News Continuous Bureau | Mumbai
યુક્રેન વિરુદ્ધ લશ્કરી અભિયાન પછી રશિયા પર યુએસ અને યુરોપિયન દેશો દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધો ભારતની આયાત ક્ષમતાને અસર કરી શકે છે. મીડિયામાં પ્રકાશિત એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઉત્પાદન ખર્ચમાં ભારતીય કંપનીઓ પર તેની સીધી અસર પડી શકે છે. એક અહેવાલમાં જાણવા મળ્યું કે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ નવ મહિનામાં ભારતની રશિયામાં નિકાસ ૨.૫૫ અબજ ડોલર રહી છે, જે અગાઉના નાણાકીય વર્ષના સમાન સમયગાળાના ૧.૮૭ અબજ ડોલરના નિકાસ કરતા ૩૬.૧ ટકા વધારે છે.
આ રિપોર્ટ અનુસાર, નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ના પ્રથમ નવ મહિનામાં ભારતથી યુક્રેનમાં ૩૭.૨ કરોડ ડોલર (૦.૨ ટકા)ની નિકાસ કરવામાં આવી હતી. જો કે, આ જ અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે સ્ટીલ અને એલ્યુમિનિયમ જેવા કેટલાક ક્ષેત્રોને પણ વધતી કિંમતોથી ફાયદો થઈ શકે છે. જ્યારે રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું ત્યારે ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ ૯૭ ડોલર પ્રતિબેરલ હતી. હવે તે ૧૨૫ ડોલર પ્રતિ બેરલના સ્તરે પહોંચી ગયૂં છે. જોકે આ સમયગાળા દરમિયાન રિટેલમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો નથી. છેલ્લા ચાર મહિનાથી પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે. જેના કારણે ઓઈલ માર્કેટિંગ કંપનીઓને ભારે નુકસાન થઈ રહ્યું છે. વધતા ભાવની અસર કેમિકલ અને પેઇન્ટ ઉદ્યોગ પર પણ જોવા મળી રહી છે. આ બે ઉદ્યોગોમાં ક્રૂડ ઓઈલ ડેરિવેટિવ્ઝ નો ઉપયોગ થાય છે. આવી સ્થિતિમાં આ બંને ક્ષેત્રની કંપનીઓના માર્જિન પર અસર થશે. આ કંપનીઓના માર્જિન પર અસર જૂન ક્વાર્ટર સુધીમાં જોવા મળશે. આ કંપનીઓની ઈન્વેન્ટરી ઝડપથી ઘટી રહી છે.
આ સમાચાર પણ વાંચો : અર્થતંત્ર પાટા પર, દેશની વિદેશી મુદ્રા ભંડારમાં થયો વધારો; જાણો ભારત પાસે કેટલો છે સોનાનો ભંડાર
કોમોડિટી ફુગાવામાં વધારાની પણ અસર પડશે. કોમોડિટીમાં વધારાને કારણે સ્ટીલ અને એલ્યુમિનિયમ સેક્ટરને ફાયદો થશે. જોકે, બાંધકામ, રિયલ એસ્ટેટ અને ઓટોમોબાઈલ પર તેની ખરાબ અસર પડશે. ક્રૂડ ઓઈલમાં વધારાની અસર નેચરલ ગેસના ભાવ પર પણ પડશે. કુદરતી ગેસના ભાવની અસર ખાતર ક્ષેત્ર પર પડશે. જોકે, કંપનીઓ સરળતાથી તેનો દર વધારી શકે છે, જેના કારણે કંપનીઓની આવક પર વધુ અસર નહીં થાય. જાે લડાઈ લાંબો સમય ચાલશે તો દેશમાં યુરિયા સહિત અન્ય ખાતરોની અછત સર્જાઈ શકે છે. ભારત તેની યુરિયા જરૂરિયાતના ૮ ટકા રશિયા અને યુક્રેનમાંથી આયાત કરે છે.