ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 3 જૂન 2021
બુધવાર,
કેન્દ્ર સરકાર દ્વારા પામતેલની આયાત પર રહેલા શુલ્કમાં 10 ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. એથી આગામી દિવસોમાં ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો થવાનો છે. પહેલાંથી મોંઘવારીમાં પિસાઈ રહેલા સામાન્ય નાગરિકોને તેલના ભાવમાં થનારો ઘટાડો રાહતરૂપ બનશે.
આપણા દેશમાં બે પ્રકારના તેલની આયાત થાય છે. એમા કાચું તેલ જે અહીં દેશમાં લોકલ લેવલ પર રિફાઇન્ડર એને રિફાઇન્ડ કરે છે. બીજું તેલ ડાયરેક્ટ વિદેશથી રિફાઇન્ડ થઈને તૈયાર ખાવાલાયક આવે. એથી સરકારના આયાત શુલ્કમાં ઘટાડો કરવાના નિર્ણયથી તેલના ભાવમાં ઘટાડો થશે. અહીં ઉલ્લેખનીય છે કે દેશમાં સૌથી વધુ વેચાતું એટલે કે ખવાતું તેલ પામ ઑઇલ છે. આપણા દેશમાં 70 ટકા પામ ઑઇલ ઇમ્પૉર્ટ થાય છે.
અખિલ ભારતીય ખાદ્ય તેલ વ્યાપારી મહાસંઘના અધ્યક્ષ શંકર ઠક્કરે જણાવ્યું હતું કે આજે સરકાર દ્વારા કાચા પામોલિન પર આયાત શુલ્કમાં 10 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવી છે. છેલ્લા એક વર્ષમાં ખાદ્ય તેલના ભાવમાં થયેલા ઘરખમ વધારાને પગલે સામાન્ય નાગરિકો પરેશાન થઈ ગયા હતા. એમાં સરકારના આ પગલાથી તેલના ભાવમાં ઘટાડો થવાનો છે.
જોકે આ વખતે પહેલી વખત સરકાર દ્વારા આયાત શુલ્કમાં ઘટાડો કરવાની 30 સપ્ટેમ્બર સુધીની મુદત રાખી છે. અત્યાર સુધી સરકાર કોઈ દિવસ આવી મુદત રાખતી નહોતી. એથી આ મુદત પૂરી થતાં જ ઇમ્પૉર્ટર દ્વારા એના પોતાના ફાયદા માટે ઉપયોગ કરવાનું ચાલુ કરવાનો ભય છે. એથી સરકારે આ પ્રકારની કોઈ મુદત નક્કી કરવી જોઈતી નહોતી એવું શંકર ઠક્કરે કહ્યું હતું.
કોરોનાકાળમાં પણ આઇઆરસીટીસીએ રેલ નીર પાણી વેચીને અધધ આટલા કરોડ રૂપિયાની કમાણી કરી ; જાણો વિગતે
અખિલ ભારતીય ખાદ્ય તેલ વ્યાપારી મહાસંઘના મહામંત્રી તરુણ જૈને જણાવ્યું હતું કે સરકારે તેલ પર લગાવેલો GST પણ હટાવાની આવશ્યકતા છે. એથી તેલના ભાવમાં તુરંત અસર જોવા મળત. આયાત શુલ્કમાં ઘટાડો પણ સારી બાબત છે, પરંતુ અનેક વખત એક્સપૉર્ટ કરનારા દેશો દ્વારા ભારતમાં આયાત શુલ્કમાં ઘટાડો કરવાની સાથે જ એક્સપૉર્ટ ફી વધારી નાખતા હોય છે. એથી ઘરગથ્થુ ભાવમાં કોઈ ફરક પડતો નથી. આને કારણે દેશની તિજોરી પર જોકે ફટકો પડે છે.