News Continuous Bureau | Mumbai
Andes Strain Hantavirus। કોરોના મહામારી બાદ હવે ‘હંતા વાયરસ’ (Hantavirus) ના ખતરનાક ‘એન્ડિઝ સ્ટ્રેન’ (Andes Strain) એ દુનિયાભરના વૈજ્ઞાનિકોની ચિંતા વધારી દીધી છે. તાજેતરમાં જ એક લક્ઝરી ક્રૂઝ શિપ પર થયેલા રહસ્યમય મોતોએ આ વાયરસને ફરી ચર્ચામાં લાવી દીધો છે. આ વાયરસનો સૌથી ડરામણો પાસા એ છે કે તેનો મૃત્યુદર ૫૦ ટકા જેટલો ઊંચો છે અને અત્યાર સુધી તેની કોઈ વેક્સિન કે ચોક્કસ ઈલાજ શોધાયો નથી.
ક્રૂઝ શિપની ઘટના અને રહસ્યમય મોત
એપ્રિલ ૨૦૨૬માં આર્જેન્ટિનાથી અન્ટાર્કટિકા જઈ રહેલા એક ક્રૂઝ જહાજ પર મુસાફરો એક પછી એક બીમાર પડવા લાગ્યા હતા. એક ડચ પ્રવાસી અને તેની પત્નીના ટૂંકા ગાળામાં થયેલા મોત બાદ ખળભળાટ મચી ગયો હતો. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) ની તપાસમાં બહાર આવ્યું કે આ મોત પાછળ ‘હંતા વાયરસ’ જવાબદાર હતો. તપાસ મુજબ, આ દંપતી મુસાફરી પહેલા એક એવા વિસ્તારમાં ગયું હતું જ્યાં ઉંદરોનો ભારે ત્રાસ હતો, જ્યાંથી તેમને આ ચેપ લાગ્યો હતો.
‘એન્ડિઝ સ્ટ્રેન’: માણસથી માણસમાં ફેલાતો ખતરો
સામાન્ય રીતે હંતા વાયરસ ઉંદરોના મળ-મૂત્ર કે લાળ દ્વારા માણસોમાં ફેલાય છે. પરંતુ ‘એન્ડિઝ સ્ટ્રેન’ આ વાયરસનો સૌથી ઘાતક પ્રકાર છે કારણ કે તે માણસથી માણસમાં (Human-to-Human Transmission) ફેલાવાની ક્ષમતા ધરાવે છે. આ સ્ટ્રેન સીધો ફેફસાં પર હુમલો કરે છે, જેના કારણે ફેફસાંમાં પાણી ભરાઈ જાય છે અને દર્દીનું ગૂંગળામણથી મોત થાય છે. આ સ્ટ્રેનથી સંક્રમિત વ્યક્તિ ‘સુપર સ્પ્રેડર’ પણ બની શકે છે, જે ખૂબ જ ટૂંકા સમયમાં અનેક લોકોને સંક્રમિત કરી શકે છે.
કેવી રીતે બચવું? જાણો નિષ્ણાતોના ઉપાયો
હંતા વાયરસ સામે લડવા માટે કોઈ એન્ટિ-વાયરલ દવા ન હોવાથી ‘સાવચેતી એ જ ઈલાજ’ છે. નિષ્ણાતો સૂચવે છે કે ઘરમાં ઉંદરોનો પ્રવેશ અટકાવવો જોઈએ અને ખોરાક કે કચરો ખુલ્લો ન છોડવો જોઈએ. જો તમારે કોઈ જૂના બંધ રૂમ, ગોદામ કે ઉંદરોની હાજરી હોય તેવી જગ્યાએ જવાનું થાય, તો N95 માસ્ક અને ગ્લવ્સ (Gloves) ચોક્કસ પહેરવા જોઈએ. પર્સનલ હાઈજીન જાળવવું અને બીમાર વ્યક્તિના બોડી ફ્લુઈડ્સના સંપર્કમાં ન આવવું એ આ જીવલેણ વાયરસથી બચવાનો શ્રેષ્ઠ માર્ગ છે.
👉 આ સમાચાર વાચો:
Gold Rate Today। માર્કેટ ક્રેશ થતા રોકાણકારો સોના તરફ વળ્યા! ચાંદીમાં ૩,૨૦૦નો તોતિંગ વધારો, સોનું પણ મોંઘું થયું; ખરીદતા પહેલા ચેક કરો આજનો નવો ભાવ