News Continuous Bureau | Mumbai
Kangana Ranaut New Movie| બોલિવૂડ અભિનેત્રી અને સાંસદ કંગના રનૌત પોતાની આગામી નવી ફિલ્મ ‘ભારત ભાગ્ય વિધાતા દ્વારા ટૂંક સમયમાં જ મોટા પડદા પર ધમાકેદાર વાપસી કરવા માટે તૈયાર છે. આ ફિલ્મનું દમદાર ટ્રેલર તાજેતરમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે, જેને દર્શકો અને સોશિયલ મીડિયા પર ભારે પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મમાં કંગના રનૌત કોઈ કાલ્પનિક પાત્ર નહીં, પરંતુ દેશના રિયલલાઈફ હીરો એવા અંજલિ કુલથેની બહાદુરી અને અદભુત સાહસની વાર્તાને જીવતી કરતી જોવા મળશે. અંજલિ કુલથે મુંબઈના આતંકી હુમલા સમયે કામા હોસ્પિટલમાં એક સામાન્ય નર્સ તરીકે ફરજ બજાવી રહ્યા હતા.
૨૬/૧૧ ની એ કાળી રાત અને કામા હોસ્પિટલ તરફ આગળ વધેલા આતંકીઓ
મુંબઈમાં ૨૬ નવેમ્બર ૨૦૦૮ ના રોજ થયેલા ભયાનક અને કમકમાટીભર્યા આતંકી હુમલાને કોઈ પણ ભારતીય ક્યારેય ભૂલી શકે નહીં. તે કાળી રાત્રે પાકિસ્તાની આતંકવાદીઓએ આખા મુંબઈ શહેરને લોહીલુહાણ કરી દીધું હતું. જ્યારે ક્રૂર આતંકી અજમલ કસાબ અને તેના સાથી અબુ ઇસ્માઇલે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) પર અંધાધુંધ ગોળીબાર કર્યો, ત્યાર બાદ તેઓ બાજુમાં જ આવેલી કામા હોસ્પિટલ તરફ આગળ વધ્યા હતા. આખી હોસ્પિટલમાં મોતનો માહોલ અને ચીસાચીસ હતી, પરંતુ આવા અત્યંત ખૌફનાક વાતાવરણમાં પણ ત્યાં ડ્યુટી પર હાજર એક સામાન્ય નર્સ અંજલિ કુલથેએ જે અપ્રતિમ સાહસ બતાવ્યું તે આજે ઇતિહાસના પાના પર સુવર્ણ અક્ષરે અંકિત થઈ ગયું છે.
૨૦ ગર્ભવતી મહિલાઓ માટે ઢાલ બન્યા અંજલિ
હોસ્પિટલની બહાર જ્યારે ગોળીઓ અને ગ્રેનેડ ધડાકાના અવાજો આવી રહ્યા હતા, ત્યારે અંજલિ સહેજ પણ ડર્યા વગર પોતાની ફરજ પર મક્કમ રહ્યા હતા. તેમણે અદભુત સૂઝબૂઝ અને બહાદુરી બતાવીને હોસ્પિટલમાં દાખલ આશરે ૨૦ ગર્ભવતી મહિલાઓ અને તેમના પરિવારજનોને તાત્કાલિક એકઠા કર્યા હતા. અંજલિએ તે તમામને હોસ્પિટલના એક નાના અને સુરક્ષિત રૂમમાં શિફ્ટ કરી દીધા હતા. આતંકીઓનું ધ્યાન ન જાય તે માટે તેમણે રૂમની તમામ લાઈટો બંધ કરી દીધી અને અંદરના લોકોને સંપૂર્ણપણે શાંત રહેવા કહ્યું હતું. બહાર કસાબ ગોળીઓ વરસાવી રહ્યો હતો અને અંદર અંજલિ આ માસૂમ માતાઓ અને અજન્મેલા બાળકો માટે લોખંડી ઢાલ બનીને ઊભા હતા.
અદાલતમાં કસાબ સામે આપી હતી સત્તાવાર ગવાહી
આતંકવાદીઓ સામે અનેક કલાકો સુધી અંજલિ કુલથે હોસ્પિટલમાં અડીખમ ડટેલા રહ્યા હતા. આટલું જ નહીં, હુમલા બાદ જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે તપાસ શરૂ થઈ, ત્યારે અંજલિ અદાલતમાં (કોર્ટ) એક મુખ્ય અને મહત્વના સાક્ષી બન્યા હતા. તેમણે આતંકી અજમલ કસાબની સામે નજર મિલાવીને કોર્ટમાં સત્તાવાર ગવાહી આપી હતી, જે કસાબને ફાંસીના માંચડા સુધી પહોંચાડવામાં કાનૂની દ્રષ્ટિએ અત્યંત મદદરૂપ સાબિત થઈ હતી. હવે આ જ જાંબાઝ અને વીર નર્સની સત્ય ઘટનાને કંગના રનૌત દેશ સામે લાવી રહી છે. આ ફિલ્મ તે તમામ ડોક્ટરો, નર્સો અને મેડિકલ સ્ટાફને એક સચ્ચી શ્રદ્ધાંજલિ છે જેમણે સંકટ સમયે દેવદૂત બનીને દેશવાસીઓની રક્ષા કરી હતી. ‘ભારત ભાગ્ય વિધાતા’ ફિલ્મ આગામી ૧૨ જૂને દેશભરના સિનેમાઘરોમાં સત્તાવાર રીતે રિલીઝ થશે.
👉 આ સમાચાર વાચો:
Yeh Rishta Kya Kehlata Hai| સીરિયલના નવા ટ્રેકથી ફેન્સ નારાજ, સોશિયલ મીડિયા પર હંગામો, લોકો એ કરી આ માંગણી