સામાન્ય નાગરિકો નહીં, પણ ડિફોલ્ટરો પાસેથી વસૂલ કરો પ્રૉપર્ટી ટૅક્સ, વેપારીઓની માગણી ; જાણો વધુ વિગત

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 17 જૂન 2021

ગુરુવાર

મુંબઈ મહાનગરપાલિકાએ રેડીરેક્ટરના દરના આધારે પ્રૉપર્ટી ટૅક્સ વધારવાનો નિર્ણય લીધો છે. કોરોના મહામારીએ પહેલાંથી મુંબઈગરાને આર્થિક રીતે બરબાદ કરી મૂક્યા છે. એથી તેમના પર વધુ આર્થિક બોજો નહીં નાખો. એને સ્થાને વર્ષોથી ડિફોલ્ટરોએ નહીં ચૂકવેલો પ્રૉપર્ટી ટૅક્સ વસૂલ કરવા પર ધ્યાન આપો એવી માગણી ફેડરેશન ઑફ રીટેલ ટ્રેડર્સ વેલ્ફેર ઍસોસિયેશન (FRTWA) ના અધ્યક્ષ વિરેન શાહે કરી છે. આ માગણી સાથેનો પત્ર તેમણે મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ઇકબાલસિંહ ચહલને લખ્યો છે.

મુંબઈ મનપાએ રેડીરેકનરના દરના આધારે લગભગ 14 ટકા ટૅક્સ વધારવાની છે. હાલ કોરોના મહામારીને પગલે મંદી ચાલી રહી છે. બજારમાં લોકોના હાથમાં રોકડ નથી. પ્રૉપર્ટીના ભાવ ઘટી ગયા છે ત્યારે રેડીરેકનરના ભાવમાં પણ ઘટાડો કરવો જોઈએ એવી માગણી પણ વિરેન શાહે કમિશનરને પત્રમાં કરી છે.

મુંબઈ શહેરમાં ફરી વધી રહ્યું છે કોરોનાનું સંક્રમણ, છેલ્લા 24 કલાકમાં આટલા નવા કેસ આવ્યા સામે ; જાણો આજના નવા આંકડા

વિરેન શાહે જણાવ્યું હતું કે મુંબઈમાં 4.2 લાખ પ્રૉપર્ટી ઓનર છે. ચાલુ આર્થિક વર્ષમાં પાલિકાએ 25 ફેબ્રુઆરી સુધીમાં 2002 કરોડ રૂપિયાનો ટૅક્સ વસૂલ્યો હતો. ડિસેમ્બર 2020 સુધી પાલિકા ફકત 738 કરોડ રૂપિયા પ્રૉપર્ટી ટૅક્સના વસૂલ કરી શકી હતી. બાદમાં જોકે પાલિકા માર્ચ 2021 સુધીમાં લગભગ 5,000 કરોડ રૂપિયા  વસૂલ કરવામાં સફળ રહી હતી. 2018-19ની સાલમાં 5,206 કરોડ રૂપિયાના અપેક્ષિત ટૅક્સ સામે 5,080 કરોડ રૂપિયા વસૂલ કર્યા હતા. 2019-20માં 5,600 કરોડની સામે 4,100 કરોડ રૂપિયા વસૂલ કરી શકી હતી. પાલિકા અપેક્ષિત કરતાં વધુ પ્રૉપર્ટી ટૅક્સ વસૂલ કરી રહી છે ત્યારે ટૅક્સ વધારીને સામાન્ય નાગરિક પર બોજો નાખવાને બદલે વર્ષોથી  જે લોકોએ ટૅક્સ ચૂકવ્યો નથી તેમની પાસેથી પાલિકાએ બાકી રહેલો વેરો વસૂલ કરવો જોઈએ. આ રકમ લગભગ 19,000 કરોડ રૂપિયાની આસપાસ છે. એમાં લગભગ 100 જેટલા કૉમર્શિયલ ડિફોલ્ટરો પણ છે.

સામાન્ય નાગરિકો કરતાં ડિફોલ્ટરો પાસેથી આઉટસ્ટૅન્ડિંગ રકમ વસૂલ કરવાની માગણી વિરેન શાહે કરી છે. તેઓએ વધુમાં કહ્યું હતું કે પાલિકાએ ટૅક્સ વધારવાને બદલે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને દુકાનો, હૉટેલ, રેસ્ટોરાં વગેરેને ટૅક્સમાં રાહત આપવી જોઈએ. કારણ કે  કોરોનાને પગલે ચાલુ આર્થિક વર્ષમાં મોટા ભાગનો સમય એ બંધ જ રહી હતી. એથી ટૅક્સ વધારવાને બદલે તમામ ડિફોલ્ટરો પાસેથી બાકી રહેલી રકમ વસૂલ કરવા ઉપર પણ ધ્યાન આપવું જોઈએ.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More