ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 23 ઑગસ્ટ, 2021
ગુરુવાર
સોમવારના દેશભરના ઝવેરીઓ દ્વારા સાંકેતિક હડતાળ પાડવામાં આવી હતી. જોકે જુદાં-જુદાં ઍસોસિયેશન વચ્ચે રહેલા મતભેદોને પગલે અમુક ઍસોસિયેશન સાથે જોડાયેલા ઝવેરીઓએ દુકાન બંધ રાખી હતી, તો અમુક દુકાનો ચાલુ હતી. એટલે કે સોમવારની હડતાળને ઝવેરીઓનો મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો.
કેન્દ્ર સરકારે સોનાના દાગીના પર હૉલમાર્કિંગ યુનિક આઇડેન્ટિફિકેશન નંબરને ફરજિયાત કરી નાખ્યો છે. એના વિરોધમાં સોમવારના 23 ઑગસ્ટના દેશભરમાં ઝવેરીઓએ સાંકેતિક હડતાળની જાહેરાત કરી હતી. જોકે આ હડતાળને લઈને દેશનાં જુદાં-જુદાં ઍસોસિયેશનમાં જ અંદરોઅંદર ફાટફૂટ થઈ હતી. ઑલ ઇન્ડિયા જ્વેલર્સ ઍન્ડ ગોલ્ડસ્મિથ ફેડરેશન સાથે જોડાયેલાં લગભગ 120 જેટલાં ઍસોસિયેશનના સભ્યો આ હડતાળમાં જોડાયા નહોતા.
દેશમાં બ્યુરો ઑફ સ્ટાન્ડર્ડ દ્વારા હૉલમાર્કિંગની પ્રક્રિયા અને હૉલમાર્કિંગ યુનિક આઇડેન્ટિફિકેશન નંબર ફરજિયાત કરવામાં આવ્યું છે. એના વિરોધમાં નૅશનલ ટાસ્ક ફોર્સના આદેશ પર દેશભરના ઝવેરીઓએ સોમવાર, 23 ઑગસ્ટ, 2021ના એક દિવસીય લાક્ષણિક હડતાળ કરવાની જાહેરાત કરી હતી. દેશભરના જેમ્સ ઍન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રી અને ગોલ્ડ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા 350 ઍસોસિયેશન તથા ચાર ઝોનના ફેડરેશનનું નૅશનલ ટાસ્ક ફોર્સ બન્યું છે. દેશભરમાં હૉલમાર્કિંગની પ્રક્રિયા સરળતાથી પાર પડે અને ઝવેરીઓને કોઈ જાતની અડચણો આવે નહીં એ માટે નૅશનલ ટાસ્ક ફોર્સની સ્થાપના કરવામાં આવી છે. જોકે આ હડતાળમાં ઑલ ઇન્ડિયા ઍન્ડ ગોલ્ડસ્મિથ ફેડરેશન સાથે જોડાયેલાં દેશભરનાં 120 ઍસોસિયેશનના હીરા-ઝવેરાતના ઉદ્યોગ સાથે જોડાયેલા વેપારીઓ આ હડતાળમાં ભાગ લેશે નહીં એવી જાહેરાત કરવામાં આવી હતી.
ઑલ ઇન્ડિયા જ્વેલર્સ ઍન્ડ ગોલ્ડસ્મિથ ફેડરેશન હૉલમાર્કિંગ અને હૉલમાર્કિંગ યુનિક આઇડેન્ટિફિકેશન નંબરને સમર્થન આપે છે. એથી તેમની સાથે જોડાયેલા વેપારીઓ હડતાળમાં જોડાયા નહોતા.