Site icon News Continuous Bureau | Mumbai

Rice Industry: ચોખાની ઘટતી નિકાસથી સરકાર ચિંતિત: નવું માળખું સ્થાપવાના ચક્રો ગતિમાન

Rice Industry Government concerned over declining rice exports Steps are underway to establish a new structure

Rice Industry Government concerned over declining rice exports Steps are underway to establish a new structure

News Continuous Bureau | Mumbai

-D.K.
વર્ષ- ૨૦૦૨ માં જ્યારે અટલ બિહારીજી વડાપ્રધાન હતા ત્યારે થયેલા સર્વેક્ષણમાં જણાવાયું હતું કે ઉપભોક્તા જે કૄષિપેદાશનાં ૧૦૦ રૂપિયા ચુકવે છે તેમાંથી માંડ ૩૦ થી ૩૩ રૂપિયા ખેડૂતના ખિસ્સામાં જાય છે. બાકીના નાણા વચેટિયાઓ અને ટ્રાન્સપોર્ટ અને સ્ટોરેજમાં વપરાઇ જાય છે. ૧૨ વર્ષ બાદ મોદીજી સરકાર આવી ને ૨૦૧૮-૧૯ માં ફરી સરકારે ખેડૂતોને તેમના ઉત્પાદન ખર્ચના ૧.૫૦ ગણા ભાવ મળવા જોઇએ તેવું લક્ષ્યાંક નક્કી કર્યુ. પરંતુ આ લક્ષ્યાંક હકિકતથી ઘણું દૂર છે. દેશમાં ઘઉં અને ચોખા બે એવા અનાજ છે જેને સૌથી વધારે વપરાશ છે, સૌથી વધારે ઉત્પાદન છે અને વૈશ્વિક બજારમાં ભારતનું મજબુત સ્થાન છે છતાં પણ ખેડૂતોને સરકારનાં સપના પ્રમાણેના ભાવ મળતા નથી. બાસમતી ચોખાની જ વાત કરીએ તો ભારતના બાસમતીની સોડમ વિશ્વભરમાં ફેલાયેલી છે. પરંતુ તેનો પાક લેતો ખેડૂત હજુ પોષણક્ષમ ભાવ મેળવવાના સપના જ જુએ છે.

Join Our WhatsApp Channel

છેલ્લી થોડી સિઝનમાં બાસમતીના ભાવ ક્વિન્ટલ દિઠ ૨૫૦૦ રૂપિયાથી ૩૭૦૦ રૂપિયાની વચ્ચે રહ્યા છે. જ્યારે સૌ માને છે કે ભાવ ૪૦૦૦ રુપિયાથી વધારે મળવા જોઇએ. ખેડૂતોનો ઉત્પાદન ખર્ચ વધી રહ્યો છે, એમાં વળી હવે બળતણનાં ભાવ વધતા તેમના પરિવહન ખર્ચમાં વધારો થશે. એક દાયકામાં ખાતરના ભાવમાં બે થી ત્રણ ગણો વધારો થયો છે. તેમની પાસે જી.આઇ ટૅગ અને પેટન્ટ જેવા ઘણા અધિકારો અને ઓળખ છે પણ ભાવ મળતા નથી. આંકડા બોલે છે કે એપ્રિલ-૨૦૨૬ માં ભારતની ચોખાની નિકાસ એપ્રિલ-૨૦૨૫ માં થયેલી નિકાસથી છ ટકા જેટલી ઘટીને ૧.૦૧ અબજ ડોલરની થઇ છે. જ્યારે નાણાકિય વર્ષ ૨૦૨-૫-૨૬ ની ભારતની ચોખાની નિકાસ ૭.૫ ટકા જેટલી ઘટીને ૧૧.૫૩ બજ ડોલર રહી છે. માર્ચ-૨૦૨૬ માં જ નિકાસમાં ૧૫.૩૬ ટકા નો ઘટાડો જોવા મળ્યો હતો. જેના માટે અખાતી દેશોની યુધ્ધની સ્થિતીથી બાસમતીની નિકાસમાં થયેલા ઘટાડાને માનવામાં આવે છે. રાતા સમુદ્ર અને હોર્મુઝની ખાડીના રૂટ બંધ હોવાથી શીપિંગને ભારે ફટકો પડ્યો છે. ભારતની બાસમતીની કુલ નિકાસનો ૭૦ ટકા જેટલો હિસ્સો ઇરાન, સાઉદી તથા યુએઇનો હોય છે.

૨૦૨૪-૨૫માં ભારતે ૨૦૧ લાખ ટન ચોખાની નિકાસ કરીને ૧૨.૫ અબજ ડોલરનું વિદેશી હુંડિયામણ મેળવ્યું હતું. એ વર્ષે ભારતે ૧૭૨ જેટલા દેશોમાં ચોખાની નિકાસ કરી હતી. આજે પણ ભારત વિશ્વના સૌથી મોટા ચોખા ઉત્પાદકો અને નિકાસકારોમાંનો એક છે. દેશમાં ૨૦૨૪-૨૫માં લગભગ ૪૭૦ લાખ હેક્ટર જમીનમાં વાવેતર કરીને આશરે ૧૫ કરોડ ટન ચોખાનું ઉત્પાદન કર્યું હતું, જે વૈશ્વિક ઉત્પાદનના લગભગ ૨૮ ટકા જેટલું હતું.

વૈશ્વિક બજારમાં ભારતના નોન-બાસમતી ચોખાના ભાવ એકદમ સ્પર્ધાત્મક હોવાછતાં તેની નિકાસ વધી શકતી નથી. બાકી હોય તો થાયલેન્ડ અને વિયેટનામ જેવા દેશો ભારત સાથે ગળાકાપ સ્પર્ધા કરવા તૈયાર છે. થાઇલેન્ડે આ વર્ષે ૭૦ લાખ ટન ચોખાની નિકાસ કરવાનું લક્ષ્યાંક રાખ્યું છે. ભારતના ખેડૂતોને હાલમાં બાસમતીનાં ભાવ વધારે મળતા નથી અને નોન-બાસમતી તથા બાસમતી વચ્ચેના ઉત્પાદન ખર્ચનો તફાવત ઘટતો જાય છે. બીજીતરફ ખેડૂતોને નિકાસ ક્વોલિટીના બાસમતી ઉગાડવા માટે આકરી શરતોમાંથી પસાર થવું પડે છે. તેથી ખેડૂતોને બાસમતીનો પાક લેવો કે નોન-બાસમતીનો પાક લેવો તે સમજાતું નથી. નિષ્ણાંતો કહે છે કે જ્યાં સુધી અખાતી યુધ્ધની અસર રહેશે ત્યાં સુધી ભારતની ચોખાની નિકાસને સામા પવને વહાણ હાંકવાનું રહેશે.

વર્ષ ૨૦૨૫-૨૬ ની સિઝનમાં ભારતમાં ૧૫૦ થી ૧૬૦ લાખ ટન ડાંગર અને તેમાંથી ૮૦ થી ૮૫ લાખ ટન ચોખા થવાનું અનુમાન મુકવામાં આવ્યું હતું. આટલું મોટું ઉત્પાદન છતાં નિકાસને અસર થઇ રહી હોવાથી હવે ચોખાની, ખાસ કરીને બાસમતીની નિકાસ વધારવા માટે અલગ સ્વતંત્ર બોર્ડ રચવાની માગણી ઉઠી છે.

Twisha Sharma Death Case। ટ્વિશા શર્મા કેસમાં મીડિયા ટ્રાયલ પર કોર્ટે વ્યક્ત કરી નારાજગી, પત્રકારોને કરી આ ખાસ અપીલ
Monsoon Update 2026। કેરળમાં ૨૮ મેના રોજ બેસશે ચોમાસું, મહારાષ્ટ્રમાં વરસાદની એન્ટ્રીને લઈને હવામાન વિભાગનો મોટો ખુલાસો
NEET UG 2026 Paper Leak। પેપર લીક કાંડના તાર સોશિયલ મીડિયા સાથે જોડાયા, કરોડો રૂપિયાના નેટવર્કનો પોલીસે કર્યો પર્દાફાશ
Weather Alert। મહારાષ્ટ્રનું બ્રહ્મપુરી દેશમાં સૌથી ગરમ નોધાયું, નવતપાના આગામી ૭ દિવસ માટે હવામાન વિભાગની મોટી આગાહી
Exit mobile version