ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,21 જુલાઈ 2021
બુધવાર.
રિર્ઝવ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ના નવા નિયમને કારણે એકથી વધુ બેન્ક પાસેથી ધિરાણ (ક્રેડીટ) લેનારી કંપનીઓના કરન્ટ એકાઉન્ટ હવે અમુક બેન્ક રાખી શકશે નહીં. જે બેન્કનું ધિરાણ કુલ ધિરાણના 10 ટકાથી ઓછું હોય એવી બેન્કો આ કંપનીઓના કરન્ટ એકાઉન્ટ હવેથી રાખી શકશે નહીં. રિર્ઝવ બેન્ક ઓફ ઈન્ડિયાનો આ નિયમ 30 જુલાઈથી અમલમાં આવવાનો છે. આ નિયમ અમલમાં આવવાથી અનેક બેન્કોએ તેમના મોટા કરન્ટ એકાઉન્ટ ગુમાવવા પડશે.
પંદર દિવસ પહેલા આ મુજબનો સર્ક્યુલર રિર્ઝવ બેન્ક ઓફ ઈન્ડિયાએ બહાર પાડયો છે. હકીકતમાં ગયા વર્ષના ઓગસ્ટ મહિનાથી જ RBI આ પગલું લેવાની હતી. પરંતુ અનેક બેન્કોએ તેની સામે વાંધો લીધો હતો. કરન્ટ એકાઉન્ટ પર જમા રહેલા પૈસા પર બેન્ક કોઈ વ્યાજ ચૂકવતી નથી. તેથી કંપનીઓના આવા એકાઉન્ટ બેન્કો માટે હંમેશાથી ફાયદામંદ રહ્યા છે.
નવા નિયમ અનુસાર બેન્ક ધિરાણમાં આ હેતુસર લોન, ગેરન્ટી અને ઓવર ડ્રાફનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે કંપનીઓએ બધી બેન્કો પાસેથી લીધેલા કુલ ધિરાણમા જે બેન્કનો હિસ્સો 10 ટકાથી ઓછો હશે તેમણે હવે આવી કંપનીઓના કરન્ટ એકાઉન્ટ બંધ કરવા પડશે.
નિષ્ણાતોના કહેવા મુજબ કંપનીઓ દ્વારા થતી પૈસાની હેરફેર રોકવા માટે આ નિયમ બનાવવામાં આવ્યો છે. જો કંપનીનો કરન્ટ એકાઉન્ટ અને તેણે જેની પાસેથી ધિરાણ લીધું હોય તે બંને બેન્કો એક જ હશે તો કંપનીઓને પૈસાની હેરફેરમાં મુશ્કેલી થઈ શકે છે. નવા નિયમમાં મ્યુચ્યુલ ફંડ અને ઈન્શયોરન્સ કંપનીઓને બાકત રાખવામાં આવી છે.