News Continuous Bureau | Mumbai
મનુષ્ય જ્યારે ચોમેરથી વિપદાઓ વચ્ચે ઘેરાયેલો હોય ત્યારે જેમનું સ્મરણ માત્ર તમામ સંકટમાંથી ઉગારી શકે છે તેવા હનુમાનજીની જયંતિ આજે એટલે શનિવારે દેશભરમાં આસ્થાપૂર્વક ઉજવવામાં આવશે. પવનપુત્રની જયંતિ નિમિત્તે આજે વહેલી સવારથી મોડી રાત સુધી હનુમાનજીના મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડશે. મંદિરોમાં હનુમાન ચાલીસા, સુંદરકાંડના પાઠ, મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે શનિવારે જ હનુમાન જયંતિનો અનોખો સંયોગ સર્જાયો છે.
શાસ્ત્રવિદોનુસાર અંજનીપુત્ર હનુમાનજીની ઉપાસના અનેક રીતે ફળદાયી છે. હનુમાન ચાલીસા, સંકટમોચન હનુમાનષ્ટક, હનુમાન બાહુક કે રામનામના જપથી પણ બજરંગબલીની કૃપા વરસે છે. હનુમાનજીને આંકડાનો હાર, સીંદુર, તેલ ચઢાવવાનો મહિમા છે. આજે ચૈત્રી પૂર્ણિમા છે ત્યારે આ દિવસ હનુમાન જયંતિનો, પિતૃકૃપા મેળવવાનો છે. ચૈત્રી પૂનમ નિમિત્તે શક્તિપીઠ સહિતના માઇમંદિરોમાં પણ ભક્તોનું ઘોડાપુર ઉમટશે. બીજી તરફ બોટાદ જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ તીર્થધામ સાળંગપુર ખાતે કષ્ટભંજન દેવના દર્શન માટે શુક્રવારે રાતથી જ મોટી સંખ્યામાં ભક્તોનું આગમન શરૂ થઈ ગયું છે.
આમ તો, ભગવાન બજરંગબલીના ઘણા નામ છે પરંતુ આનંદ રામાયણમાં એમના 12 વિશેષ નામ જણાવવામાં આવ્યાં છે.હનુમાનજી તેમના ભક્તોનાં કષ્ટ નિવારે છે. આ દુ:ખભંજન દેવનાં દિવ્ય નામોનું જાપ દિવસમાં એક ચોક્કસ સમયે કરવાથી ભક્તોનાં શનિદોષનું નિવારણ થાય છે.
1. હનુમાન
2.અંજનીસૂત
3.વાયુપુત્ર
4.રામેષ્ટ
5.ફાલ્ગુનસખા
6.પિંગાક્ષ
7.અમિતવિક્રમ
8.ઉદધિક્રમણ
9.સીતાશોક વિનાશન
10.લક્ષમણપ્રાણદાતા
11.દશગ્રીનદર્પહા
12.મહાબલહ