News Continuous Bureau | Mumbai
Cockroach Janata Party। ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા પર પાછલા કેટલાક દિવસોથી જોરદાર ચર્ચામાં રહેલી ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) વિરૂદ્ધ એક મોટું એક્શન લેવામાં આવ્યું છે. ભારતમાં આ ઓનલાઈન ઝુંબેશના સત્તાવાર એક્સ (X) એકાઉન્ટને બંધ એટલે કે વિથહેલ્ડ કરી દેવામાં આવ્યું છે. આ એકાઉન્ટ ઓપન કરવા પર સ્ક્રીન પર સ્પષ્ટ લખાઈને આવી રહ્યું છે કે, કાનૂની માંગણીને (Legal Demand) કારણે આ એકાઉન્ટને ભારતમાં પ્રતિબંધિત કરવામાં આવ્યું છે. આ ડિજિટલ અભિયાનના સ્થાપક અભિજીત દીપકેએ દાવો કર્યો છે કે, પહેલા આ એકાઉન્ટને હેક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને તેમાં નિષ્ફળતા મળતા આખરે તેને સત્તાવાર રીતે બંધ કરાવી દેવાયું છે.
ચીફ જસ્ટિસના નિવેદન બાદ ૧૬ મેથી શરૂ થઈ હતી આ અનોખી ઝુંબેશ
સોશિયલ મીડિયા પર ‘કોકરોચ જનતા પાર્ટી’ નામે આ અનોખા ઓનલાઈન કેમ્પેનની શરૂઆત ૧૬ મે ૨૦૨૬ ના રોજ થઈ હતી. આ વિરોધ પાછળનું મુખ્ય કારણ એ હતું કે, ભારતના ચીફ જસ્ટિસ (CJI) સૂર્યકાંતે દેશના કેટલાક બેરોજગાર યુવાનોના વલણ અને વર્તનને લઈને કથિત રીતે ‘કોકરોચ’ (વંદો) શબ્દનો ઉપયોગ કર્યો હતો. આ નિવેદનના વિરોધમાં પુણેના ડિજિટલ સ્ટ્રેટેજિસ્ટ અભિજીત દીપકેએ સોશિયલ મીડિયા પર લખ્યું કે, “શું થાય જો દેશના બધા કોકરોચ એકઠા થઈ જાય?” બસ, આ એક પોસ્ટ બાદ ઈન્ટરનેટ પર આ ટ્રેન્ડ વાયરલ થયો અને જોતજોતામાં લાખો લોકો આ વર્ચ્યુઅલ પાર્ટી સાથે જોડાવા લાગ્યા.
ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સના મામલે ભાજપને પણ પાછળ છોડી દીધું
એક્સ પર એકાઉન્ટ બંધ થયું તે પહેલા આ પાર્ટીના ત્યાં ૧.૬ લાખથી વધુ ફોલોઅર્સ થઈ ચૂક્યા હતા, જ્યારે ઇન્સ્ટાગ્રામ પર આ આંકડો ૧૩ મિલિયનને (૧.૩ કરોડ) પાર પહોંચી ગયો છે. ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સની સંખ્યાના મામલામાં આ ઓનલાઈન કેમ્પેને દેશની સત્તાધારી પાર્ટી ભારતીય જનતા પાર્ટીને પણ પાછળ છોડી દીધી છે. વિવિધ અહેવાલો અનુસાર, અત્યાર સુધીમાં આશરે ૬ લાખ લોકોએ સત્તાવાર રીતે આ ડિજિટલ મુવમેન્ટ માટે પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જેમાં દેશના કેટલાક મોટા રાજનેતાઓ અને સેલિબ્રિટીઝ પણ સામેલ છે.
કોણ છે ફાઉન્ડર અભિજીત દીપકે અને શું છે તેમની મુખ્ય માંગણીઓ?
કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક ૩૦ વર્ષીય અભિજીત દીપકે મૂળ મહારાષ્ટ્રના પુણેના રહેવાસી છે. તેમણે પુણેમાંથી જર્નાલિઝમમાં (પત્રકારત્વ) ગ્રેજ્યુએશન કર્યા બાદ અમેરિકાની પ્રખ્યાત બોસ્ટન યુનિવર્સિટીમાંથી પબ્લિક રિલેશન્સમાં પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી છે. તેઓ વ્યવસાયે પોલિટિકલ કોમ્યુનિકેશન સ્ટ્રેટેજિસ્ટ છે. આ પાર્ટીએ પોતાની વેબસાઈટ પણ લાઈવ કરી છે અને એક મેનિફેસ્ટો (જાહેરનામું) બહાર પાડ્યું છે. તેમની મુખ્ય માંગણીઓમાં- ચીફ જસ્ટિસને નિવૃત્તિ પછી રાજ્યસભામાં ન મોકલવા, સંસદમાં સીટોની સંખ્યા વધાર્યા વિના મહિલાઓને ૫૦% અનામત આપવી અને પક્ષપલટો કરનારા સાંસદો-ધારાસભ્યો પર ૨૦ વર્ષ સુધી ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવો જેવી બાબતો સામેલ છે.
👉 આ સમાચાર વાચો:
Ebola Virus Alert। કોરોના પછી હવે નવો આતંક? ઇબોલા વાયરસને પગલે ભારતમાં હાઈએલર્ટ, એરપોર્ટ પર સ્ક્રીનિંગ અને ગાઇડલાઇન્સ કરાઈ લાગુ