News Continuous Bureau | Mumbai
D.K.
Guar Seed Market India: સ્વાદ ઉપર સંયમ રાખો તો સ્વાસ્થ્ય સારૂં રહે, શબ્દો ઉપર સંયમ રાખો તો સંબંધ સારા રહે અને સોદા ઉપર સંયમ રાખો તો વેપાર સારા રહે. ગુવાર ગમ અને ગુવાર સીડનાં વેપાર હાલમાં તેજીની રાહ દેખાડે છે. પરંતુ વેપારીઓએ તેમના સોદામાં સંયમ રાખવાની જરૂર છે. બજારની રૂખ પારખ્યા વિના એકતરફી તેજી કરનારા વેપારીને સમસ્યા આવી શકે છે. ગ્રાફ જોઇએ તો જણાય છે કે જ્યારથી અખાતી યુધ્ધ શરૂ થયું ત્યારથી ગુવારગમ(Guar Gum) અને ગુવાર સીડનાં ભાવમાં સમયાંતરે તેજીના ઉભરા જોવા મળે છે. એનસીડેક્સ ખાતે ચોથી માર્ચ ૨૦૨૬ ના રોજ ગુવાર ગમના ક્વિન્ટલ દિઠ ભાવ ૯૩૬૦ રૂપિયા હતા અને ગુવાર સીડના ક્વિન્ટલ દિઠ ભાવ ૫૧૦૦ રૂપિયા હતા. ૨૭ મી માર્ચે ગુવાર ગમના ભાવ ૧૦૪૨૦ રૂપિયા અને ગુવાર સીડનાં ભાવ ૫૫૭૦ રૂપિયાની સપાટી દેખાડતા હતા. મતલબ કે ભાવમાં એક મહિનાથી ઓછાગાળામાં નવ થી ૧૦ટકા જેટલો ઉછાળો જોવા મળ્યો છે.
બજારનાં વર્તુળો જણાવે છે કે અખાતી યુધ્ધના કારણે ક્રુડતેલના ભાવમાં આવેલા ઉછાળાની અસર ગુવાર ગમ ઉપર પડી છે. આ ઉપરાંત પુરવઠાની ખેંચ ઉભી થવાની ગણતરી સાથે મોટા સ્ટોકિસ્ટોની પણ થોડી ખરીદી નીકળી છે. બજારના અમુક રોકાણકારો એવા હોય છે જે ભાવની થોડી વધઘટની ચિતા કર્યા વિના લાંબા સમય માટે સ્ટોક પકડી રાખવા શક્તિમાન હોય છે. ક્રુડતેલના ભાવ વધે તો એનર્જી સેક્ટરમાં ઓઇલ કંપનીઓને ગુવાર ગમની જરૂરિયાત વધારે પડે તેથી તેની માગ વધે એવી ધારણા સાથે ભાવ વધ્યા હોવાનું નિષ્ણાંતો જણાવે છે. બાકી હોય તો આગામી ચોમાસામાં અલ-નીનોની અસર જોવા મળશે એવી આગાહી થઇ રહી છે. હવે જો આ આગાહી સાચી પડે તો મોટા સ્ટોકિસ્ટોને લાભ થશે.
ગુવાર ગમ અને સીડની સિઝન શરૂ થઇ ત્યારે ઉત્પાદન ૧૦ લાખ ટન રહેવાની ધારણા હતી. ઉત્પાદન ભલે ગત સિઝન કરતા થોડું ઓછું થાય પણ જુનો સ્ટોક પાંચ લાખ ટન જેટલો ઉંચો હોવાની ગણતરી સાથે ભાવ ટકેલા રહેતા હતા. કુલ ૧૫ લાખ ટનનો પુરવઠો એક સિઝનના વેપાર માટે પુરતો ગણી શકાય. માર્કેટમાં જ્યારે સ્ટોક પુરતો હોય ત્યારે તેજીને લાંબો ટેકો મળતો નથી. તેથી વેપારીઓઐ હેજ કરીને સોદા કરવાની જરૂર પડે છે. આજરીતે ખેડૂતો તક મળે ત્યારે થોડો માલ વેચવાની રણનીતી અપનાવવાથી લાભમાં રહેશે.
ગુવાર ગમ તથા અન્ય ઉત્પાદનોની નિકાસનાં આંકડા પણ સારા આવ્યા છે. ભારતે(India) ડિસેમ્બર-૨૦૨૫ મા ૫૦૮૮૩ ટન ગુવાર ગમની અને ૧૭૮૦૮ ટન ગુવાર ખોળની નિકાસ કરી હતી. જ્યારે જાન્યુઆરી-૨૦૨૬ માં ૧૯૫૯૮ ટન ગુવાર ગમની અને ૮૭૧૫ ટન ગુવાર ખોળની નિકાસ કરી હતી. આવા પ્રોત્સાહક આંકડા ફેબ્રુઆરી-૨૦૨૬ અને માર્ચ-૨૦૨૬ ના રહેવાની આશા છે.
ખેડૂતોએ ગુવાર ઓપ્શનના આંકડા જોતા રહેવાની જરૂર છે. હાલમાં ગુવાર સીડનાં ઓપ્શનમાં ૫૦ રૂપિયા પ્રિમિયમ ચુકવવાથી ૫૬૦૦ રૂપિયાના ભાવે પુટ ઓપ્શન ખરીદવાની ખેડૂતોને તક છે. જે તેમનો ૫૬૦૦ રૂપિયાનો ન્યુનતમ નફો નક્કી કરે છે. હાલમાં ગુવાર સીડનાં ઓપ્શન્સમાં ૧૩૦૦૦ ટનનાં ઓપન ઇન્ટરેસ્ટ અને સરેરાશ દૈનિક ૧૦૦ કરોડ રૂપિયાનાં કારોબાર થાય છે. જ્યારે વાયદા સાથે ઓપ્શન્સની ડીલીવરી નક્કી થતી હોય ત્યારે ખેડૂતો વધારે સુરક્ષિત રહે છે. હાલમાં ગુવાર ગમના વાયદામાં સરેરાશ દૈનિક ૨૫૦ કરોડના વોલ્યુમ અને ૬૫૦૦૦ ટનના ઓપન ઇન્ટરેસ્ટ છે. આજ રીતે ગુવાર સીડમાં(Seed) ૧૫૦ કરોડ રુપિયાના વોલ્યુમ અને ૬૧૦૦૦ ટનના ઓપન ઇન્ટરેસ્ટ હોવાથી વાયદા મજબુત સ્થીતીમાં છે. આજની પરિસ્થિતીમાં ફંડામેન્ટલ્સ કરતા ટ્રમ્પના નિવેદનો બજાર ઉપર વધારે અસર કરતા હોય છે. તેથી નાના વેપારીઓએ મોટા જોખમ ખેડવાને બદલે સાવચેત વેપાર કરવાની જરૂર છે.