-D.K.
યુધ્ધ અને અનિયમિતતાનાં કટોકટીનાં દિવસોમાં ભારતના(India) અર્થતંત્ર ઉપર સૌથી વધારે બોજ બે પ્રકારના તેલ(Oil) નાખે છે. એક છે ક્રુડતેલ અને બીજું છે ખાદ્યતેલ..! વધતા વાહનો અને ઉર્જાના વપરાશની સાથે ક્રુડતેલની માંગ વધી છે, સામાપક્ષે દેશમાં ક્રુડતેલનું ઉત્પાદન જ બહુ ઓછું છે. જે કુદરતી સ્તોત્ર હોવાથી તેમાં વધારો કરી શકાય તેમ નથી. પરંતુ ખાદ્યતેલની(Edible Oil) બાબતમાં ગણિત કાંઇક અલગ છે. એક સમય હતો જ્યારે ભારતમાં પ્રાંત પ્રમાણે ખાદ્યતેલિબીયાનાં ઉત્પાદનનું વર્ચસ્વ હતું અને જે તે પ્રાંતમાં તે જ તેલિબીયાનું તેલ વધારે પ્રમાણમાં ખવાતું હતું. વસ્તી પ્રમાણે તેનો ઉપયોગ હતો તેથી વિદેશોમાંથી અયાતની સમસ્યા નહોતી. ઉદાહરણ જોઇએ તો ગુજરાતમાં એક સમયે તલ અને મગફળીનું જ તેલ ખવાતુ હતું. જ્યારે રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, બિહાર જેવા રાજ્યોમાં સરસવનું તેલ ખવાતું હતું. દક્ષિણ ભારતમાં(India) મોટાપાયે કોપરેલ તથા મધ્ય ભારતમાં સોયાબીનનું તેલ ખવાતું હતું. આજે પણ ઉત્પાદન અને વપરાશની બાબતમાં કાંઇક અંશે આવું જ ચિત્ર જોવા મળે છે.
પરંતુ વધતી વસ્તી અને વધતી મોંઘવારીના કારણે લોકો અન્ય વિકલ્પ શોધતા થયા. એમાં વિદેશોથી પામતેલનો પગપેસારો થયો. આજે દેશના કુલ ખાદ્યતેલોના વપરાશમાં પામતેલનો હિસ્સો ૪૦ ટકા જેટલો થાય છે. આંકડા જોઇએ તો ભારતની પામતેલની કુલ વાર્ષિક ખપતનો ૯૫ ટકા હિસ્સો આયાતી હોય છે. જ્યારે સોયાબીનનો ૭૬ ટકા તથા સુર્યમુખીનો ૯૭ ટકા હિસ્સો આયાતી હોય છે. સામાપક્ષે કપાસિયા તેલ, મગફળી, રાઇસબ્રાન તલ અને સરસવની બાબતમાં આપણે સંપૂર્ણ આત્મનિર્ભર છીએ. મતલબ કે આપણા પરંપરાગત તેલો આજે પણ ભારતની ઇકોનોમીને ટકાવી રાખે છે. જ્યારે આયાતી સનફ્લાવર જેને કોલસ્ટેરોલ અને હાર્ટ માટે જીવનદાનરૂપ પ્રોજેક્ટ કરવામાં આવ્યું છે તેનો આયાતી હિસ્સો તથા જેને સસ્તું અને ફરસાણવાળાઓ માટે સરળ ગણાવવામાં આવ્યું છે એવા પામતેલનો હિસ્સો સૌથી વધારે છે. શું આ બાબતે ધ્યાનથી વિચારવાની જરૂર નહોતી.?
બીજા વિશ્વયુધ્ધ પછી ભારત(India) ખાદ્યતેલોની બાબતમાં મહદઅંશે આત્મનિર્ભર હતું. આઝાદીના સમયે એટલે કે વર્ષ ૧૯૫૫ માં ભારતમાં પામતેલનો ઉપયોગ માત્ર સાબુ અને ઔદ્યોગિક વપરાશ માટે જ થતો હતો. એટલે જો એ સમયે ધ્યાન રખાયું હોત તો આજે સ્થિતી આટલી નાજુક ન હોત. આજે પણ ભારત સીંગદાણા, તલ ને ચોખાની નિકાસ કરે જ છે. તો પછી પામતેલનો વપરાશ વધ્યો ત્યારે તેના ઉપર નિયંત્રણો લગાવ્યા હોત તો પણ કદાચ આટલી નાજુક સ્થિતી ન હોત.
હવે પરિસ્થિતી એટલી હદે વિકટ થઇ છે કે તુરત જ ઇલાજ શક્ય નથી. હાલમાં ભારતની ખાદ્યતેલોની(Oil) કુલ વાર્ષિક ખપત ૨૬૦ લાખ ટનની છે. જેનો ૬૦ ટકા જેટલો હિસ્સો આયાતી હોય છે. એટલે જ મોદીજીને દેશને ખાદ્યતેલોનો વપરાશ ૧૦ ટકા ઘટાડવા અપીલ કરવી પડી છે. લોકો આ વાતને કદાચ હળવાશથી લેશૈ પરંતુ સિંગાપોરના વિશ્વની ટોચની પામતેલ ઉત્પાદક કંપની વિલ્મર ઇન્ટરનેશનલના ચેરમેન ક્વોક ખૂન હોંગ પણ ભારતને ખાદ્યતેલની બાબતમાં ઓછામાં ઓછું ૬૦ ટકા સુધી આત્મનિર્ભર થવાની સલાહ આપે છે, શું આ સલાહને પણ હળવાશથી લઇશું? ખૂન હોંગનો તર્ક છે કે ભારત જેવા મોટી વસ્તીવાળા દેશમાં જ્યારે જે કોમોડિટીનો આટલા મોટા પ્રમાણમાં ઉપયોગ થતો હોય તે કોમોડિટીમાં ઓછામાં ઓછું ૫૦ થી ૬૦ ટકા જેટલું આત્મનિર્ભર થવું જરૂરી છે. હોંગનો આ તર્ક સાવ સાચો અને અર્થશાસ્ત્રીઓની ચિંતાને વાચા આપનારો છે. ૧૭ મી અને ૧૮ મી સદીમાં ભારત પોતાની પાયાની જરૂરિયાતો પુરતું આત્મનિર્ભર હતું. વળી અમુક આવશ્યક ચીજોની ઉચ્ચ ગુણવત્તાના તેજાના, મસાલાની નિકાસના કારણે અર્થતંત્ર મજબુત હતું તેથી જ ભારત “સોને કી ચિડીયા‘ કહેવાતુ હતું.
હવે સરકારે ખાદ્યતેલિબીયાનાં ઉત્પાદનમાં વધારો કરવા માટે મગફળી, કપાસ, તથા સોયાબીન જેવા તેલિબીયાનાં ટેકાના ભાવમાં વધારો કરીને ખેડૂતોને લાલચ આપી છે. પરંતુ સિઝન આવે ત્યારે ભાવ ટેકાના ભાવથી પણ નીચા ચાલ્યા જાય છે અને સરકારી ખરીદી ધીમી પડી જાય છે. એટલે જ સરકારે આ સમસ્યાના હલ માટે લાંબાગાળાની નિતી ઘડવાની આવશ્યકતા છે.
