News Continuous Bureau | Mumbai
Mumbai Metro Door Safety Issue। મુંબઈમાં હજારો પ્રવાસીઓની સુરક્ષિત સવારી ગણાતી મેટ્રો ટ્રેનમાં એક અત્યંત જોખમી બેદરકારીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં મુંબઈ મેટ્રોની એક ટ્રેન બે સ્ટેશનો વચ્ચે પૂરઝડપે દોડી રહી છે, પરંતુ તેના દરવાજા સંપૂર્ણપણે ખુલ્લા હોવાનું જોવા મળ્યું છે. આ ઘટનાને પગલે મુસાફરોની સુરક્ષાને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે અને મેટ્રો પ્રશાસન સામે આક્રોશ જોવા મળી રહ્યો છે.
ઓટોમેટિક સિસ્ટમ હોવા છતાં દરવાજા કેમ ખુલ્લા રહ્યા?
સામાન્ય રીતે મેટ્રોની અત્યાધુનિક સેફ્ટી સિસ્ટમ મુજબ, જ્યાં સુધી તમામ દરવાજા બરાબર બંધ ન થાય ત્યાં સુધી ટ્રેન સ્ટેશન પરથી રવાના થઈ શકતી નથી. ટ્રેનમાં મુસાફરોની હાજરી હોવા છતાં આ પ્રકારે દરવાજા ખુલ્લા રહેવા તે સુરક્ષાના નિયમોનું ગંભીર ઉલ્લંઘન છે. નિષ્ણાતોના મતે, આ કોઈ મોટી ટેકનિકલ ખામી અથવા સેન્સરમાં ખામી હોવાને કારણે સર્જાયેલું સિસ્ટમ ફેલિયર હોઈ શકે છે. સદનસીબે, આ ઘટના દરમિયાન કોઈ અકસ્માત સર્જાયો નથી.
સોશિયલ મીડિયા પર મુંબઈગરાઓનો તીવ્ર રોષ
આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ મુંબઈના મુસાફરોમાં ભારે ફફડાટ ફેલાયો છે. લોકો સોશિયલ મીડિયા પર સવાલ કરી રહ્યા છે કે જો કોઈ મુસાફર ચાલુ ટ્રેને બહાર ફેંકાઈ ગયો હોત તો તેની જવાબદારી કોની હોત? મેટ્રો જેવી હાઈ-ટેક સેવામાં આવી ભૂલ અક્ષમ્ય ગણાય. મુસાફરો હવે માંગ કરી રહ્યા છે કે આ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે અને જવાબદાર ટેકનિકલ સ્ટાફ સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
MMRDA ના મૌનથી મુસાફરોની ચિંતામાં વધારો
મુંબઈ મેટ્રોનું સંચાલન કરતી MMRDA તરફથી આ ગંભીર બેદરકારી મામલે અત્યાર સુધી કોઈ સત્તાવાર નિવેદન કે સ્પષ્ટતા કરવામાં આવી નથી. ટ્રેનોમાં ‘લોક એન્ડ સેફ્ટી’ મિકેનિઝમ હોવા છતાં આવી સ્થિતિ કેવી રીતે ઊભી થઈ તે એક મોટો પ્રશ્ન છે. આ ઘટનાએ મેટ્રોના સુરક્ષાના દાવાઓની પોલ ખોલી દીધી છે. પ્રવાસી સંગઠનોનું કહેવું છે કે જો સમયસર ટેકનિકલ ખામીઓ દૂર કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં મોટી હોનારત સર્જાઈ શકે છે.
👉 આ સમાચાર વાચો:
MNS Workers Action Mumbai। મુંબઈમાં હંગામો રાજ ઠાકરે અને મરાઠી ભાષાનું અપમાન કરનાર યુવકને મનસેનો મેથીપાક