News Continuous Bureau | Mumbai
R Praggnanandhaa ભારતના યુવા ગ્રાન્ડમાસ્ટર રમેશબાબુ પ્રજ્ઞાનાનંદે ચેસની દુનિયામાં એક નવો ઈતિહાસ રચી દીધો છે. ઓસ્લો ખાતે રમાયેલી પ્રતિષ્ઠિત નોર્વે ચેસ ૨૦૨૬ ટૂર્નામેન્ટમાં પ્રજ્ઞાનાનંદે શાનદાર પ્રદર્શન કરીને ચેમ્પિયન બનવાનું ગૌરવ મેળવ્યું છે. આ સાથે જ તે આ પ્રતિષ્ઠિત ટાઈટલ જીતનાર દેશનો સૌપ્રથમ ભારતીય ખેલાડી બન્યો છે. ૨૦ વર્ષના પ્રજ્ઞાનાનંદે આ એવો રેકોર્ડ બનાવ્યો છે જે ભારતના મહાન ચેસ ખેલાડી વિશ્વનાથન આનંદ કે વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન ડી ગુકેશ પણ અત્યાર સુધી મેળવી શક્યા નહોતા. ટૂર્નામેન્ટના અંતિમ રાઉન્ડમાં જર્મનીના વિન્સેન્ટ કેમરને ક્લાસિકલ મેચમાં હરાવીને તેણે ૧૮ પોઈન્ટ સાથે આ ઐતિહાસિક જીત મેળવી હતી.
R Praggnanandhaa : શરૂઆતના પરાજય બાદ સતત ચાર મેચ જીતીને મેળવી અદભુત વાપસી
આ ટૂર્નામેન્ટમાં પ્રજ્ઞાનાનંદની શરૂઆત ખૂબ જ નબળી રહી હતી. શરૂઆતની પ્રથમ છ ગેમ્સમાંથી તે ત્રણ ક્લાસિકલ મેચ હારી ગયો હતો અને પોઈન્ટ ટેબલમાં સૌથી છેલ્લે પહોંચી ગયો હતો. જોકે, ત્યારબાદ તેણે અદભુત કમબેક કર્યું હતું. સાતમા રાઉન્ડથી તેણે પોતાની રમત બદલી અને સતત ચાર ક્લાસિકલ મેચો જીતી લીધી હતી. તેણે ક્રમશઃ અલીરેઝા ફિરોઝા, વર્લ્ડ નંબર વન મેગ્નસ કાર્લસન, વર્લ્ડ ચેમ્પિયન ડી ગુકેશ અને અંતે વિન્સેન્ટ કેમરને પરાજય આપીને વિજેતા બનવાની મજબૂત ક્ષમતા સાબિત કરી હતી. ખુદ મેગ્નસ કાર્લસને પણ પ્રજ્ઞાનાનંદની આ લડાયક વૃત્તિના વખાણ કરતા તેને અદ્ભુત ફાઇટર ગણાવ્યો છે.
R Praggnanandhaa : માતાની ભવિષ્યવાણી પ્રજ્ઞાનાનંદ માટે સાચી સાબિત થઈ
આ ઐતિહાસિક જીત બાદ પ્રજ્ઞાનાનંદે એક રસપ્રદ કિસ્સો શેર કરતા જણાવ્યું કે, તેની આ અદભુત વાપસી પાછળ તેની માતાનો મોટો હાથ હતો. જ્યારે ૧ જૂનના રોજ તે મેચ હારીને નિરાશ હતો, ત્યારે તેની માતા નાગલક્ષ્મીએ તેની સાથે વાત કરી હતી અને કહ્યું હતું કે, “નવો મહિનો શરૂ થઈ રહ્યો છે, તારી આગામી મેચો ખૂબ જ સારી જશે.” પ્રજ્ઞાનાનંદે હસતા હસતા કહ્યું કે કદાચ તેની માતાને અગાઉથી જ ખબર હતી કે જૂન મહિનામાં તેનો નસીબ બદલાવાનો છે અને ત્યારબાદ તે સતત ચાર મેચ જીતી ગયો. સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન તેની માતા તેની સાથે રહીને તેનો ઉત્સાહ વધારતી જોવા મળી હતી.
R Praggnanandhaa : ગૌતમ અદાણી સહિત દેશભરમાંથી પ્રજ્ઞાનાનંદ પર અભિનંદનની વર્ષા
પ્રજ્ઞાનાનંદની આ ઐતિહાસિક સિદ્ધિ બદલ દેશના અગ્રણી ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ સોશિયલ મીડિયા પર તેને ખાસ અભિનંદન પાઠવ્યા છે. અદાણી સ્પોર્ટ્સલાઈનની ‘ગર્વ હૈ’ પહેલ હેઠળ પ્રજ્ઞાનાનંદને શરૂઆતથી જ સપોર્ટ મળી રહ્યો છે. ગૌતમ અદાણીએ લખ્યું કે, નોર્વે ચેસ જેવી માનસિક અને શારીરિક ક્ષમતાની કસોટી કરતી વૈશ્વિક સ્ટેજ પર વિશ્વના શ્રેષ્ઠ ખેલાડીઓને હરાવવા એ ભારત માટે ખૂબ જ ગર્વની વાત છે. પ્રજ્ઞાનાનંદ આજની યુવા પેઢીના આત્મવિશ્વાસનું પ્રતીક છે. આ જીત બાદ સોશિયલ મીડિયા પર દેશભરના રમતપ્રેમીઓ પ્રજ્ઞાનાનંદને ભારતનું ભવિષ્ય ગણાવી રહ્યા છે.
👉 આ સમાચાર વાચો:
ATM Fraud Alert એટીએમમાંથી પૈસા ઉપાડતા પહેલાં સાવધાન! સીસીટીવીમાં કેદ થયો ચોંકાવનારો ફ્રોડ, એક નાની ભૂલથી થઈ જશે મોટું નુકસાન