News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રમાં તાજેતરમાં યોજાયેલી ૧૨ જિલ્લા પરિષદોની ચૂંટણીના પરિણામોએ રાજ્યના રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર આણ્યો છે. અજિત પવારના નિધન બાદ ઉભી થયેલી સહાનુભૂતિની લહેરને કારણે તેમની NCP એ સમગ્ર રાજ્યમાં ૧૭૨ બેઠકો જીતીને જોરદાર પ્રદર્શન કર્યું છે. ખાસ કરીને પશ્ચિમ મહારાષ્ટ્ર અને પુણે જિલ્લામાં અજિત પવાર જૂથનો પ્રભાવ વધતો જોવા મળ્યો છે. બીજી તરફ, ભારતીય જનતા પાર્ટી ૨૨૫ બેઠકો સાથે રાજ્યમાં પ્રથમ ક્રમે રહી છે.
પુણેમાં NCP નો દબદબો: ૭૩ માંથી ૫૧ બેઠકો પર કબજો
પશ્ચિમ મહારાષ્ટ્રમાં મતદારોની સહાનુભૂતિ સ્પષ્ટપણે NCP તરફ જોવા મળી હતી. પુણે જિલ્લા પરિષદની કુલ ૭૩ બેઠકોમાંથી અજિત પવારની NCP એ એકલા હાથે ૫૧ બેઠકો પર જીત મેળવી છે, જે ગત વખતની ૪૩ બેઠકો કરતા વધુ છે. ચૂંટણી પ્રચાર દરમિયાન અજિત દાદાને શ્રદ્ધાંજલિ આપવાની અપીલે પુણે અને સાતારા જેવા ગઢમાં મતદારોને એકજૂથ કરવામાં મોટી ભૂમિકા ભજવી હતી. સાતારામાં ભાજપે ૨૩ બેઠકો સાથે સરસાઈ મેળવી છે, જ્યારે NCP ને ૨૧ બેઠકો મળી છે.
આ સમાચાર પણ વાંચો : Edible Oil Futures Trading: ખાદ્યતેલોમાં આત્મનિર્ભર થવા માટે ફ્યચર્સ ટ્રેડિંગ જરૂરી
સોલાપુરમાં ભાજપનો ઇતિહાસ અને સાંગલીમાં રસાકસી
સોલાપુરમાં ભારતીય જનતા પાર્ટીએ ઇતિહાસ રચતા પ્રથમ વખત પોતાના દમ પર જિલ્લા પરિષદની સત્તા હાંસલ કરી છે. અહીંની ૬૮ બેઠકોમાંથી ભાજપે ૩૮ બેઠકો જીતી છે. સાંગલીમાં શરદ પવારના નેતૃત્વ હેઠળની NCP ૧૮ બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી બની છે, જ્યારે ભાજપને ૧૬ બેઠકો મળી છે. કોલ્હાપુરમાં પણ NCP એ પોતાની મજબૂતી જાળવી રાખી ૨૦ બેઠકો જીતી છે, જ્યારે કોંગ્રેસને ૧૪ અને ભાજપને ૧૨ બેઠકો મળી છે.
મહાયુતિ અને મહાવિકાસ આઘાડી વચ્ચે કાંટાની ટક્કર
રાજ્ય ચૂંટણી પંચના આંકડા મુજબ, સત્તારૂઢ મહાયુતિ ગઠબંધન (ભાજપ, શિંદે જૂથ અને અજિત પવાર જૂથ) એ કુલ ૭૩૧ માંથી ૫૫૨ બેઠકો પર કબજો જમાવ્યો છે. એકનાથ શિંદેની શિવસેનાને ૧૬૨ બેઠકો મળી છે, જ્યારે વિપક્ષમાં કોંગ્રેસને ૫૫ અને ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને ૪૬ બેઠકો મળી છે. શરદ પવાર જૂથને સમગ્ર રાજ્યમાં ૨૧ બેઠકોથી સંતોષ માનવો પડ્યો છે. રસપ્રદ વાત એ છે કે, કેટલીક જગ્યાએ મહાયુતિના સાથી પક્ષો સાથે મળીને લડ્યા હતા, તો પુણે જેવી જગ્યાએ સામસામે પણ હતા.