Assam train accident: આસામમાં રુંવાડા ઉભા કરી દેતો ટ્રેન અકસ્માત: રાજધાની એક્સપ્રેસ અને હાથીઓના ઝુંડ વચ્ચે ટક્કર, ૮ ગજરાજોના કમકમાટીભર્યા મોત.

આસામના લુમડિંગ ડિવિઝનમાં શનિવારે વહેલી સવારે એક મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ છે. સૈરાંગ-નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ જંગલી હાથીઓના ઝુંડ સાથે ટકરાતા એન્જિન અને ટ્રેનના પાંચ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે.

by aryan sawant
Assam train accident આસામમાં રુંવાડા ઉભા કરી દેતો ટ્રેન અકસ્માત રાજ

News Continuous Bureau | Mumbai

Assam train accident  આસામના લુમડિંગ ડિવિઝનમાં શનિવારે વહેલી સવારે એક મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ છે. સૈરાંગ-નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ જંગલી હાથીઓના ઝુંડ સાથે ટકરાતા એન્જિન અને ટ્રેનના પાંચ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. આ દર્દનાક અકસ્માતમાં ૮ હાથીઓના મોત થયા છે, જ્યારે સદનસીબે તમામ મુસાફરો સુરક્ષિત હોવાના અહેવાલ છે. આ ઘટનાને પગલે પૂર્વોત્તર ભારતની રેલ સેવાઓ ખોરવાઈ ગઈ છે.

કેવી રીતે અને ક્યાં સર્જાઈ દુર્ઘટના?

રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ભીષણ અકસ્માત પૂર્વોત્તર સીમાંત રેલવે (NFR) ના જમુનામુખ-કામપુર સેક્શનમાં સર્જાયો હતો, જે ગુવાહાટીથી આશરે 126 કિમી દૂર આવેલું છે. શનિવારે વહેલી સવારે જ્યારે રાજધાની એક્સપ્રેસ પોતાની નિર્ધારિત ગતિએ દોડી રહી હતી, ત્યારે અચાનક પાટા ઓળંગી રહેલા હાથીઓના ઝુંડ સાથે તેની જોરદાર ટક્કર થઈ હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે ટ્રેનના પાંચ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા અને અકસ્માત સ્થળે હાથીઓના શરીરના ટુકડા રેલવે ટ્રેક પર વિખરાઈ જવાથી અત્યંત કરુણ દ્રશ્યો સર્જાયા હતા.

મુસાફરો માટે શું વ્યવસ્થા કરાઈ?

દુર્ઘટના બાદ રેલવે વહીવટીતંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું છે અને મુસાફરોની સુરક્ષા તેમજ સુવિધા માટે ઝડપી વ્યવસ્થા હાથ ધરી છે. પાટા પરથી ઉતરી ગયેલા ડબ્બાના મુસાફરોને ટ્રેનના અન્ય ખાલી કોચમાં સુરક્ષિત રીતે શિફ્ટ કરવામાં આવ્યા છે. વધુમાં, જ્યારે આ ટ્રેન ગુવાહાટી પહોંચશે ત્યારે મુસાફરોની આગળની યાત્રા સુગમ બનાવવા માટે તેમાં વધારાના કોચ જોડવામાં આવશે. હાલમાં ઘટનાસ્થળે રાહત ટ્રેનો અને એન્જિનિયરોની વિશેષ ટીમો તૈનાત છે, જે પાટા પરથી ઉતરેલા ડબ્બાઓને હટાવવાની અને રેલવે વ્યવહારને પુનઃસ્થાપિત કરવાની કામગીરી યુદ્ધના ધોરણે કરી રહી છે.

રેલવે વ્યવહાર પર અસર

આ અકસ્માતને કારણે ઉપલા આસામ અને પૂર્વોત્તરના રાજ્યોને જોડતી મુખ્ય રેલવે લાઈન ઠપ થઈ ગઈ છે. અનેક ટ્રેનોને રદ કરવામાં આવી છે અથવા તેમના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. રેલવે ટ્રેક ક્લિયર થયા બાદ જ વ્યવહાર સામાન્ય થઈ શકશે.

આ સમાચાર પણ વાંચો : Bangladesh Violence Usman Hadi: ઉસ્માન હાદીના અંતિમ સંસ્કાર પૂર્વે બાંગ્લાદેશમાં ભડકો: દેશભરમાં રાજકીય શોક અને કડક સુરક્ષા બંદોબસ્ત.

વન વિભાગની ચિંતા

આસામના જંગલોમાં ટ્રેન સાથે હાથીઓની ટક્કરની ઘટનાઓ ચિંતાનો વિષય બની છે. વન અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરી રહ્યા છે કે શું ટ્રેનની સ્પીડ મર્યાદામાં હતી કે નહીં. ૮ હાથીઓના એકસાથે મોત થતા પશુપ્રેમીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More