News Continuous Bureau | Mumbai
મોંઘવારી ચક્કીમાં પીસાય રહેલા સામાન્ય નાગરિકોને આગામી દિવસમાં ખિસ્સાને વધુ ફટકો પડવાનો છે.
દહીં, દૂધ, લસ્સી,અનાજ, કઠોળ, ઘઉં, ચોખા સહિતની જીવન આવશ્યક વસ્તુઓને એક્ઝમ્પ્શન કેટેગરીમાંથી બહાર કાઢીને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) પાત્ર બનાવવાનો GST કાઉન્સિલ ના નિર્ણય લીધો છે. તેની સામે હવે વેપારીઓમાં રોષ ભભૂક્યો છે.
વેપારી આલમના કહેવા મુજબ વેપારીઓ સરકારના આ નિર્ણયનો આકરો વિરોધ કરશે. દરેક રાજ્યના નાણાં મંત્રીઓને દરેક રાજ્યના વેપારી સંગઠનો આવેદનપત્ર આપીને સરકારના સૂચિત નિર્ણયનો વિરોધ કરશે. ગત પખવાડિયે મળેલી GST કાઉન્સિલની બેઠકમાં દરેક રાજ્યોએ સર્વસમંતિથી આ નિર્ણય લીધો હોવાની જાહેરાત કરવામાં આવી હતી.
GST કાઉન્સિલના આ નિર્ણયની વિપરીત અસર ગૃહિણીઓના બજેટને પડવાની છે. નાના શહેરો અને ગ્રામીણ વિસ્તારના વેપારીઓને તેનો અમલ કરવો મુશ્કેલ પડશે એવું માનવામાં આવે છે. એક અંદાજ મુજબ એક્ઝમ્શન કેટેગરીમાંથી બહાર કાઢવામાં આવેલી ચીજવસ્તુઓ પર માત્ર 5 ટકાના દરે GST લગાડવામાં આવે તો પણ વર્ષે ૭૫,૦૦૦ કરોડથી એક લાખ કરોડનો બોજો આમજનતાને માથે આવી જશે. આ બધી જ આઈટેમ્સના પ્રીપેક્ડ – અગાઉથી પેકિંગ કરી રાખેલા પેકેટ્સ પર GST વસૂલવાનો સરકાર વિચાર કરી રહી છે.
આ સમાચાર પણ વાંચો : IT સર્વિસ પ્રોવાઈડર કંપની TCSએ રળ્યો ચોખ્ખો નફો- કંપનીનો ત્રિમાસિક નફો 5 ટકા વધ્યો-શેરદીઠ આટલા રૂપિયા ડિવિડન્ડ આપવાની કરી જાહેરાત
અગાઉથી પેક-પ્રીપેકેજ (પ્રી લેબલ્ડ) કરી રાખેલી વસ્તુ બ્રાન્ડેડ હોય કે અનબ્રાન્ડેડ હોય તમામ પર GST લાગુ પડશે. વેપારી સંસ્થાના કહેવામાં દેશમાં માત્ર ૧૫ ટકા વસતી જ મોટી બ્રાન્ડેડ અને પેક કરેલી વસ્તુઓ ખરીદે છે. તેની સામે ૮૫ ટકા લોકો અનબ્રાન્ડેડ વસ્તુઓનો ઉપયોગ કરે છે. અનબ્રાન્ડેડ વસ્તુઓને GSTના દાયરામાં લાવવાથી ગરીબ પ્રજા પર GSTનો બોજો આવી જશે. GST કાઉન્સિલે આ મુદ્દે સક્રિય વિચારણા કરીને પીછેહઠ કરવી જોઈએ. આ મુદ્દે ચર્ચા કરી સરકાર સમક્ષ રજૂઆત કરવા માટેનો વ્યૂહ ઘડી કાઢવા રાજ્યમાં ઠેર ઠેર વેપારી સંગઠનો બેઠકનું આયોજન કરી રહ્યા છે.