ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
02 નવેમ્બર 2020
વાર તહેવારની મોસમ આવી પહોંચી છે. જેને લઈને સરકાર પણ હવે છૂટછાટો આપી રહી છે. લગભગ 8 મહિનાથી લોકો ઘરોમાં બંધ છે. કોરોના મહામારી વચ્ચે ધીરેધીરે જનજીવન થાળે પડી રહ્યું છે. અર્થતંત્ર ધીરેધીરે પાટા પર આવી રહ્યું છે. તહેવારોની ઉજવણી માટે લોકો માર્કેટમાં ખરીદી કરતા પણ નજરે પડી રહ્યાં છે. આવામાં દિવાળી બાદ આવતી લગ્નસરાની મોસમ માટે મોટી છૂટછાટ આપવામાં આવી રહી છે. લગ્ન સીઝનને ધ્યાનમાં રાખી ગુજરાત સરકારે મોટી જાહેરાત કરી છે. રાજ્યમાં હવે લગ્ન સમારંભમાં 100 ને બદલે 200 લોકોની છૂટ આપવામાં આવી છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ઉપરોક્ત મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે કે, રાજ્યમાં હવે લગ્ન સમારંભમાં 100 ને બદલે કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ 200 લોકોની છૂટ અપાશે. આ છૂટછાટમાં પણ માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના નિયમોનું પાલન કરવાનું રહેશે. આ છૂટછાટનો અમલ આવતીકાલે 3 નવેમ્બરથી રાજ્યભરમાં થશે. આ સાથે જ બંધ હોલમાં આવા સમારંભના કિસ્સામાં હોલની કેપેસિટીના 50 ટકા સુધી જ લઓકોને પ્રવેશ આપવાની છૂટ અપાશે તેવુ આ માર્ગદર્શિકા માં કહેવાયું છે.