ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૭ જુલાઈ, ૨૦૨૧
શનિવાર
મીરા-ભાઇંદર મહાનગરપાલિકાના નગરસેવક પ્રશાંત દળવીએ હાલમાં જ પાલિકાના કમિશનરને એક પત્ર લખી બ્લૅકમેઇલ કરતા RTI ઍક્ટિવિસ્ટો વિરુદ્ધ ગુનો દાખલ કરવાની વિનંતી કરી હતી. દળવીએ પોતાના પત્રમાં લખ્યું હતું કે “મીરા-ભાઇંદર મહાનગરપાલિકામાં RTI કાર્યકરો, સામાજિક કાર્યકરો દ્વારા દાખલ કરાયેલી RTI અરજીઓની સંખ્યામાં વધારો થયો છે. અધિકારીઓને બ્લૅકમેઇલ કરવા અને વિકાસના કામમાં અડચણ ઊભી કરવા RTIઍપ્લિકેશનનો ઉપયોગ મોટે ભાગે થઈ રહ્યો છે.”
આવા વિશિષ્ટ અરજદારોની વિભાગીય માહિતીનું સંકલન કરી RTIનો દુરુપયોગ કરનારાઓની સૂચિ તૈયાર કરવી જોઈએ. ત્રણ વર્ષ પહેલાં થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશને માહિતીના અધિકારના વારંવાર દુરુપયોગ સામે થાણે પોલીસ કમિશનરને ફરિયાદ નોંધાવી હતી. આથી મીરા-ભાઇંદર મહાનગરપાલિકાના વહીવટી તંત્રે પણ માહિતીના અધિકારનો વારંવાર દુરુપયોગ કરનારાઓની સૂચિ તૈયાર કરી તેમેની વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ તેમ ઉમેર્યું હતું.
હવે આ સંદર્ભે ભૂતપૂર્વ સેન્ટ્રલ ઇન્ફર્મેશન કમિશનર શૈલેષ ગાંધીએ સણસણતો જવાબ આપ્યો છે. શૈલેષ ગાંધીએ પણ પાલિકાના કમિશનરને પત્ર લખ્યો છે અને કહ્યું છે કે “દળવીએ હકીકતને ભૂલી ગયા છે કે નાગરિકો આ રાષ્ટ્રના શાસકો છે અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમના સેવક છે. દળવીના પત્રથી એવું જણાય છે કે જે લોકો વારંવાર RTIનો ઉપયોગ કરે છે તે બ્લૅકમેઇલર અને વસૂલી કરનારા છે. શાસનમાં જવાબદારી લાવવાની કોશિશ કરી રહેલા નાગરિકો સામે આ એક ખોટો આરોપ છે.”
લોનાવાલા ફરવા જઈ રહ્યા છો? તો હવે નહીં જઈ શકો ; રાજ્ય સરકારે લાદ્યા આ પ્રતિબંધ
તેમણે ઉમેર્યું હતું કે એપ્રિલ ૨૦૧૩માં જાહેર થયેલી DOPT માર્ગદર્શિકા સ્પષ્ટ રીતે જણાવે છે કે "૧.૪.૧. તમામ પબ્લિક ઑથૉરીટીએ RTIઅરજીઓ અને તેના પ્રતિસાદો, મુખ્ય શબ્દોના આધારે શોધ સુવિધાવાળી સાથે ઑથૉરિટી દ્વારા સંચાલિત વેબસાઇટ્સ પર સક્રિયપણે જાહેર કરશે." જો આ માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવે તો ત્યાં કોઈપણ પ્રકારની બ્લૅકમેઇલ થવાની સંભાવના હોઈ શકે નહીં, કારણ કે માહિતી જાહેરમાં ઉપલબ્ધ હશે.
ઉલ્લેખનીય છે કે આ બંને પત્રો ભૂતપૂર્વ સેન્ટ્રલ ઇન્ફર્મેશન કમિશનર શૈલેષ ગાંધીએ પોતાના સોશિયલ મીડિયા હૅન્ડલ પર પોસ્ટ કર્યા હતા.