News Continuous Bureau | Mumbai
Diljit Dosanjh Wembley Concert Record પંજાબી ગાયક અને અભિનેતા દિલજીત દોસાંજે લંડનના સુપ્રસિદ્ધ વેમ્બલી સ્ટેડિયમ ખાતે આયોજિત પોતાના લાઈવ કોન્સર્ટ દ્વારા વૈશ્વિક સંગીત જગતમાં નવો ઈતિહાસ રચી દીધો છે. પોતાના ‘ઓરા વર્લ્ડ ટૂર’ ના ભાગરૂપે યોજાયેલા આ ભવ્ય શોમાં અંદાજે ૯૨,૦૦૦ થી વધુ દર્શકોની જંગી જનમેદની ઉમટી પડી હતી. આ સાથે દિલજીતે સિંગલશો એટન્ડન્સ મામલે હોલીવુડના પોપ સુપરસ્ટાર્સ ટેલર સ્વિફ્ટ અને એડ શીરનના વ્યક્તિગત કોન્સર્ટના રેકોર્ડ્સને પાછળ છોડી દીધા છે. વેમ્બલી સ્ટેડિયમમાં મુખ્ય કલાકાર તરીકે સોલ્ડઆઉટ પરફોર્મન્સ આપનાર તેઓ પ્રથમ ભારતીય આર્ટિસ્ટ બની ગયા છે.
Diljit Dosanjh Wembley Concert Record – પંજાબી આ ગયે ઓયેના નારા સાથે સ્ટેડિયમ ગૂંજી ઉઠ્યું
દિલજીત દોસાંજે પોતાના પરંપરાગત પોશાકમાં મંચ પર પ્રવેશતાની સાથે જ પોતાના લોકપ્રિય અંદાજમાં કહ્યું હતું કે, “પંજાબી આ ગયે વેમ્બલી ઓયે!”. તેમના આ નારા સાથે જ આખું સ્ટેડિયમ તાળીઓ અને ઉત્સાહથી ગૂંજી ઉઠ્યું હતું. તેમણે પોતાના સુપરહિટ ગીતો ‘જીઓએટી’ (G.O.A.T.), ‘લવર’, ‘હસ હસ’ અને ‘બોર્ન ટુ શાઈન’ પર શાનદાર પર્ફોર્મન્સ આપીને ૯૨,૦૦૦ થી વધુ દર્શકોને ઝૂમવા મજબૂર કરી દીધા હતા. શોના અંતે ‘મૈં હૂં પંજાબ’ ગીત સાથે સ્ટેડિયમમાં ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી.
Diljit Dosanjh Wembley Concert Record – વૈશ્વિક કલાકારોના વ્યક્તિગત રેકોર્ડ્સને પાછળ છોડ્યા
વેમ્બલી સ્ટેડિયમમાં ટેલર સ્વિફ્ટના ઇરાસ ટૂર દરમિયાન એક શોમાં સરેરાશ ૮૯,૦૦૦ ફેન્સ હાજર રહ્યા હતા, જ્યારે એડ શીરનના સોલો શોમાં ૮૦,૦૦૦ થી ૮૪,૦૦૦ દર્શકો નોંધાયા હતા. દિલજીતના આ સિંગલ શોમાં ૯૨,૦૦૦ ની ભીડ નોંધાતા તેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે નવો માપદંડ સ્થાપિત કર્યો છે. જોકે વેમ્બલીનો સર્વોચ્ચ ઓવરઓલ રેકોર્ડ ગાયિકા અડેલના નામે છે, જેમના ૨૦૧૭ના કોન્સર્ટમાં ૯૮,૦૦૦ લોકો ઉપસ્થિત રહ્યા હતા. તેમ છતાં ભારતીય સંગીત માટે દિલજીતની આ સિદ્ધિ અપ્રતિમ અને સીમાચિહ્નરૂપ ગણાઈ રહી છે.
Diljit Dosanjh Wembley Concert Record – અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોન્સર્ટની મોટી જાહેરાત
આ ઐતિહાસિક કોન્સર્ટ દરમિયાન દિલજીતે પોતાના ભારતીય ચાહકોને એક મોટું સરપ્રાઈઝ આપ્યું હતું. તેમણે સ્ટેજ પરથી સત્તાવાર જાહેરાત કરી કે તેઓ ૨૧ નવેમ્બર, ૨૦૨૬ ના રોજ વિશ્વના સૌથી મોટા અમદાવાદ સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પોતાનો મેગા સ્ટેડિયમ શો યોજશે. કોલ્ડપ્લેના શોનો ઉલ્લેખ કરતાં તેમણે ગૌરવભેર જણાવ્યું હતું કે જો ભારતમાં આટલું મોટું સ્ટેડિયમ હોય તો ત્યાં પંજાબી કલાકારનો શો થવો જ જોઈએ. આ જાહેરાત બાદ દેશભરના સંગીત પ્રેમીઓમાં ભારે રોમાંચ જોવા મળી રહ્યો છે.