાં સમયસર ડાયગ્નોસિસ અને ત્વરિત સારવાર આપવામાં આવે તો બાળકને સામાન્ય જીવન આપી શકાય છે. પ્રિશાને સમયસર સારવાર પ્રાપ્ત થતા હવે સંપૂર્ણ સ્વસ્થ છે, એને જોઈને અમારી આંખો ઠરે છે. જો આ યોજના ન હોત ન જાણે પ્રિશાનું જીવન કઈ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું હોત અને કેવી કઠિનાઈ વેઠવી પડતી હોત એ વિચારથી કંપારી આવી જાય છે.
ડો.કપ્તાને વધુમાં કહ્યું કે, પ્રિશાનું ઓપરેશન આર.બી.એસ.કે. યોજના હેઠળ સફળતાપુર્વક સંપન્ન થયું છે. યુ.એન.એમ.ચિલ્ડ્રન હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ RBSK ટીમ દ્વારા ઘરની નિયમિત મુલાકાત લેવામાં જાય છે. હાલ દોઢ વર્ષ બાદ દીકરી સંપુર્ણ સ્વસ્થ છે. નિયમિત હોસ્પિટલ ખાતે ચેકઅપ માટે લઈ પણ લઈ જવામાં આવે છે.
આર.બી.એસ.કે. (RBSK) યોજના શું છે?
ભારત સરકારના RBSK એટલે કે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમમાં ૦ થી ૧૮ વર્ષ સુધીના બાળકોના આરોગ્યની નિ:શુલ્ક તપાસ કરવામાં આવે છે, અને જો કોઈ ગંભીર તકલીફ હોય તો સારવાર કે ઓપરેશન પણ વિનામૂલ્યે કરાવવામાં આવે છે. ગુજરાતમાં હજારો બાળકોને નવજીવન અપાવતી આ યોજના અનેક પરિવાર માટે આશીર્વાદરૂપ બની છે.