ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 12 સપ્ટેમ્બર, 2021
રવિવાર
લેપટોપ કે કોમ્પ્યુટર સ્ક્રીનની સામે લગાતાર કામ કર્યા પછી રાત સુધીમાં બહુ જ થાકી જાવ છો. અમુક વાર પછીના દિવસે કામ પર એ થાકની અસર વર્તાય છે, તો તેના માટે સૌથી સરળ ઉપાય છે જેનાથી તમારો થાક પળભરમાં ગાયબ થઈ જશે અને સવારે જાગો ત્યારે તમે તાજગીનો અનુભવ કરશો. તેનાં માટે ઑફિસથી આવ્યા પછી જ્યારે પણ તમે સ્નાન કરો છો ત્યારે નીચે જણાવેલ 5માંથી કોઈ એક નુસખો અપનાવો. તેનાથી તમને આખા દિવસના થાકમાંથી રાહત મળશે. તો ચાલો, જાણીએ શું છે ઉપાયો.
1. લીંબુ
લીંબુમાં રહેલ એન્ટી ઓક્સિજડેન્ટ ગુણ આપના શરીરને એક્ટિવ રાખવામાં મદદ કરે છે. પાણીમાં લીંબુનાં 2 ટીપાં નાખીને સ્નાન કરવાથી દિવસભરના થાકથી છુટકારો મળે છે તેમ જ તેની સુગંધથી તાજગીનો અનુભવ થાય છે. જેનાથી તમને ફ્રેશનેસ મહેસૂસ થાય છે. ખાસ તો શરીર પર રહેલ ગંદકીને દૂર કરવામાં પણ મદદરૂપ થાય છે અને ચહેરા કે બોડી પર પડેલ ડાઘને પણ હલકા કરે છે.
2. ઓલિવ તેલ
આ સૌથી વધુ ઉપયોગી તેલ છે. સ્નાન કરવા સમયે ડોલમાં એક ઢાંકણું ઓલિવ તેલનું નાખવાથી સ્નાનની મઝા ખૂબ સારી રીતે લઈ શકાય છે. આ તેલ એન્ટી-એજિંગનું પણ કાર્ય કરે છે. આમાં વિટામિન ઈ અને કે પણ ભરપૂર પ્રમાણમાં હોય છે. પાણીમાં નાખીને એને લગાડવાથી કોલેજનનું કામ પણ થઈ જાય છે.
3. મીઠું (નમક)
દિવસભરના થાકને દૂર કરવાનો સૌથી સરળ ઉપાય છે મીઠું કે જે દરેકના ઘરમાં મળી રહે છે. નવશેકા પાણીમાં 1 ચમચી મીઠું નાખી સ્નાન લેવાથી આખા દિવસના થાકની સાથે શરીર પરની ગંદકી પણ દૂર થઈ જાય છે. જેનાથી થાક લાગ્યો હોય તો પણ મીઠી ઊંઘ આવી જાય છે.
4. દૂધ
દૂધથી સ્નાન કરવું એ એક ભારતીય પરંપરા રહી છે. તમારે ત્યાં રાતના પણ દૂધ આવતું હોય તો અડધી વાટકી દૂધ નવશેકા પાણીમાં નાખી સ્નાન કરવું. તેનાથી તમારી ચામડી વધારે કોમળ થઈ જશે. તેના બદલે રાત્રે તમારે કોઈ પ્રકારના મોઇશ્ચરાઇઝર પણ લગાડવાની જરૂર નહીં પડે.
5. લવંડર તેલ
આ તેલનો ઉપયોગ સ્પા દરમિયાન સૌથી વધુ કરવામાં આવે છે. તેલનાં માત્ર બે ટીપાં પાણીમાં નાખીને તે નવશેકા પાણીથી સ્નાન કરવું. આપનો બધો થાક દૂર થઈ જશે. આ તેલથી સ્નાન કરવાથી માંસપેશીઓનો દુખાવો પણ ઓછો થાય છે.
તહેવાર સમયે કેન્દ્ર સરકારે ખાદ્ય તેલ વેપારીઓને આપી મોટી ભેટ આયાત સંદર્ભે લીધો નિર્ણય; જાણો વિગત